‘જો તમારામાં હિંમત હોય તો…’ CBIચાર્જશીટ મામલે સત્યપાલ મલિકે મોદી સરકારને પડકાર ફેંક્યો

નવી દિલ્હી: કિરુ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટમાં કથિત ભ્રષ્ટાચાર મામલે જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક (Satya Pal Malik) સહીત અન્ય આરોપીઓ સામે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન(CBI)એ ચાર્જશીટ દાખલ કરી છે.
છેલ્લા બે અઠવાડિયાથી દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં દાખલ સત્યપાલ મલિકે ચાર્જશીટ દાખલ કરવા બાબતે પ્રતિક્રિયા આપી છે. તેમણે CBI અને એન્ફોર્સમેન્ટ ડિરોક્ટરેટ (ED)ને પડકાર ફેંક્યો છે.
આપણ વાંચો: એકસ્ટ્રા અફેર : સત્યપાલ મલિક સામે કાર્યવાહીમાં આટલો વિલંબ કેમ?
સત્યપાલ મલિકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કરેલી એક પોસ્ટમાં લખ્યું, “હું છેલ્લા 2 અઠવાડિયાથી હોસ્પિટલમાં દાખલ છું અને બે દિવસ પહેલા જ મોદી સરકારની એજન્સી CBI એ મારી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે.
હું મારા દેશવાસીઓને કહેવા માંગુ છું કે હું ખેડૂતનો દીકરો છું અને હું મારા રાજકીય જીવનમાં ખેડૂત મસીહા, સ્વર્ગસ્થ ચૌધરી ચરણ સિંહજી દ્વારા સ્થાપિત સિદ્ધાંતોનું પાલન કરીને સંપૂર્ણપણે પ્રામાણિક રહ્યો છું.
હું આ ચાર્જશીટથી ડરવાનો નથી. જે ટેન્ડરમાં મને ચાર્જશીટમાં ફસાવવામાં આવી રહ્યો છે તેના સંદર્ભમાં, મેં પોતે વડા પ્રધાન મોદીને કહ્યું હતું કે તેમાં ભ્રષ્ટાચાર થયો છે, તેથી મેં તેને રદ કરી દીધું હતું અને મારા ટ્રાન્સફર પછી આ ટેન્ડર ફરીથી બન્યું છે.”
આપણ વાંચો: ગઈ કાલે CBIએ ચાર્જશીટ દાખલ કરી, આજે સત્યપાલ મલિક હોસ્પિટલમાં દાખલ
કેન્દ્ર સરકારને પડકાર:
તેમણે વડાપ્રધાન મોદીને પ્રશ્ન પૂછતા કહ્યું, “મોદીજી અને CBIએ દેશવાસીઓને જણાવવું જોઈ કે મેં તમને જે ભ્રષ્ટાચાર વિશે જાણ કરી હતી તેની તપાસ ક્યાં સુધી પહોંચી છે? સરકારી એજન્સીઓ CBI, ED, જો તમે પ્રમાણિક છો તો દેશવાસીઓને કહો કે મારી સંપત્તિ કેટલી વધી છે, જો મારી સંપત્તિમાં વધારો થયો નથી તો મારા પર ખોટા આરોપ ન લગાવો.”
તેમણે મોદી સરકારને પડકાર ફેંકતા કહ્યું, “સત્ય એ છે કે હું એક રૂમના ઘરમાં રહું છું અને હું પોતે દેવામાં ડૂબેલો છું. મોદીજી, તમને અને તમારી સરકારી એજન્સીઓને મારી નમ્ર વિનંતી છે કે મને જૂઠો સાબિત કરવાનો પ્રયાસ ન કરો, મારા દેશવાસીઓમાં મારા વિરુદ્ધ નફરત પેદા કરવાનો પ્રયાસ ન કરો, જો તમારામાં હિંમત હોય તો પ્રામાણિકપણે તપાસ કરો જેથી સત્ય બહાર આવી શકે. સત્યમેવ જયતે, પ્રામાણિકતા અને સત્યતા સાથે, હું સરમુખત્યાર સરકાર સામે મજબૂતીથી ઉભો રહીશ.”
આપણ વાંચો: સત્યપાલ મલિક પર એક્શન બાદ આવી રાહુલ ગાંધીની પ્રતિક્રિયા, જાણો શું કહ્યું
સત્યપાલ મલિકની હાલત નાજુક:
બે દિવસ પહેલા સત્યપાલ મલિકે X પર એક ફોટો શેર કર્યો હતો. જેમાં તેઓ હોસ્પિટલના બેડ પર પડેલા જોવા મળે છે. તેમણે એ પોસ્ટમાં લખ્યું હતું કે હું 11મે થી રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં દાખલ છું.
ઇન્ફેકશનને કારણે મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હવે હાલત ખૂબ જ ગંભીર છે અને છેલ્લા ત્રણ દિવસથી કિડની ડાયાલિસિસ કરવામાં આવી રહ્યું છે.
આપણ વાંચો: ‘હું બીમાર છું છતાંય મને પરેશાન કરવામાં આવી રહ્યો છે’, CBI દરોડાથી ભડક્યા સત્યપાલ મલિક
આ મામલે ચાર્જશીટ દાખલ કરવામાં આવી:
કિરુ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ માટે 2,200 કરોડ રૂપિયાના સિવિલ વર્ક્સ કોન્ટ્રાક્ટમાં કથિત ભ્રષ્ટાચારના કેસમાં CBIએ સત્ય પાલ મલિક અને અન્ય સાત લોકો સામે સ્પેશિયલ કોર્ટ સમક્ષ ચાર્જશીટ દાખલ કરી હતી. જેમાં મલિક અને તેના બે સહયોગીઓ વીરેન્દ્ર રાણા અને કંવર સિંહ રાણાને આરોપી તરીકે નામ આપવામાં આવ્યા.
અધિકારીઓએ જણાવ્યું હતું કે ચાર્જશીટમાં નામ આપવામાં આવેલા અન્ય લોકોમાં ચેનાબ વેલી પાવર પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ (CVPPPL) ના તત્કાલીન મેનેજિંગ ડિરેક્ટર એમએસ બાબુ, કંપનીના ડિરેક્ટર અરુણ કુમાર મિશ્રા અને એમકે મિત્તલ, કન્સ્ટ્રક્શન કંપની ‘પટેલ એન્જિનિયરિંગ લિમિટેડ’ના મેનેજિંગ ડિરેક્ટર રૂપેન પટેલ અને કંવલજીત સિંહ દુગ્ગલના નામનો સમાવેશ થાય છે..