
મધ્ય પ્રદેશ: કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી છેલ્લા કેટલાક સમયથી પોતાના ભાષણોમાં ઘોડાઓનો ઉલ્લેખ કરે છે. તેઓ આ શબ્દનો ઉપયોગ પોતાના જ પક્ષના નેતાઓને લઈને કરે છે. આ શબ્દ ઉચ્ચારવાની શરૂઆત તેમણે ગુજરાતથી કરી હતી. તેમણે કહ્યું હતું કે, “કૉંગ્રેસના કેટલાક નેતા રેસના ઘોડા જેવા છે, તો કેટલાક લગ્નના ઘોડા જેવા છે.” પરંતુ હવે તેમણે પોતાના ભાષણમાં આ બે પ્રકારના ઘોડા સિવાય ‘લંગડા ઘોડા’નો પણ ઉલ્લેખ કર્યો છે. જેને લઈને દિવ્યાંગો રોષે ભરાયા છે.
‘લંગડા ઘોડા’ વિશે શું બોલ્યા રાહુલ ગાંધી?
તાજેતરમાં રાહુલ ગાંધી મધ્ય પ્રદેશના ભોપાલ ખાતે પહોચ્યા હતા. જ્યાં તેમણે નેતાઓ અને કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. પોતાના સંબોધનમાં તેમણે જણાવ્યું હતું કે, “રેસના ઘોડા અને લગ્નના ઘોડાને અલગ કરવા પડશે. હું પહેલા કહેતો હતો કે, કૉંગ્રેસ પાર્ટી ક્યારેક રેસના ઘોડાને લગ્નમાં મોકલી દે છે અને ક્યારેક લગ્નના ઘોડાને રેસમાં મોકલી દે છે. લગ્નના ઘોડાને એક ચાબુક મારતા જ તે નીચે બેસી જાય છે. પરંતુ આ સિવાય એક ત્રીજા પ્રકારનો ઘોડો પણ હોય છે. એ છે ‘લંગડો ઘોડો’. આ ત્રણેય પ્રકારના ઘોડાઓને આપણે અલગ કરવાના છે. રેસના ઘોડાને રેસમાં મોકલવાના છે. લગ્નના ઘોડાને લગ્નમાં મોકલવાના છે અને લંગડા ઘોડાને રિટાયર્ડ કરવાના છે. તેને કહેવાનું છે કે, લે ભાઈ થોડું ઘાસ ખા, પાણી પી, આરામ કર. બાકીના લોકોને હેરાન ન કરીશ. બાકીના ઘોડાઓને પરેશાન ન કરીશ, નહીંતર કાર્યવાહી કરવી પડશે. લંગડો ઘોડો એ હેરાન કરે તો શું થાય છે એ હું કહીશ નહીં.”
રાહુલ ગાંધીથી દિવ્યાંગો કેમ થયા નારાજ
લંગડા ઘોડાને લઈને રાહુલ ગાંધીએ કરેલા નિવેદનથી દિવ્યાંગ ખેલાડીઓ રોષે ભરાયા છે. આંતરરાષ્ટ્રીય પેરા સ્વિમર પદ્મશ્રી સત્યેન્દ્ર લોહિયાએ રાહુલ ગાંધીના આ નિવેદનને દિવ્યાંગોની લાગણી દુભાવનારૂં બતાવ્યું છે. મધ્ય પ્રદેશ દિવ્યાંગ ખેલ સમિતિ રાહુલ ગાંધીના નિવેદન વિરૂદ્ધ રાજ્યના રમતગમત મંત્રી પાસે આવેદન પત્ર લઈને પહોંચી હતી. પેરા ઓલંપિક સંઘના ખેલાડી ભોપાલ ખાતે રમતગમત મંત્રી વિશ્વાસ સારંગના ઘરે પહોંચ્યા હતા અને “રાહુલ ગાંધી હાય-હાય”ના નારા લગાવી તેઓને આવેદન પત્ર સોપ્યું હતું. આ દરમિયાન તેમણે જણાવ્યું કે, “રાહુલ ગાંધી વિરૂદ્ધ કોઈ ન કાર્યવાહી ન થઈ તો અમે રસ્તા પર ઉતરીશું અને સંસદ સુધી પહોંચીશું.”
દિવ્યાંગજનોને વંદન કરવા જોઈએ
કેન્દ્રીય પ્રધાન અને મધ્ય પ્રદેશના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ આ નિવેદનને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે મીડિયાને જણાવ્યું કે, જે લોકો આવા અપશબ્દનો ઉપયોગ કરે છે. અંગ્રેજીમાં જેને સ્પેશિયલી ગિફ્ટેડ કહેવાય છે, વડા પ્રધાને વિકલાંગ શબ્દને બદલીને દિવ્યાંગજન નામ આપ્યું છે. દિવ્યાંગજન એટલે શું? દિવ્યાંગજન એટલે એ જેના પર ભગવાનની વિશેષ આશીર્વાદ છે. તેઓને આપણે વંદન કરવા જોઈએ. ત્યારે કેટલાક લોકો આવા અપશબ્દનો ઉપયોગ કરે છે. તેઓ કેટલી હદ સુધી જઈ શકે છે, એની આપણે કલ્પના કરી શકીએ તેમ નથી.”
વડા પ્રધાને આપ્યો ‘દિવ્યાંગજન’ શબ્દ
ઉલ્લેખનીય છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિવ્યાંગોની વેદનાને સમજીને 2016માં દિવ્યાંગ અધિકાર અધિનિયમ પસાર કર્યો હતો. આ કાયદા હેઠળ દિવ્યાંગો માટે જે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવતો હતો. તેનો ઉપયોગ નાબૂદ કર્યો હતો.
આ પણ વાંચો….રાહુલ ગાંધીના નિવેદનોનો પાકિસ્તાન ભારત વિરુદ્ધ ઉપયોગ કરી રહ્યું છેઃ શ્રીકાંત શિંદે