વીક એન્ડ

સ્પોર્ટ્સ મૅન : રોડ-શૉના રથની લગામ ખેંચો

-અજય મોતીવાલા

2007માં અને 2024માં મુંબઈમાં લાખો લોકોએ વર્લ્ડ ચૅમ્પિયન ખેલાડીઓનું રસ્તાઓ પરની વિક્ટરી-પરેડમાં શાનદાર સ્વાગત કર્યું હતું, પણ બેંગલૂરુની દુર્ઘટના હવે સત્તાધીશોની આંખ ઉઘાડે તો સારું

એક તરફ મંગળવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મોડી રાત્રે એક લાખથી પણ વધુ પ્રેક્ષકોના ક્રાઉડે રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (આરસીબી)ની ઐતિહાસિક જીત માણી હતી અને બરાબર 12 કલાક બાદ બેંગલૂરુમાં એ જ ચૅમ્પિયન આરસીબીની જીતની ઉજવણી માટે જમા થયેલું લાખોનું ક્રાઉડ અગિયાર ક્રિકેટપ્રેમીઓ માટે જીવલેણ નીવડ્યું. અમદાવાદમાં વિરાટ કોહલી અને કૅપ્ટન રજત પાટીદારની આગેવાનીમાં આરસીબીની વિજયી-પરેડ યાદગાર બની ત્યાં બીજી તરફ બેંગલૂરુની વિક્ટરી-પરેડ ચાર ટીનેજર સહિત 11 લોકો માટે ઘાતક બની. 18મી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં 18 નંબરના જર્સીવાળા વિરાટ કોહલી અને તેના અસંખ્ય ચાહકોએ વિજયનું સેલિબ્રેશન હજી પૂરું માણ્યું પણ નહોતું ત્યાં 18 કલાકની અંદર તો આરસીબી વગોવાઈ ગઈ.

કહેવાનો ભાવાર્થ એ છે કે જીતનો ઉન્માદ જ્યારે હદ વટાવી જાય ત્યારે કંઈક અજૂગતું બનતું જ હોય છે. કહેવાય છે ને કે દરેક વાતની મર્યાદા હોય.' જ્યારે મર્યાદા ઓળંગવામાં આવે ત્યારે અનિચ્છનીય બનતું જ હોય છે. આરસીબીનું કર્મસ્થાન અમદાવાદ, પણ ખરી ઉજવણીનું સ્થાન બેંગલૂરુ હતું એટલે એ માટે અગાઉથી પાક્કે પાયે પૂર્વતૈયારીઓ થવી જોઈતી હતી. મંગળવારની રાતના વિજયના આનંદને અકબંધ રાખવા બેંગલૂરુમાં પૂર્વ યોજના થવી જોઈતી હતી. આરસીબીની ટીમને તો રાબેતા મુજબ 200 ટકા સુરક્ષા મળવાની જ હતી, પણ એનાથીયે વિશેષ મહત્ત્વનો મુદ્દો એ હતો કે ચૅમ્પિયન ખેલાડીઓને આવકારવા જમા થનારા હજારો ને લાખો લોકોના ક્રાઉડને કેવી રીતે ક્નટ્રોલમાં રાખવું. કમનસીબે એમાં જ કચાશ રહી, 11 લોકોના જીવ ગયા તથા બીજા 50થી વધુ લોકો ઘાયલ થયા, આરસીબીની ટીમના જશન પર પાણી ફરી વળ્યું અને એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં તથા એની આસપાસ જમા થઈ ગયેલા ત્રણ લાખ જેટલા લોકોમાં થયેલી નાસભાગ અને ધક્કામુક્કી માટે કોણ જવાબદાર એ વિશેબ્લેમ ગેમ’ શરૂ થઈ ગઈ.

ક્યારેક એવું બને છે કે કોઈકની શહાદત કોઈ અભૂતપૂર્વ પગલાં માટે કારણભૂત બની જતી હોય છે. જેમ કાશ્મીરના પહલગામમાં બાવીસમી એપ્રિલે થયેલા પાકિસ્તાન-પ્રેરિત આતંકવાદી હુમલામાં 26 જણ શહીદ થઈ ગયા ત્યાર બાદ નરેન્દ્ર મોદી સરકારે સશસ્ત્ર દળોને છૂટો દોર આપ્યો અને તેમણે પાકિસ્તાનમાં આતંકવાદી મથકો તથા હવાઈ દળના મહત્ત્વનાં સ્થાનો સહિત અનેક સ્થળે હુમલા કરીને ખાત્મો બોલાવ્યો. ફરી બેંગલૂરુની આરસીબીવાળી ઘટનાની વાત પર આવીએ તો બની શકે કે 11 ક્રિકેટપ્રેમીઓના મૃત્યુ પછી હવે બની શકે કે બોર્ડ ઑફ ક્નટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ) ચૅમ્પિયન ક્રિકેટ ટીમની વિક્ટરી-પરેડને લગતો નવો કાનૂન લાગુ કરે. બની શકે કે બીસીસીઆઇ હવે પછી વિક્ટરી-પરેડ કે રોડ-શૉ પર પ્રતિબંધ લાવશે.

આ પણ વાંચો….ભારત માટે પડકાર કે ઇંગ્લૅન્ડને ફટકાર?

ટીમ ઇન્ડિયાના હેડ-કોચ ગૌતમ ગંભીરે બે દિવસ પહેલાં જ કહ્યું હતું કે `ચૅમ્પિયન ટીમના સેલિબ્રેશન માટે રોડ-શૉ થવો જ ન જોઈએ. હું હંમેશાં એનો વિરોધી રહ્યો છું. 2007માં (ભારતે જ્યારે સૌપ્રથમ ટી-20 વર્લ્ડ કપ જીત્યો હતો ત્યારે) રોડ-શૉ સામે મારો વિરોધ હતો અને હજી પણ છે. સ્ટેડિયમમાં સેલિબ્રેશન રાખી શકાય, પણ રસ્તાઓ પરની ઉજવણીની ફેવરમાં હું નથી.’

1983માં કપિલ દેવના સુકાનમાં લૉર્ડ્સમાં વન-ડેના વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતે (54.4 ઓવરમાં 183/10) વેસ્ટ ઇન્ડિઝ (બાવન ઓવરમાં 140/10)ને 43 રનથી હરાવીને ઐતિહાસિક ટ્રોફી જીતી લીધી હતી ત્યારે (પચીસમી જૂને) મોડી રાત સુધી મુંબઈ સહિત દેશભરમાં અનેક રસ્તાઓ પર લાખો લોકોએ વિજયનું યાદગાર સેલિબ્રેશન કર્યું હતું. કપિલ દેવની વર્લ્ડ ચૅમ્પિયન ટીમે ભારતમાં આગમન કર્યું ત્યારે સ્વરસમ્રાજ્ઞી લતા મંગેશકર અને બીજી હસ્તીઓની હાજરી સાથેનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. બીજા પ્રોગ્રામો પણ યોજાયા હતા. જોકે ભારતીય ક્રિકેટમાં ખરા અર્થમાં વિજયી-પરેડનો ટે્રન્ડ 2007માં લૉન્ગ-હેરવાળા મહેન્દ્રસિંહ ધોનીના સુકાનમાં ભારતે ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને સૌપ્રથમ ટી-20 વર્લ્ડ કપ જીતી લીધો હતો ત્યારે શરૂ થયો હતો.

ભારતીય ખેલાડીઓ 2007ની 24મી સપ્ટેમ્બરે જોહનિસબર્ગમાં જીતેલી ટ્રોફી લઈને સાઉથ આફ્રિકાથી પાછા આવ્યા ત્યારે દક્ષિણ મુંબઈમાં રોડ-શૉ યોજાયો હતો. ભરવરસાદે પણ લાખો લોકો ધોનીના ધુરંધરોને જોવા આ વિજયી-પરેડમાં જોડાયા હતા, ધોની તેમ જ સેહવાગ, ગંભીર, યુસુફ પઠાણ, ઉથપ્પા, રોહિત, યુવરાજ, ઇરફાન, હરભજન, જોગિન્દર, શ્રીસાન્ત, આરપી સિંહ, દિનેશ કાર્તિક, પીયૂષ ચાવલા તેમ જ (વર્તમાન ચીફ સિલેક્ટર) અજિત આગરકરે ઓપન-બસમાંથી ચાહકોનું અભિવાદન આવકાર્યું હતું અને અનેક ચાહકો સાથે હાથ મિલાવ્યા હતા.

2011માં ભારત ઘરઆંગણે જ વન-ડેનો વર્લ્ડ કપ જીત્યું હતું, પરંતુ 2024માં રોહિત સેનાના ખેલાડીઓ ટી-20નો વર્લ્ડ કપ જીતીને મુંબઈ પાછા આવ્યા ત્યારે ફરી એકવાર રોડ-શૉ યોજાયો હતો. ત્યારે મરીન ડ્રાઇવ પર તેમ જ વાનખેડે સ્ટેડિયમની બહાર લાખો લોકો જમા થયા હતા અને ખેલાડીઓનું આગમન વિલંબમાં મુકાતાં થોડી અરાજકતા થઈ હતી, પણ બુધવારની બેંગલૂરુની ઘટના ભારતીય ક્રિકેટ માટે સૌથી કમનસીબ કહી શકાય.

11 ક્રિકેટપ્રેમીઓનાં મૃત્યુનો આઘાત દેશની જનતાના દિલોદિમાગમાંથી ક્યારેય નહીં જાય, પરંતુ આશા રાખીએ કે ગેરવ્યવસ્થાને કારણે ફરી આવી કોઈ ઘટના ન બને. લાખો લોકોને આકર્ષવા જો જાહેર માર્ગો પર વિક્ટરી-પરેડ રાખવી જ હોય તો અગાઉથી પૂરતી વ્યવસ્થા થવી જોઈએ. નહીં તો આવા રોડ-શૉ પર કાયમ માટે પ્રતિબંધ જ મૂકી દેવો જોઈએ. હવે તો સોશિયલ મીડિયા મારફત ગણતરીની મિનિટોમાં લોકો સેલિબ્રેશન માટે રસ્તા પર આવી જવાની સંભાવના હોવાથી આયોજકોએ પાક્કે પાયે પૂર્વતૈયારી કરવી જ જોઈશે. આઇપીએલ દર વર્ષે રમાય છે અને ચૅમ્પિયન ટીમની ઉજવણી પણ થવાની જ. જોકે બેંગલૂરુ જેવું પુનરાવર્તન ન જ થયું જોઈએ. નહીં તો છેવટે ભારતને અને ભારતીય ક્રિકેટના નામને જ કલંક લાગશે.

આ પણ વાંચો….સ્પોર્ટ્સ મૅન : ઓવર ટુ … ટેસ્ટ ક્રિકેટ શ્રેણીબદ્ધ ટેસ્ટ-જંગ આવી રહ્યા છે એટલે ફરી મજા…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button