ગુજરાતના શહેરોના ઝડપી વિકાસ માટે સરકારનો મોટો નિર્ણય, 1203 કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી

ગાંધીનગર : ગુજરાતના સતત થતાં વિકાસમાં શહેરી વિકાસના વિસ્તારને મહત્વ આપવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત સરકારે શહેરોના ઝડપી વિકાસ માટે 1203 કરોડના વિકાસ કાર્યોની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
રાજ્ય સરકારે 2025ના વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવા સાથે શહેરોમાં સસ્ટેનેબલ અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જનસુખાકારી સુવિધાઓથી નાગરિકોના અર્નિંગ વેલ-લિવિંગ વેલને સાકાર કરવાનો વ્યૂહ અપનાવ્યો છે.
આપણ વાંચો: ગુજરાતના જુનાગઢ જિલ્લાની થશે કાયાપલટ, સરકારે 634 કરોડના વિકાસ કાર્યોની જાહેરાત કરી
નવ મહાનગરપાલિકાઓની રચના કરી
આ સંદર્ભમાં રાજ્યમાં નવી નવ મહાનગરપાલિકાઓની રચના કરી છે. આ નવરચિત મહાનગરપાલિકાઓ સહિત રાજ્યના નગરો-શહેરોમાં લોકહિતના કામોને પણ વેગવંતા બનાવ્યા છે.સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મુખ્યમંત્રીએ આ રૂ. 1202.75 કરોડના વિકાસ કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
વરસાદી પાણીના નિકાલના કામો માટે રૂપિયા 585.83 કરોડ મંજૂર
રાજ્યની નવરચિત મહાનગરપાલિકાઓમાં રોડ રસ્તા, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઇટ, સેનિટેશન જેવા ભૌતિક આંતરમાળખાકીય સુવિધાના કામો ઉપરાંત આંગણવાડી, શાળાના મકાનો, લાઇબ્રેરી, અર્બન હેલ્થ સેન્ટર વગેરે સામાજિક આંતરમાળખાકીય સુવિધાના કામો માટે નાણાં ફાળવ્યા છે.
આ ઉપરાંત, અર્બન મોબિલિટી, સીટી બ્યુટીફિકેશન, આગવી ઓળખના કામો, પાણી પુરવઠાના અને વરસાદી પાણીના નિકાલના કામો વગેરે કામો માટે રૂપિયા 585.83 કરોડના ખર્ચની સૈદ્ધાંતિક અનુમતિ આપી છે.
આપણ વાંચો: થોરિયમ ન્યુક્લિયર રિએક્ટરના વિકાસ માટે એમઓયુ પર હસ્તાક્ષર
CNG બસો માટે ત્રણ વર્ષ સુધી 39 કરોડ રૂપિયા આપવાનો નિર્ણય
નવસારી મહાનગરપાલિકાને 81 કરોડ, નડિયાદને 75 કરોડ, આણંદને 78.07 કરોડ, સુરેન્દ્રનગરને 81.04 કરોડ, ગાંધીધામને 104.07 કરોડ તથા વાપીને 78.63 કરોડ તેમજ પોરબંદરને 80.30 કરોડ અને મહેસાણાને 7.42 કરોડ રૂપિયા ના વિકાસ કામો માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
આ નવરચિત મહાનગરપાલિકાઓમાં પબ્લિક ટ્રાન્સપોર્ટની માંગને પહોંચી વળવા માટે CNG બસોના સંચાલન માટે 2025થી 2027ના ત્રણ વર્ષ સુધી દર વર્ષે 39 કરોડ રૂપિયા આપવાનો પણ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
આપણ વાંચો: પીએમ મોદીએ વારાણસીને આપી કરોડો રૂપિયાની વિકાસ યોજનાઓની ભેટ, કહ્યું કાશી હવે સ્વાસ્થ્યની રાજધાની
અદ્યતન ખેલકૂદ સંકુલ માટે 72.52 કરોડ રૂપિયાની ફાળવણી
આ નવરચિત મહાનગરપાલિકાઓ ઉપરાંત બે શહેરી વિસ્તાર વિકાસ સત્તામંડળો વડોદરા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીને અદ્યતન ખેલકૂદ સંકુલ માટે 72.52 કરોડ રૂપિયા તથા 60 એમ.એલ.ડી.ના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમજ ચાર ટી પી વિસ્તારોમાં અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ નેટવર્કના કામો માટે કુલ 302.86 કરોડ મળીને કુલ રૂ. 375.38 કરોડ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે ફાળવ્યા છે.
ગટર વ્યવસ્થાના કામો માટે 105.03 કરોડ રૂપિયા મંજૂર
આ ઉપરાંત સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીને રોડ રિસરફેસિંગ અને નવા રસ્તા બનાવવા તથા એલ.ઈ.ડી. સ્ટ્રીટ લાઈટના કામો માટે 97.81 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.
રાજ્યની સુરત, વડોદરા અને ગાંધીનગર મહાનગર પાલિકાઓને ખાનગી સોસાયટી જનભાગીદારી અંતર્ગતના કામો, આંતર માળખાકીય સુવિધાના કામો તેમજ રસ્તા, પાણીની લાઈન, ગટર વ્યવસ્થાના કામો માટે કુલ 105.03 કરોડ રૂપિયાના કામો મંજૂર કર્યા છે.