હિન્દુત્વનો ત્યાગ કર્યો નથી પણ ભાજપનું ‘બીબાઢાળ’ સંસ્કરણ અસ્વીકાર્ય: ઉદ્ધવ ઠાકરે

નાશિક: શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેએ બુધવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમણે હિન્દુત્વ વિચારધારાનો ત્યાગ કર્યો નથી, પરંતુ તેમના ભૂતપૂર્વ સાથી ભાજપનું ‘બીબાઢાળ’ હિન્દુત્વ તેમને સ્વીકાર્ય નથી.
ઉત્તર મહારાષ્ટ્રના નાશિક ખાતે તેમના પક્ષના મેળાવડામાં બોલતા, તેમણે એવું પણ સૂચન કર્યું કે રાજ્યમાં ભાજપની આગેવાની હેઠળની સરકાર મુંબઈમાં રાજભવન પરિસરને છત્રપતિ શિવાજી મહારાજના સ્મારકમાં ફેરવે અને રાજ્યપાલને અન્ય કોઈ જગ્યાએ ખસેડે.
આપણ વાંચો: ઊલટી ગંગાઃ ઉદ્ધવ ઠાકરે જૂથના પ્રવક્તાએ કર્યો મોટો દાવો, ભાજપના ઘણા નેતા ઠાકરે સાથે જવા માગે છે…
અવિભાજિત શિવસેના વગર ભાજપ આજે જ્યાં છે એ તબક્કે પહોંચી શક્યો ન હોત, જ્યાં તે અયોધ્યામાં રામ મંદિર બનાવી શકે છે, એમ 2019માં ભગવા પક્ષથી અલગ થયેલા ઠાકરેએ જણાવ્યું હતું.
ભાજપે ખોટી વાર્તા ફેલાવી હતી કે શિવસેના (યુબીટી)એ હિન્દુત્વનો ત્યાગ કર્યો છે, તેમણે એમ પણ કહ્યું હતું કે મુસ્લિમોએ તેમના પક્ષને ફક્ત એટલા માટે સમર્થન આપ્યું હતું કારણ કે મુખ્ય પ્રધાન તરીકે તેઓ બધા સાથે સમાન વર્તન કરતા હતા. (પીટીઆઈ)