ઈન્ટરવલ

પલાયન પ્રમોટરોનું!!!

રિટેલ રોકાણકારો નાણાં ઠાલવી રહ્યાં છે ત્યારે પ્રમોટરોએ એક લાખ કરોડ રૂપિયા ઉપાડી લીધા!

કવર સ્ટોરી -નિલેશ વાઘેલા

શેરબજારમાં વેલ્યૂએશન્સ અતિશય ઊંચા હોવાની વાતો હવે હંબગ લાગે એટલી હદે ચવાઇ ગઇ છે, કારણ કે હવે તેને કોઇ ગણકારતું નથી અને તેજી સતત આગળ વધતી રહી છે. નિષ્ણાતો ઊંચા વેલ્યુએશન્સની ચિંતામાં અડધા થઇ રહ્યાં છે ત્યારે બજારમાં દર મહિને રિટેલ ઇન્વેસ્ટર્સના આશરે રૂ. ૨૩,૦૦૦ કરોડ ઠલવાતા
રહ્યાં છે.

આ તેજી માટે અલગ કારણો છે, પરંતુ અહીં આ વિષય એ માટે માંડ્યો છે કે તેજી અવિરત હોવા છતાં અને કંપનીના શેરોના મૂલ્યમાં વધારો થતો રહ્યો હોવા છતાં એવું જોવા મળ્યું છે કે, ખુદ કંપનીના પ્રમોટરો પોતાનો સ્ટેક હળવો કરવા મંડી પડ્યાં હોય એવું લાગે છે.

પ્રાઇમરી માર્કેટમાં પણ સારી તેજી છે અને સેક્ધડરી માર્કેટમાં ક્યારેક થોડા સમય માટે બ્રેક લાગી હોય ત્યારે પણ નવા શેર ઊંચા પ્રીમિયમે લિસ્ટેડ થતાં જોવા મળે છે. આમાં ખાસ કરીને ઓફર ફોર સેલ અંતર્ગત મોટા ગજાના પ્રમોટરો, રોકાણકારો અને વેન્ચર ફંડો પણ સ્ટેક હળવો કરતા જોવા મળ્યાં છે.

કેટલાય મહિનાઓથી ભારતીય શેરમાર્કેટની એકતરફી તેજીને કારણે મોટા રોકાણકારો, દિગ્ગજ સંસ્થાઓ, રેટિંગ એજન્સીઓ સહિતના એક્સપર્ટ ઓપિનિયન આપતા માંધાતાઓ સાવચેતીભર્યું વલણ અપનાવવા અને વધારે ગેલમાં આવીને બજારમાં ન કૂદી પડવા સલાહ આપી રહ્યાં છે.

બજારમાં વેલ્યૂએશન ખૂબ ઊંચા છે અને આ ભાવ અનેક કંપનીઓના શેરમાં સંભવિત ફરી ક્યારેય નહિ જોવા મળે, જેવી સલાહો છતાં રિટેલ રોકાણકારો બજારમાં પ્રત્યક્ષ મસમોટું રોકાણ કરવા દરેક ઘટાડે લેણ કરવા દોડી જતા જોવા મળે છે.

પાછલા ચારેક વર્ષમાં એવું જોવા મળ્યું છે કે, બજારમાં કોઇપણ ટ્રીગરને આધારે જો મંદીવાળા હાવી થઇ જાય અને તેજીને બ્રેક લાગે તો પણ દરેક ઘટાડાને પચાવી પાડીને બજાર જબરું રિબાઉન્સ કરતું જોવા મળ્યું છે. જોકે, આ પરિસ્થિતિનો રોકાણકારોથી વધુ લાભ ખુદ કંપનીના માલિકો લઇ રહ્યા હોવાનું જોવા મળ્યું છે!

કંપનીઓના સ્થાપકો જેને પ્રમોટરો તરીકે ઓળખાય છે, તેઓ પોતાની કંપનીમાંથી જ મોટાપાયે રોકડી કરી રહ્યા છે. માત્ર આઇપીઓ જ નહિ પરંતુ સેક્ધડરી બજારમાંથી પણ પ્રમોટરોએ હજારો કરોડો રૂપિયા એનકેશ કર્યાના રિપોર્ટ છે. આમ છતાં રિટેલ રોકાણકારોની આંખ ખૂલતી નથી અને તેઓ ગમે તે ઊંચા ભાવે પણ શેર ખરીદવા તૂટી પડતા દેખાઇ રહ્યા છે!

અહેવાલ અનુસાર પ્રમોટર્સે આ વર્ષે અત્યાર સુધીમાં લગભગ એક લાખ કરોડ રૂપિયાના શેરનું વેચાણ કર્યું છે. આ સંદર્ભે હાથ ધરવામાં આવેલા અભ્યાસના આંકડા અનુસાર ૨૫૦થી વધુ કંપનીઓના પ્રમોટર્સે આ વર્ષે અત્યાર સુધીમાં બલ્ક અને બ્લોક ડીલ દ્વારા આશરે રૂ. ૯૭,૦૦૦ કરોડનો હિસ્સો વેચ્યો છે.

આ સમયગાળા દરમિયાન, લિસ્ટેડ કંપનીઓના પ્રમોટરોએ પણ ઓફર ફોર સેલ (ઓએફએસ) થકી રૂ. ૭૩૦૦ કરોડ આસપાસનો હિસ્સો વેચ્યો છે.

પ્રમોટરો દ્વારા ભારે ભરખમ સેલિંગ કંપનીના સ્થાપકો કે સૌથી મોટા રોકાણકારોમાં કંપનીના વેલ્યૂએશન પ્રત્યે ઘટી ગયેલી વિશ્ર્વસનીયતા અથવા જે તે કંપની કરતાં અન્યત્ર કરવામાં આવેલા રોકાણમાં વધુ સારું રિટર્ન આપવાની અપેક્ષાનું પ્રતિબિંબ છે. આ સ્ટેક સેલ માત્ર તેજીનો લાભ લેવા માટે હોય એ પણ બની શકે!

માત્ર ભારતીય ટોચની કંપનીઓના પ્રમોટરો જ નહિ પરંતુ વિશ્ર્વના અગ્રણી રોકાણકાર વોરેન બફે પણ આ પ્રકારે ૨૭૭ અબજ ડોલરની, અત્યાર સુધીની સર્વાધિક રોકડ હાથ પર લઈને બેઠા હોવાના અહેવાલ છે. વર્ષના બીજા ક્વાર્ટરમાં બર્કશાયર હેથવેની રોકડ, રોકડ સમકક્ષ અને ટૂંકા ગાળાની સિક્યોરિટીમાં ૮૮ અબજ ડોલરનો વધારો થતાં તે ૨૭૭ અબજ ડોલરના સર્વકાલીન સ્તરે પહોંચી ગઈ છે.
બજાર નિષ્ણાતોનો એક મત એ છે કે પ્રમોટરો અને મોટા સંસ્થાગત રોકાણકારોનું વેચાણ તથા અન્ય દિગ્ગજ રોકાણકારોની ચાલ સંકેત આપે છે કે શેરબજારો વિક્રમી ટોચે પહોંચી ગયા છે અને તેજી કરતા મંદીનું જોર વધુ છે.

આ વર્ષે ભારતીય બજારમાં પ્રમોટર દ્વારા સૌથી મોટો સ્ટેક સેલ બ્રિટિશ ટેલિકોમ કંપની વોડાફોન દ્વારા ઇન્ડસ ટાવર્સમાં રૂ. ૧૫૩૦૦ કરોડનો છે. આ સિવાય કો-ફાઉન્ડર રાકેશ ગંગવાલ સહિત દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોના પ્રમોટર્સે રૂ. ૧૦૧૫૦ કરોડના શેર વેચ્યા છે.

ટાટા ગ્રુપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સે રૂ. ૯૩૦૦ કરોડના ટીસીએસના શેર વેચ્યા છે. આ સિવાય એમ્ફેસિસ, વેદાંતા, ભારતી એરટેલ, વર્લ્ફૂલ ઑફ ઇન્ડિયા, સંવર્ધન મધરસન, હિંદુસ્તાન ઝિંક, સિપ્લા, એનએચપીસી અને ટીમકેન ઇન્ડિયામાં પણ મોટા હિસ્સાનું વેચાણ જોવા મળ્યું છે. જો આઇપીઓ રૂટ દ્વારા ઓએફએસને પણ તેમાં સામેલ કરવામાં આવે તો આ યાદી લાંબી થઈ જશે.

બ્રિટિશ અમેરિકન ટોબેકોએ માર્ચમાં આઇટીસીમાં ૩.૫ ટકા હિસ્સો રૂ. ૧૭૪૦૦ કરોડમાં વેચ્યો હતો. આઇટીસીમાં કોઈ પ્રમોટર નથી. તેવી જ રીતે સોફ્ટબેન્કે પણ પેટીએમ સાથેનો કારોબારી સંબંધ પૂર્ણ કર્યો હતો અને પ્રમોટર્સ અને સ્થાપકોએ તમામ હિસ્સો વેચી દીધો છે.

બજારમાં તેજીનો લાભ લઈને પીઈ, વીસી ફંડો તેમનો હિસ્સો સંપૂર્ણ અથવા આંશિક રીતે વેચીને લિસ્ટેડ કંપનીઓમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો છે. સ્થાનિક સંસ્થાઓએ આ વર્ષે કુલ રૂ. ૩.૯ લાખ કરોડની ઇક્વિટી ખરીદી છે.

સંસ્થાકીય રોકાણકારો, મ્યુચ્યુઅલ ફંડ્સ અને રિટેલ રોકાણકારો મજબૂત નાણાં પ્રવાહ ઠાલલવાનું ચાલુ રાખીને શેરબજારમાં સાનુકૂળ માહોલ જાળવી રાખ્યો છે. રિટેલ રોકાણકારો બજારમાં પ્રત્યક્ષ અને મ્યુચ્યુઅલ ફંડ થકી પરોક્ષ રીતે બજારમાં અવિરત નાણાં પ્રવાહ ઠાલવી રહ્યા છે.

આમ મોટા દિગ્ગજની એક્ઝિટ કંઈક તો સૂચવે છે જે નાના રોકાણકારોની સમજ બહાર છે. એકમત એ પણ છે કે બજારમાં લિક્વિડિટીમાં થયેલા વધારાનો લાભ લઈને પ્રમોટરોએ હિસ્સો વેચી દીધો છે અને તકવાદી બન્યા છે. સામે પક્ષે અન્ય નાનામોટા રોકાણકારોને હિસ્સો આપીને કંપનીમાં સ્વાગત કર્યું છે અને વેલ્યૂ અનલોકિંગની તક આપી છે.

Show More

Related Articles

Back to top button
Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન… આ બીજ ખાઇને તમારો બ્રેઇન પાવર વધારો વીક-એન્ડ પર આવી રહી છે એક્શન અને ક્રાઈમ થ્રિલર સીરિઝ, જોઈ લેજો નહીંતર… અનુલોમ વિલોમના ફાયદા એક નહીં અનેક છે