અમેરિકા પહોંચેલું પાકિસ્તાની પ્રતિનિધિમંડળ આંતકવાદ મુદ્દે ઘેરાયું, બેડ શેરમને કહ્યું જૈશ-એ-મોહમ્મદને ખતમ કરો

વોશિંગ્ટન: અમેરિકાની મુલાકાતે વોશિંગ્ટન ડીસી પહોંચેલા બિલાવલ ભુટ્ટો ઝરદારીના નેતૃત્વ હેઠળના પાકિસ્તાની પ્રતિનિધિમંડળ આતંકવાદ મુદ્દે ઘેરાયું છે. જેમાં યુએસ કોંગ્રેસમેન બ્રેડ શેરમનએ જણાવ્યું હતું કે પાકિસ્તાને આતંકવાદી જૂથ જૈશ-એ-મોહમ્મદને ખતમ કરવા માટે તમામ પ્રયાસ કરવા જોઈએ અને ધાર્મિક લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ. પાકિસ્તાની પ્રતિનિધિમંડળે કોંગ્રેસમેન બ્રેડ શેરમનને મળ્યા હતા. ભારતના સર્વપક્ષીય પ્રતિનિધિમંડળે પહલગામ આતંકવાદી હુમલા અને પાકિસ્તાન સમર્થિત આતંકવાદ સામે લડવાના ભારતના દૃઢ નિશ્ચયને પગલે ઓપરેશન સિંદૂર વિશે મુખ્ય પ્રતિનિધિઓને માહિતી આપી હતી.
યુએસ કોંગ્રેસમેન બ્રેડ શેરમને ટ્વીટ કર્યું
X પર એક પોસ્ટમાં, શેરમનએ લખ્યું કે તેમણે “પાકિસ્તાની પ્રતિનિધિમંડળને આતંકવાદ સામે લડવા અને તેને ખતમ કરવા કહ્યું હતું, ખાસ કરીને જૈશ-એ-મોહમ્મદ જૂથ, જે આતંકવાદી જૂથે વર્ષ 2002 માં મારા મતવિસ્તારના ડેનિયલ પર્લની હત્યા કરી હતી.
શેરમેને કહ્યું કે પર્લનો પરિવાર હજુ પણ મારા વિસ્તારમાં રહે છે
આતંકવાદી ઓમર સઈદ શેખને 2002 માં વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટર ડેનિયલ પર્લનું અપહરણ અને હત્યા કરવાનું કાવતરું ઘડવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યો હતો. શેરમેને કહ્યું કે પર્લનો પરિવાર હજુ પણ મારા વિસ્તારમાં રહે છે અને પાકિસ્તાને આ દ્વેષપૂર્ણ જૂથને નાબૂદ કરવા અને પ્રદેશમાં આતંકવાદનો સામનો કરવા માટે શક્ય તેટલું બધું કરવું જોઈએ.
યુએસ સાંસદે પાકિસ્તાની પ્રતિનિધિમંડળને એમ પણ કહ્યું કે, પાકિસ્તાનમાં રહેતા ખ્રિસ્તીઓ, હિન્દુઓ અને અહમદિયા મુસ્લિમોને હિંસા, અત્યાચાર, ભેદભાવ અથવા અસમાન ન્યાય વ્યવસ્થાના ભય વિના તેમનો ધર્મ પાળવાની અને લોકશાહી વ્યવસ્થામાં ભાગ લેવાની મંજૂરી આપવી જોઈએ.
આ પણ વાંચો….આતંકવાદ સામેની લડાઈમાં જે ડી વાન્સે ભારતને સંપૂર્ણ સમર્થન આપ્યું; મીટિંગ બાદ તેજસ્વી સૂર્યાનું નિવેદન
શેરમેને ડૉ. આફ્રિદીની મુક્તિની માંગ કરી
શેરમેને પાકિસ્તાની પ્રતિનિધિમંડળને વિનંતી કરી કે તેઓ તેમની સરકારને ડૉ. શકીલ આફ્રિદીને મુક્ત કરવા જણાવે. જે ઓસામા બિન લાદેનને મારવામાં અમેરિકાને મદદ કરવા બદલ જેલમાં બંધ છે. તેમણે કહ્યું, ડૉ. આફ્રિદીને મુક્ત કરવા એ 9/11 ના પીડિતો માટે એક મહત્વપૂર્ણ પગલું છે.
ડૉ. શકીલ આફ્રિદી પાકિસ્તાની ડૉક્ટર
આફ્રિદી એક પાકિસ્તાની ડૉક્ટર છે જેમણે ઓસામા બિન લાદેનના પરિવારના ડીએનએ નમૂના એકત્રિત કરવા માટે ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં પોલિયો રસીકરણ કાર્યક્રમ ચલાવવામાં સીઆઈએને મદદ કરી હતી. મે 2011 માં એબોટાબાદમાં બિન લાદેનના કમ્પાઉન્ડ પર યુએસના દરોડા પછી તરત જ પાકિસ્તાની અધિકારીઓ દ્વારા આફ્રિદીની ધરપકડ કરવામાં આવી હતી. વર્ષ 2012 માં પાકિસ્તાનની એક કોર્ટે આફ્રિદીને 33 વર્ષની જેલની સજા ફટકારી હતી.
બિલાવલે ભારતને પરમાણુ યુદ્ધની ધમકી આપી હતી
અમેરિકા જતા પાકિસ્તાની પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરનારા બિલાવલ ભુટ્ટોએ ભારતને ધમકી આપતા કહ્યું હતું કે વિશ્વનો કોઈ પણ દેશ ભલે ગમે તેટલો મોટો કે શક્તિશાળી હોય જો તેમના પાણી અને ભવિષ્યને જોખમમાં મૂકવામાં આવે તો ચૂપ નહીં બેસે. દરેક દેશ તેના પાણી માટે યુદ્ધ લડશે. ભુટ્ટોએ કહ્યું હતું કે પાણી માટેનું યુદ્ધ અત્યાર સુધી સિદ્ધાંત સુધી મર્યાદિત હતું. પરંતુ ભારત પાકિસ્તાનનો પાણી પુરવઠો કાપીને અસ્તિત્વના સંઘર્ષનો પાયો નાખી રહ્યું છે. જે પરમાણુ યુદ્ધમાં પરિણમી શકે છે.
આ પણ વાંચો….મુસ્લિમ દેશો પ્રત્યે ટ્રમ્પ આકરા પાણીએ! આ 12 દેશોના નાગરિકોને અમેરિકામાં પ્રવેશવા પર મૂક્યો પ્રતિબંધ