ઊડતી વાત : અસહ્ય ગરમીમાં અગાસીએ ઊંઘવાના ખતરા-અખતરા

-ભરત વૈષ્ણવ
‘ગિરધરલાલ, લો આ લવલેટર જુવો.’ રાધારાણીએ છણકો કરીને અમારા મોં પર કાગળ છૂટો ફેંક્યો .
‘કાગળમાં શું છે ?’ અમે એક નિર્દોષ છૂટાછેડા જેવો સવાલ પૂછયો.
‘કેમ, તમને ભગવાને ડુંગળીડોળા આપ્યા નથી? રંગઅંધાપો- થયો છે?’ રાધારાણીએ અમારું મોઢું તોડી લીધું.
‘રાધુ, તેં મને ડિવોર્સની નોટિસ ફટકારી છે કે શું?’ અમે વાતાવરણ હળવું કરવા મજાક કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો.
‘ગિધુ, તમારી સડેલી જોક લેખમાં લખવાની. તમારી જોક પસ્તી જેવી છે. તમારા મગજનો ફ્યૂઝ ઊડી ગયો છે..’ રાધારાણી નામનો બાટલો ફાટ્યો. રાધારાણીએ નીચે ફેંકેલ કાગળ ઉઠાવ્યો. કોઇ ફિલ્મમાં બચ્ચન કહે છે કે ‘શેઠજી, મૈં ગિરે હુએ પૈસે નહીં ઉઠાતા.’ હોય જેવા જેના સિદ્ધાંત.’
‘આટલું બધું લાઇટ બિલ ?’ મારાથી આહ નીકળી ગઇ. બે મહિનાનું 11,000 રૂપિયાનું બિલ આવે તો કોના મોઢામાંથી ‘ઓહ’ કે ‘આહ’ ન નીકળે!
‘ગુજરાત ઈલેક્ટ્રિસિટી’ વાળા તો મારા પરમ પૂજય શ્વસૂરની માલિકીની છે એમ માની તમે રૂમે રૂમે એર ક્ધડીશનર, ટીવી ચાલુ રાખો પછી વધુ બિલ ન આવે તો શું થાય?, આ તો હું છું એટલે બધુ ઓલ વેલ ચાલે છે. બાકી ઘર જાય અને ઓસરી રહે તેવો તમારો તઘલખી તાલ છે’ રાધારાણી ફૂલ ફોર્મમાં હતા.
‘હવે શું કરવું છે?’ અમે શરણાગતિ સ્વીકારી.
‘ફાનસયુગમાં પુન: પ્રવેશ કરવો ન પડે એટલે તાણીતુંસીને બિલ તો ભરવું જ પડશે.’ રાધારાણીએ લાઇટ બિલ ભરવા માટે ઓર્ડર આપ્યો.
‘રાધુ, હવે બપોરે તું એસી બંધ રાખજે.’ અમે નિર્દોષભાવે ડરતાં ડરતાં સૂચન કર્યુ.
‘તમને બપોરે માત્ર છ કલાક ચાલતું એસી જ દેખાય છે. તમે ટોઇલેટમાં તમને પરસેવો ન થાય એટલે કૂલર ચલાવી ત્રણ કલાક ટોઇલેટમાં છાપું અને મોબાઇલ લઇ ઘલાઇ રહો છો એ યાદ આવતું નથી?’
‘રાધુ એ બધુ ઠીક છે. પરંતુ, લાઇટબિલ ઘટાડવા શાસક વિપક્ષના ભેદ ભૂલી જઇને નક્કર કામ કરવું પડશે. નહીંતર મારે દર મહિને લાઇટબિલ ભરવા બેંકમાંથી લોન લેવી પડશે.’ મેં રચનાત્મક દરખાસ્ત રજૂ કરી.
આ પણ વાંચો…ઊડતી વાત : 10 લાખનો દંડ રાજુએ કરી રીતે ચૂકવ્યો?
‘જુવો ગિરધરલાલ, આપણે રાત્રે ઉંઘતી વખતે બેડરૂમમાં એસી ઓન કરીએ છીએ. અઘૂરામાં પૂરું, સોળ પર એસી રાખીએે છીએ. બેડરૂમને બદલે અગાસી પર ઊંઘવાનું રાખીએે તો લાઇટબિલ અડધું થઇ જશે.’
રાધારાણીએ ઉનાળાની ગરમ રાત્રિમાં અગાસીમાં ઉંધવા જવાના નામે માસ્ટર સ્ટ્રોક માર્યો. અમારે હા કે ના કરવાનો કયાં સવાલ હતો? કતલ થતાં બકરાને હલાલ કે ઝટકાનો ઓપ્શન પૂછવામાં આવતો નથી! અગાસીએ સૂવાનું આયોજન નિયત થઇ ગયું. તે મુજબ જરૂરી પ્રબંધ કરવાનું અમારા માથે નાખવામાં આવ્યું. અમે સાંજે સાત વાગ્યે અગાસી ધોઇ આવ્યા. ભોંયતળિયેથી પાટી ભરેલા ખાટલા અગાસી પર ચડાવી આવ્યા. ગાદલા, ઓશીકા, ગાદલાની ચાદર, પેડસ્ટલ ફેન, હાથપંખો, ટીપોઇ, પાણી પીવા માટેનો કૂંજો, મચ્છરદાની વગેરે અગાસીએ ચડાવી આવ્યા. અમે બકાસૂરના પણ વંશજ છીએ એટલે રાતે ભૂખ લાગે તો જોઈતી ખાદ્યસામગ્રી પણ ખાટલાની બંને બાજુ ટીપોઇ મૂકી ખડકવામાં આવી.
રાત્રે નવ વાગ્યે અમૃત ચોઘડિયાંમાં સીડી પર ધમધમ કરતા રાધારાણી હાથણીની જેમ અગાસીમાં આવ્યા માનો કે મા રાધારાણી અગાસીએ પ્રગટ્યા રે લોલ.
હું મારા ખાટલામાં ગોઠવાયો. રાધારાણી પણ એમના ખાટલામાં બેઠાં.
મંદ મંદ હવા લહેરાતી હતી. જો કે હવામાં 2/3 ગરમ અને 1/3 ઠંડી હવા હતી. આખા દિવસના થાકેલા હતા. ખાટલામાં લંબાવતા ઊંઘનું ઘારણ ફરી વળ્યું.
અડધી કલાકમાં પવન પડી ગયો. પરસેવાથી રેબઝેબ થઇ ગયા. પંખો ચાલુ કર્યો પણ ચાલુ ન થયો. આજુબાજુ ઘરની લાઇટો અને સ્ટ્રીટ લાઇટ બંધ હતી. અમે માન્યું કે અમારી વીજળી વેરણ થઇ. રાધારાણી તો ઠંડી ગરમીથી પર થઇ મધ્ધમ મધ્ધમ તાલબદ્ધ નેવું ડેસિબલથી વધુ નિનાદના નસકોરા બોલાવતાં હતાં. પગથી માથા સુધી ચાદર કફનની જેમ ઓઢીને ગાઢ નિંદ્રામાં હતાં.
આ પણ વાંચો…ઊડતી વાત : રાજુ રદીએ વળી કઈ નવી ઝુંબેશ શરૂ કરી?
પવન પડી જવાથી મચ્છરોએ અમારા લોહીનું કેન્ડલ વિધાઉટ ડિનર લેવાનો કાર્યક્રમ જારી રાખેલો. ઉંદર ફૂંકી ફૂંકીને કરડે તેમ કહેવામાં આવે છે. મચ્છર ‘ગુણ ગુણ’ કરતા કરડતા હોય છે. મચ્છર કરડે પછી શરીરમાં લાય બળતી હોય એવી બળતરા થાય. મચ્છરે જયાંથી લોહી ચૂસ્યું હોય ત્યાં ગુપ્ત રોગ જેવી અસહ્ય બળતરા ઊપડે. તે ભાગ વલૂરવા છતાં ખંજવાળ મટે નહીં. અમે એ ભાગ પર અમારું વાસી થૂંક લગાડ્યું પણ એ નાકામયાબ નીવડ્યું . અમે પાતળી ચાદર ઓઢીને ઊંઘવા મરણિયો પ્રયાસ કર્યો. ચાદરની બહાર મચ્છર અમારી ઊંઘભંગ માટે ગણગણાટ કરતા હતા. આ પ્રકારની સિચ્યુએશન હોય તો નિંદ્રાસનને વરેલા કુંભકર્ણને પણ ઊંધ ન આવે તો અમે કંઇ વાડીના મૂળા છીએ કે અમને ઊંધ આવે.?
જેને ઊંઘનો એટેક આવ્યો હોય તે વગર પથારીએ ઘાસના ઢગલામાં સૂઇ જાય એમ કહેવામાં આવે છે, પરંતુ એનો પનારો કાળા બજારિયા જેવા આતંકવાદી મચ્છર સાથે પડ્યો નહીં હોય? નહિતર એ પણ અમારી જેમ ચોકીદાર બની જાગતે રહોની બાંગ પોકારતો હોય તેમાં મિનમેખ નથી.
‘મુનિ જાગે છે ત્યારે પશુઓ ઊંધે છે’ એમ ભગવદ ગીતામાં કહ્યું છે. અમે પથારીમાં પડયા પડયા તરફડતા તરફડતા ભગવાનનું નામસ્મરણ શરૂ કર્યું, પરંતુ, ઉદ્વિગ્ન મને ભજન પણ ક્યાંથી થાય? બિનવારસી લાશ રઝળે તેમ અમે કરવટો બદલતા રહ્યા.’
અગાસીના સ્વર્ગે રીબાવવું એના કરતાં એસી રૂમની પરાધીનતા સારી. દુનિયાના દુખો દૂર કરવા ગૌતમ બુધ્ધે મધ્યરાત્રીએ
સંસારમાંથી મહાભિનિષ્ક્રમણ કરેલ. અમે પણ ઊંધના દુ:ખને નેસ્તનાબૂદ કરવા માટે અમે પણ અગાસીમાંથી મહાભિનિષ્ક્રમણ કરી રૂમમાં મહાઆગમનીકરણ કર્યુ પછી રૂમમાં જઇ એસી ઓન કર્યું પછી અમને એસીની ઠંડકમાં ઝોકા આવવાના શરૂ થઈ ગયા ત્યારે ટાવરમાં સવારના પાંચના ડંકા વાગ્યા.