સ્ટેચ્યુ ઑફ યુનિટી વિશે અફવા ફેલાવનાર સામે એફઆઈઆર દાખલ

કેવડીયાઃ મહારાષ્ટ્રના માલવણ ખાતે છત્રપતિ શિવાજી મહારાજનું સ્મારક પડી જવાની ઘટના બાદ વડોદરા નજીક કેવડીયા ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU)માં તિરાડ પડી હોવાના સોશિયલ મીડિયા પરના મેસેજ વાયરલ થયા હતા. મેસેજમાં SOU ગમે ત્યારે પડશે તેમ પણ લખ્યું હતું. આ સાથે એક ફોટો પણ વાયરલ થયો હતો. આ પૉસ્ટ रागा4इंडिया નામના ટ્વીટર આઈડી પરથી શેર કરવામાં આવી હતી. આ ઘટના બાદ નર્મદા જિલ્લામાં ડેપ્યુટી કલેક્ટરે ફરિયાદ નોંધી હતી. પોલીસે એફઆઈઆર નોંધ્યા બાદ યુઝરે પોસ્ટ ડિલિટ કરી દીધી હતી.
26,000 ફોલોઅર્સ ધરાવતા આ યુઝરે 182 મીટર ઊંચા સ્મારકની તસવીર શેર કરી હતી. જેમાં પગ પાસે એક તિરાડ હોવાનું જણાયું હતું. વાસ્તવમાં આ તસવીર જૂની હતી અને જ્યારે સ્મારક બની રહ્યું હતું ત્યારની હોવાનું જાણવા મળ્યું છે.
અહીંના કલેક્ટરે ખાસ જણાવ્યું હતું કે આવી ખોટી પૉસ્ટ કરી લોકોમાં ભયનો માહોલ પેદા કરવામા આવ્યો હતો. અમે તમામ પરિક્ષણ કર્યા છે અને સ્મારક એકદમ સલામત છે. લોકોએ આવી વાતોમાં ન આવતા આ સ્થળની મુલાકાત લેવી.