ટ્રાવેલ પ્લસ: હિમાલયનો આલીશાન વૈભવ બરફાચ્છાદિત નંદાદેવી

-કૌશિક ઘેલાણી
Look deep into nature,and then you will understand everything better. Albert Einstein એલબર્ટ આઈન્સ્ટાઈન કુદરત માટે લખે છે કે, નિસર્ગમાં જેટલા ઊંડા ઊતારશો, એટલા જ સરળતાથી સઘળું સમજી શકશો અને ખૂબ સારી રીતે સમજી શકશો. મારું માનવું છે કે કુદરતને ખરા અર્થમાં જાણવા અને સમજવાની રીત એ મુસાફરી જ છે.
દેશના ખુલ્લા વગડામાં વિવિધ રીતે મુસાફરી કરીને જંગલોની પ્રકૃતિને માણવી અને સમજવી, નદીઓની ધારાઓ સાથે કિનારે કિનારે ચાલતા જઈને એના બદલતા રૂપ રંગ અને સંગીતને માણવું, ખુલ્લા આકાશ તળે બેસીને હજારો તારાઓથી પ્રકાશિત અગોચર વિશ્વમાં ભજવાતા વૈશ્વિક નર્તનને અનુભવવું, અણુ અણુમાં સ્પંદિત થતા લય અને કુદરતની ધ્વનિને મસ્તિષ્કથી છેક હૃદયનાં ઊંડાણ સુધી અનુભવવી. આ બધી રીતો જ કુદરતનાં સમીપે રહીને નિસર્ગને મહાલવાની છે, અને આ રીતોને મેં પ્રત્યક્ષ રીતે સતત માણી છે. મેં હંમેશા કુદરત પર અને કુદરતનાં દરેક સજીવ અને નિર્જીવ તત્ત્વો પર ભરોસો મુક્યો છે.
અજાણી જંગલોની કેડીઓએ મને હંમેશાં કોઈ શ્રેષ્ઠ સ્થળે જ પહોંચાડ્યો છે અને હું એ પરમ મનોહર દ્રશ્યોને પામી શક્યો છું જે વર્ણવવા માટે હું અસમર્થ છું. અજાણ્યા રસ્તાઓ એ મને નિર્ભય બનાવ્યો છે. ખુલ્લા આકાશમાં ચમકતી મંદાકિનીએ મને જીજ્ઞાસુ બનાવ્યો છે. મધુર ગાન ગાતા ગાતા ઊંચાઈથી વહેતી સરિતાની સરવાણીઓએ મને પરોપકાર શીખવ્યો છે. સવાર ઉઘડતા જ મધુર ગાન ગાતા રંગબેરંગી નાનકડાં પંખીઓએ મને પોતાની ક્ષમતા પર વિશ્વાસ કરતા શીખવ્યું છે. વિશાળ જંગલોમાં ત્રાડ પાડતાં વાઘે મને સંઘર્ષ શીખવ્યો છે તો વળી વાઘથી પોતાનાં અસ્તિત્વને ટકાવી રાખવા હરણાઓએ મને સતત પ્રયત્નશીલ રહેતા શીખવ્યું છે. પ્રકૃતિનો મૂળભૂત ગુણ હંમેશાં હકારાત્મક જ રહ્યો છે અને એ હકારાત્મકતા હું મારી અંદર કેળવી શકું છું એનું એક જ કારણ છે કે પ્રકૃતિ જ મારા આરાધ્ય દેવ છે, તે જ મારા ગુરુ છે અને હું આ પ્રકૃતિને વારંવાર નમું છું.
ઊંચાઇએથી દુનિયા જોવાનો મને ગજ્જબનો શોખ એમાં પણ પ્રતિકૂળ સંજોગોમાં તો ખાસ એનું એક જ કારણ કે બહુ જ જૂજ લોકો ત્યાં જોવા મળે.
હિમાલયમાં ઉત્તરાખંડમાં બરફવર્ષા પછી કેદારનાથ અને નંદાદેવીનો નજારો જોવાની એટલી મજા આવે કે જાણે આદિત્ય ખુદ હિમાલયને સોનાનાં ઢોળથી સજાવે એ જોતા આંખો ન ધરાય. કુદરતનાં અનેરા દૃશ્યો નિહાળવા હોય અને અનુભવવા હોય તો કપરાં ચઢાણ ચઢવા પડે જે સામાન્ય રીતે ખૂબ જ ઓછો વર્ગ ચઢતો હોય છે. દુર્ગમ રસ્તાઓ જરા ઓછા ખેડાયેલા હોય એટલે એની સુંદરતા અકબંધ હોય. ઉત્તરાખંડમાં ચોપતા વેલીમાં તુંગનાથ મહાદેવનો મજાનો ટ્રેક છે. ચોપતાથી શરૂઆત કરીને એક દિવસનો આ ટ્રેક કરી શકાય.
તુંગનાથ મહાદેવ પહોંચતા સુધી તો ઘણાં લોકો તુંગનાથથી જ પરત ફર્યા હશે પણ તુંગનાથથી ઉપર બીજો ત્રણ- ચાર કિમીનો ટ્રેક છે જે સ્વર્ગની અનુભૂતિ કરાવી શકે. ચંદ્રશિલા નામનો આ ટ્રેક ખૂબ જ રમણીય છે. ચંદ્રશિલાના કપરા ચઢાણ પછી હિમાલયનાં નરી આંખે દર્શન કરનાર વ્યક્તિ કદાચ એ ક્ષણને જિંદગીભર ન ભૂલી શકે એવો નજારો જોવા મળે. ખૂબ કપરું ચઢાણ અને તુંગનાથ સુધીનો થાક પણ ખરો પણ આત્મવિશ્વાસ હોય તો ચંદ્રશિલા ચઢી જ શકો. ચઢાણ કરતા ઉતરાણ વધારે કપરું ખરું પણ એવું કહેવાય છે જે વ્યક્તિ ચંદ્રશિલા પહોંચી જાય એ ત્યાંનું દ્રશ્ય જોઈને બોખલાઈ જાય છે, આભો બની જાય છે. ઘડીભર માટે એની વાચા હણાઈ જાય છે. ચંદ્રશિલા પરથી ચારે તરફ હિમાલયના સુવર્ણ શિખરો દેખાય છે. નરી આંખે જોયેલું દ્રશ્ય કોઈ કેમેરા લઇ શકે તેમ નથી કે કોઈ રીતે એ સુંદરતાને હું શબ્દોમાં ઢાળી શકું એમ નથી. હું નતમસ્તક શિવની જટામાં ખોવાયો હોઉ એવો જ કઈક અનુભવ હતો. ચંદ્રશિલા જનાર વ્યક્તિ પણ દિવસ આથમે એ પહેલા તો નીચે ઊતરી જ જાય કેમ કે ઠંડોગાર પવન, ચોતરફ બરફ અને ક્યાંય રસ્તો પણ ન દેખાય. ચઢાણ કરતા ઊતરવાનું વધારે, જ્યાં પગ મુકો ત્યાંથી લપસીને સીધા નીચે આવો એટલે પાછી ફરી શરૂઆત કરવાની. કોઈક કોઈક જગ્યાએ પાકો બરફ જાણે કુદરતી લસરપટ્ટીની રચના થઇ હોય એવું જ કંઈક પણ આ બધા અંતરાયોને ઓળંગીને ચંદ્રશિલા ચઢતા સાથે જ મેં સુમેરુ અને નંદાદેવીને જોતા જ અહીંયાના સૂર્યાસ્ત પછીની લાલિમાની કલ્પના કરી અને નક્કી કર્યું કે સૂર્યાસ્ત પહેલા અહીંયાથી હટવું નથી. પૂનમ પહેલાંની ઢળતી સાંજ હતી, ચંદ્ર સોળે કળાએ ખીલ્યો હતો, સૂરજ ડૂબું ડૂબું થઇ રહ્યો હતો અને ચંદ્રશિલા પરના એક પથ્થરને અઢેલીને વાદળોને પહાડની સોડમાં લપેટાયેલાં જોતો હું લગભગ કલાક જેટલો સમય અવાચક બનીને કુદરતની આ પરમ મનોહર લીલાને આંખોથી મારામાં ભરી રહ્યો હતો. આ બધી ક્ષણો એ હતી જે સંપૂર્ણપણે ખાલી મારા માટે જ હતી, મારી જાત માટે જ હતી. સાંજ ઢળતાં સૂરજને ગંગોત્રીની સોડમાં લપાઈ જતા જોઈને જાતને ઢંઢોળી ત્યાં સુધીમાં એકલદોકલ ટ્રેકર પણ નીકળી ચુક્યા હતા અને હું સાવ એકલો અનિમેષ નજરે હાથી પર્વત પર ચંદ્રને જોઈ રહ્યો અને સૂરજની છેલ્લી લાલાશ બરફાચ્છાદિત પર્વતોને તમસની ચાદર ઓઢાડતી ગઈ. કપરા ચઢાણ પછી ચંદ્રશિલા પહોંચે કે કુદરત પોતાની પાસે ખેંચીને તમને વહાલ કરે એવો સાક્ષાત્કાર અહીં થાય છે એટલે જ અહીંયા આવનાર વ્યક્તિ સમયનું ભાન ભૂલીને હિમાલયમાં લીન થઇ જાય છે. આ એ જ જગ્યા છે જ્યાં ચંદ્રએ દક્ષ પ્રજાપતિના ક્ષય રોગના શ્રાપમાંથી મુક્તિ માટે મહાદેવની આરાધના કરી હતી અને ભગવાન શ્રી રામે રાવણવધ પછી બ્રહ્મહત્યા નિવારણ માટે શિવ આરાધના કરી હતી.
ગમે તેવો નાસ્તિક અહીંયા આવીને જ સાચો આસ્તિક બની જાય અને શિવમય થઇ જાય. વાદળોની રંગો સાથે રમાતી રમત અને 4000 મીટર ઊંચાઈએ આથમતો સૂરજ કઈ રીતે નંદાદેવી અને ત્રિશૂળ પર્વત પર સોનેરી ઢોળ ચઢાવે છે એ જોવાની જિજ્ઞાસાએ મને ચંદ્રશિલા પર સૂરજ આથમ્યાં પછી પણ રોકી રાખ્યો. અંધારું થતા હું પાછા ફરવાનો રસ્તો ભૂલી જઈશ, તાપમાન નીચું જતા બરફ જામી જશે અને ઉતરાણ કપરું બનશે, પિવાનું પાણી પણ પૂરું થઇ ગયું હતું આવા ઘણા પ્રશ્ર્નો હતા પણ કુદરતના એ વિશાળ કેનવાસ સામે આ બધા જ પ્રશ્ર્નો સાવ વામણાં લાગતા હતા. સૂર્યાસ્ત થતા જ હું સાવ દિગ્મૂઢ…
આપણ વાંચો: ટૅક વ્યૂહ: મહત્ત્વના ડેટા-મલ્ટિમીડિયા ને બીજી અનેક વસ્તુને સાચવતી મેમરીનું એ ટુ ઝેડ…
ચંદ્રશિલા પરથી જ નંદાદેવી દ્રશ્યમાન થાય છે. સ્વર્ગ વિષે જેટલી પણ કલ્પનાઓ વાંચી છે એ સઘળી આની સામે વામણી છે. સાંભળ્યું છે કે અહીં સ્વર્ગની હવા આવે છે, પણ હવે અનુભવ્યું છે કે અહીં પહોંચવાનો આનંદ સ્વર્ગથી વિશેષ છે. મારા જીવનની શ્રેષ્ઠ ઘડીઓમાંની આ એક ઘડી છે કે ટોચ પર પહોંચીને ‘નંદાદેવી’ – ભારતના બીજા સહુથી ઊંચા પર્વતને શાંતિથી જોઈ શકું. નંદાદેવીને ભારતીય લોકસાહિત્યમાં હિમાલયની પુત્રી તરીકે ઓળખાવવામાં આવ્યા છે અને 6400 મીટર કરતાં ઊંચા બારેક જેટલા હિમાલયના પહાડોથી નંદાદેવી અને સુનંદાદેવી બંને ઘેરાયેલા છે. એ જ રીતે ભારતની મોટા ભાગે નદીઓનું ઉદ્દગમ સ્થાન એવું ચૌખંભાનાં અદ્ભુત શિખરો અહીંથી નજર સમક્ષ તરવરે. ચૌખંભા ચાર પિલ્લરના પર્વતોથી રચાયેલ અને ગંગોત્રી ગ્લેશિયર સ્થિત ગઢવાલ હિમાલયની સહુથી સુંદર પર્વત શૃંખલા છે અને એને કોઈ પણ દિશામાંથી જુઓ એક સરખી જ દેખાય એ એની ખાસ વિશેષતા છે. ચૌખંભા જ અલકનંદા અને ભાગીરથીની ધારાનું મૂળ છે. કેદારનાથ, શિવલિંગ પર્વત જેવા હિમાલયના મનમોહક પર્વતોને કંપની આપતો આ ઉત્તરાખંડનો સહુથી સુંદર પર્વત છે.ગંગોત્રી ગ્રુપના આ દિવ્ય અને મુખ્ય પર્વતને ગુપ્તકાશી, તુંગનાથ, ચંદ્રશિલા, વાસુકીતાલ, દેઓરીયા તાલ, સાતોપંથ લેક, નાગ ટિબ્બા, કૌરી પાસ અને મદમહેશ્વરથી ખૂબ જ સુંદર રીતે જોઈ શકાય છે. મદમહેશ્વરથી તો સૂર્યની સોનેરી ઝાંય સવાર સાંજ એટલી અદ્ભુત લાગે કે પોતાની આંખો પાર વિશ્વાસ ન થઇ શકે. આ તસ્વીર ચંદ્રશિલા પર સૂર્યાસ્ત સમયની છે. ખાસ તો સૂર્યાસ્ત સમયે ચૌખંભા અને એની શ્રેણીની તમામ પર્વતમાળાને નરી આંખે જોવા માટે હું સૂર્યાસ્ત સુધી ચંદ્રશિલા પર રોકાયો અને હું કુદરતની આ ભવ્યતાને કલાક સુધી માણી શકયો. હિમાલયની આ પર્વતમાળાઓમાં શિવની ઝટાની કલ્પનાનો સાક્ષાત્કાર થાય જ.
આવાં દ્રશ્યો રૂબરૂ જોઈને જ સમજી શકાય કે મહાન વિભૂતિઓ, મહર્ષિઓ કે દેવતાઓ હિમાલયને જ કેમ પોતાના આધ્યાત્મિક કેન્દ્ર તરીકે પસંદ કરતા હશે? આ વર્ષે હિમાલય તરફ પગલા માંડો તો નંદાદેવીને વધારે ક્ષણો માટે અચૂક નિહાળજો કુદરત પ્રત્યે અન્યાય કરતા પહેલા તમારી અંદરની સંવેદના તમને જરૂર ટોકશે.