IPL 2025

બેંગલૂરુમાં ફેરિયાઓને ધૂમ કમાણી, પણ પ્રેક્ષકોની આશા પર ફરી વળ્યું પાણી

ક્રિકેટપ્રેમીઓને હવે ફરી 23મી મેએ ` વિરાટ-18' સફેદ જર્સી પહેરીને કોહલીને ખુશ કરવાનો મોકો

બેંગલૂરુઃ રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)ના સુપરસ્ટાર વિરાટ કોહલીએ તાજેતરમાં ટેસ્ટ-ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી એને ધ્યાનમાં રાખીને અહીં શનિવારે હજારો પ્રેક્ષકો (કોહલીના ચાહકો) ટેસ્ટ-ખેલાડી જેવી સફેદ જર્સી (WHITE JERSEY) પહેરીને આવ્યા હતા અને એ જર્સી પર વિરાટ (VIRAT KOHLI)નું નામ તેમ જ તેનો 18 નંબર લખાયો હતો.

જોકે મેઘરાજા એટલા બધા મહેરબાન થયા કે આ ઉત્સાહી પ્રેક્ષકો વાઇટ જર્સીવાળી આ ઇવેન્ટને પૂરી માણી જ નહોતા શક્યા. સ્ટેડિયમની બહાર અસંખ્ય ફેરિયાઓએ તેમ જ દુકાનોએ આ સફેદ જર્સી વેચીને કમાણી કરી લીધી હતી, પરંતુ પ્રેક્ષકોનું નસીબ ખરાબ હતું કે વરસાદને લીધે ન તો તેઓ વિરાટને રમતો જોઈ શક્યા હતા અને ન વાઇટ જર્સીવાળી (વિરાટ 18) ઇવેન્ટનો જલસો કરી શક્યા હતા.

મુશળધાર વરસાદ (RAIN)ને કારણે બેંગલૂરુ અને કોલકાતા વચ્ચેની મૅચમાં ટૉસ પણ નહોતો થઈ શક્યો અને છેવટે મૅચ રદ કરવામાં આવી હતી. બેંગલૂરુની ટીમ એ એક પૉઇન્ટ લઈને પૉઇન્ટ્સ-ટેબલમાં નંબર-વન થઈ અને પ્લે-ઑફની વધુ નજીક પહોંચી, પરંતુ એના પ્રેક્ષકો હતાશ હતા. જોકે હવે કોહલીના ચાહકોને વધુ એક તક મળવાની છે.

આપણ વાંચો: બેંગલૂરુમાં મેઘરાજાએ આઇપીએલનો પુન: આરંભ વિલંબમાં મૂક્યો

23મી મેએ બેંગલૂરુમાં જ આરસીબીની સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામે જે મૅચ રમાવાની છે ત્યારે કોહલીના ચાહકોને સફેદ જર્સી પહેરીને આવવાની તક છે.

અનિલ કુંબલેએ તાજેતરમાં કહ્યું હતું કે ` રોહિત શર્મા અને વિરાટ કોહલીને મેદાન પરથી માનભેર ટેસ્ટમાંથી ફેરવેલ મળી જોઈતી હતી.’

જોકે એવું તો કંઈ બન્યું નહીં, પરંતુ કોહલીના ચાહકો 23મી મેએ ફરી એક વાર સફેદ જર્સી પહેરીને આવશે અને કોહલીને ટેસ્ટની નિવૃત્તિ બદલ ભાવપૂર્ણ ફેરવેલ આપશે. ટેસ્ટને ગુડ બાય કરનાર કોહલીના કેટલાક ચાહકોના શનિવારના જર્સીની પાછળ ‘ એક યુગનો અંત’ એવું લખાયું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button