શિક્ષાપત્રી મુજબનું જીવન એટલે ઈન્ડિયન પીનલ કોડની કલમોનું આચરણ…
મગજ મંથન – વિઠ્ઠલ વઘાસિયા
શિક્ષાપત્રી જયંતી અવસર
હિંદુ પૌરાણિક કથાઓ અનુસાર બ્રહ્માજીના માનસમાંથી માતા સરસ્વતી પ્રગટ થયાં હતાં,એ દિવસ એટલે વસંત પંચમી….આ દિવસે સરસ્વતી પૂજનનો મહિમા અધિક છે.માતા સરસ્વતીને જ્ઞાન,સંગીત અને કલાની દેવી પણ કહેવામાં આવે છે એટલા માટે ભક્તો સાચા હૃદયથી માતા સરસ્વતીની પૂજા અને પ્રાર્થના કરે છે.
Also read : મારી ક્ષમાપનામાં Speed Breaker : EGO
વસંત પંચમીના દિવસે શિક્ષાપત્રી જયંતી પણ આવે છે.સર્વે જીવના કલ્યાણ અર્થે ભગવાન શ્રી સ્વામિનારાયણે આજના દિવસે મનુષ્ય જીવનની આચારસંહિતા સમાન 346 જેટલાં શાસ્ત્રોના નિચોડ રૂપ 212 શ્લોકની શિક્ષાપત્રીની વડતાલ ધામે રચના કરી હતી.જે માણસ શિક્ષાપત્રી મુજબ જીવન જીવે તેનાથી `ઈન્ડિયન પીનલ કોડ’ની કોઈ કલમનો ભંગ થતો નથી.
આ શિક્ષાપત્રી દેશના બંધારણ સાથે પણ સામ્યતા ધરાવે છે, કારણ કે કાયદાની કલમો પૈકી કલમ 107થી ગુનાની કલમો શરૂ થાય છે.શિક્ષાપત્રીમાં માનવીએ કઈ રીતે જીવન જીવવું જોઈએ,કેવા દુર્ગુણોથી બચવું જોઈએ,શું કાર્ય કરવું,શું ન કરવું તે વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી છે.
આવો,આપણે શિક્ષાપત્રીના અમુક શ્લોકનું આચમન કરીએ અને જીવન ધન્ય બનાવીએ :
શિક્ષાપત્રી શ્લોક અઢારમાં કહ્યું છે કે `અને અમારા આશ્રિત જે પુષ અને સ્ત્રીઓ તેણે વ્યભિચાર ન કરવો,જૂગટું (જુગાર)આદિક જે વ્યસન તેનો ત્યાગ કરવો અને ગાંજો,ભાંગ,તમાકુ આદિ કેફ કરનાર વસ્તુ તે ખાવાં નહીં ને પીવાં પણ નહીં.’
આ એક સામાન્ય નિયમ પણ માનવના જીવનમાં કેટલું સંરક્ષણ આપે છે !
શિક્ષાપત્રી શ્લોક ચૌદમાં મહારાજે કહ્યું છે કે,`અને આત્મઘાતો તો તીર્થને વિશે પણ ન કરવો ને ક્રોધે કરીને ન કરવો અને ક્યારેક કોઈ અયોગ્ય આચરણ થઈ જાય તે થકી મૂંઝાઈને પણ આત્મઘાત ન કરવો અને ઝેર ખાઈને તથા ગળે ટૂંપો ખાઈને તથા કૂવે પડીને તથા પર્વત ઉપરથી પડીને ઈત્યાદિક કોઈ રીતે આત્મઘાત ન કરવો.’
Also read : ફન વર્લ્ડ
આર્થિક પ્રશ્નને હલ કરવા શિક્ષાપત્રીમાં કહેવામાં આવ્યું છે કે, જેટલી પછેડી હોય તેનાથી વધુ લાંબા પગ ન કરવા જોઈએ.પોતાની આવક અનુસાર જ નિરંતર ખર્ચ કરવો પણ તે ઉપરાંત ન કરવો અને ઊપજ કરતાં જે વધારે ખર્ચ કરે છે તેને મોટું દુ:ખ થાય છે.’ વળી આજ્ઞા પણ આપી કે,હંમેશાં સારા અક્ષરે પોતાનું નામું લખવું.આવક અને જાવકનો ચોખ્ખો હિસાબ નજર સમક્ષ રહે તો માણસના જીવનમાં કોઈ પ્રશ્ન ઊભા ન થાય.’
આરોગ્ય અંગે મહારાજે જણાવ્યું છે કે, `જાહેર સ્થાનો,બાગ,મંદિર,નદીકાંઠા વગેરેમાં જ્યાં ત્યાં મળમૂત્ર ન કરવાં,થૂંકવું પણ નહીં. જળ,દૂધ વગેરે પ્રવાહી ગાળીને ઉપયોગમાં લેવાં. વહેલાં ઊઠવું, એક જ સ્થળે દાતણ કરવું.નિત્ય સ્નાન કરીને ધોયેલાં પવિત્ર વસ્ત્રો પહેરવાં ને ભગવાનની પૂજા અર્ચના કરીને જ બીજા વ્યવહારિક કાર્ય કરવાં.’
જગતમાં જ્યાં જુઓ ત્યાં પૈસા,જમીન અને સ્ત્રી – આ ત્રણ વાત-વિષયને લઈને હંમેશાં ઝઘડા થતા હોય છે. શ્રીજી મહારાજે આ ત્રણેય બાબતનો સ્પષ્ટ પણે નિર્વિઘ્ન વ્યવહાર બતાવ્યો છે કે, `પોતાનો ભાઈ હોય,મિત્ર હોય કે પિતા હોય તેની સાથે પણ જમીન કે કોઈપણ ધનની લેવડ દેવનો વ્યવહાર કરવો હોય તો સાક્ષીઓ સહિત લખત કર્યા વગર એ કાર્ય કરવું નહીં.’
વસ્ત્ર પરિધાન જેવી સાવ સામાન્ય જણાતી બાબતમાં પણ શ્રીજી મહારાજે ખાસ સૂચના આપી કે, `જે વસ્ત્ર પહેર્યે થકી પોતાના અંગ દેખાય તેવું જે ભૂંડું વસ્ત્ર તે અમારાં સત્સંગી સ્ત્રીઓએ ન પહેરવું.’
આજકાલ જાતજાતની ફેશન નીકળે છે. જોનારને વિકાર જન્મે એવી ફેશનથી દૂર રહેવાનો અહીં નિર્દેશ કરવામાં આવ્યો છે.
અંગ્રેજ શાસન વખતે મુંબઈના ગવર્નર જ્હોન માલ્કમને શ્રીજી મહારાજે શિક્ષાપત્રીની (1830 – રાજકોટમાં) ભેટ આપેલી, જે આજે પણ ઓક્સફર્ડની લાઈબ્રેરીમાં આદરપૂર્વક સચવાયેલી છે. શિક્ષાપત્રીનો વિશ્વની 38થી વધુ ભાષામાં અનુવાદ થયો છે.
વસંત ઋતુમાં આલેખાયેલી શિક્ષાપત્રીનાં આવાં પગથિયાં ચડવાથી – તે પ્રમાણે વર્તવાથી જીવનમાં હંમેશાં વસંત જ રહે છે. જીવન પાંગરેલું અને મહેકતું રહે છે.જેની સૌરભ વ્યક્તિગત રીતે સમાજમાં પ્રસરે છે.
Also read : પાંચાળ પ્રદેશ થાનગઢનું વાસુકિ નાગદેવતાનું ઐતિહાસિક મંદિર…
સરદાર વલ્લભભાઈ પટેલે પણ કહ્યું છે કે `જો દેશના લોકો શિક્ષાપત્રીની આજ્ઞાઓનું પાલન કરે તો દેશમાં ફોજદારી કાયદો,પોલીસ અને અદાલતોની ઓછામાં ઓછી જરૂર પડે.’