બોમ્બ વિસ્ફોટ કે ભૂકંપ પણ જેનું કશું બગાડી નહીં શકે, એ ચિનાબ બ્રિજની ખાસિયતો જાણો

એફિલ ટાવર અને કુતુબ મીનાર કરતાંય વધુ ઊંચાઈ ધરાવતા તથા કૉંક્રીટ અને સ્ટીલમાંથી બનેલા ચિનાબ રેલ બ્રિજનું વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે ઉદ્ધાટન કરવામાં આવ્યું છે.
આ બ્રિજ જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લાના બક્કલ અને કૌરી ગામને જોડે છે. તે ચિનાબ નદીથી 359 મીટર ઊંચાઈ પર આવેલો છે. આ સાથે તેનો વિશ્વના સૌથી ઊંચા ટોપ 10 બ્રિજની યાદીમાં સમાવેશ થઈ ગયો છે.
આપણ વાંચો: “દુનિયાની આઠમી અજાયબી” ચિનાબ રેલ બ્રિજ તૈયાર, જાણો ક્યારે દોડશે ટ્રેન
ચિનાબ બ્રિજમાં થયો સ્ટીલ અને કૉંક્રીટનો ઉપયોગ
વિશ્વના સૌથી ઊંચા 10 બ્રિજમાં સમાવિષ્ટ આ બ્રિજની ખાસિયત શું છે? એ પણ તમને જણાવી દઈએ. ચિનાબ રેલ બ્રિજમાં બોલ્ટ, સ્ટીલ અને કૉંક્રીટનો ઉપયોગ કર્યો છે.
વધુ વિગતે વાત કરીએ તો તેના બાંધકામમાં 28,660થી 30,00 મેટ્રિક ટન સ્ટીલ, 46,000 ક્યૂબિક મીટર કૉંક્રીટ તથા 6 લાખથી વધારે બોલ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પુલ આર્ક ટેક્નોલોજીથી બનાવ્યો છે, જેથી નદીમાં કોઈ પિલર નથી.
આપણ વાંચો: ચિનાબ રેલ પુલનું ઉદ્ઘાટન: વિશ્વના ટોપ 10 સૌથી ઊંચા રેલ બ્રિજ ક્યાં આવેલા છે, જાણો?
ભૂકંપ અને બોમ્બ વિસ્ફોટ નહીં પહોંચાડી શકે નુકસાન
પોતાની ખાસ ડિઝાઈનના કારણે ચિનાબ રેલ પુલ 226 કિમી/કલાકની ઝડપે આવતો પવન, 8 રિક્ટર સ્કેલની તીવ્રતાનો ભૂકંપ અને 40 ટન ટીએનટી જેટલો વિસ્ફોટ સહન કરવા માટે સક્ષમ છે. તેને એક ખાસ રંગથી રંગવામાં આવ્યો છે, જે તેને 20 વર્ષ સુધી કાટથી બચાવશે. અંદાજિત આગામી 120-125 વર્ષ સુધી તે અડીખમ ઊભો રહેશે.
કાશ્મીરને ભારતના શહેરો સાથે જોડશે ચિનાબ બ્રિજ
1486 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા આ બ્રિજની મંજૂરી વર્ષ 2003માં તત્કાલિન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની સરકાર દ્વારા આપવામાં આવી હતી. 2004માં તેનું નિર્માણ કાર્ય શરૂ થઈ ગયું હતું. આખરે ઓગસ્ટ 2022માં બનીને તૈયાર થઈ ગયો હતો. જોકે હવે આ બ્રિજ કાશ્મીર ઘાટીને દિલ્હી અને દેશના અન્ય શહેરો સાથે જોડશે. આ બ્રિજના કારણે કટરાથી શ્રીનગરની યાત્રા વંદે ભારત ટ્રેન દ્વારા માત્ર 3 કલાકમાં પૂરી થશે.