![AAP leader Atishi will not be able to hoist the flag on August 15, know the reason](https://bombaysamachar.com/wp-content/uploads/2024/08/AAP-leader-Atishi-will-not-be-able-to-hoist-the-flag.jpg)
દિલ્હીમાં સ્વતંત્રતા દિવસના અવસર પર મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના સ્થાને તેમના પક્ષના આતિશી મારલેના ધ્વજ ફરકાવવાના હતા. જેલની અંદર કેજરીવાલે ઈચ્છા વ્યક્ત કરી હતી કે 15 ઓગસ્ટે છત્રસાલ સ્ટેડિયમમાં આયોજિત કાર્યક્રમમાં આતિશી પોતાની જગ્યાએ ધ્વજ ફરકાવે. કેજરીવાલે આ અંગે એલજીને પત્ર પણ લખ્યો હતો, પરંતુ આ પ્રસ્તાવને ફગાવી દેવામાં આવ્યો છે. દિલ્હી સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD)એ કેજરીવાલના આ પ્રસ્તાવને ફગાવી દીધો છે. આ પછી હવે સ્પષ્ટ થઈ ગયું છે કે આતિશી સ્વતંત્રતા દિવસના અવસરે દિલ્હીમાં યોજાનાર કાર્યક્રમમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી શકશે નહીં. આ પ્રસ્તાવને નકારી કાઢતી વખતે નિયમો ટાંકવામાં આવ્યા છે.
ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા જેલમાંથી બહાર આવ્યા બાદ એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે મનીષ સિસોદિયા હવે 15મી ઓગસ્ટે ધ્વજ ફરકાવશે. જોકે, આ અંગે હાલમાં કોઇ માહિતી જાણવા મળી નથી.
કેજરીવાલ હાલ દિલ્હીની તિહાર જેલમાં બંધ છે. તેમના પર કથિત દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ સંબંધિત ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગનો આરોપ છે.
કેજરીવાલને 5 ઓગસ્ટે જ દિલ્હી હાઈકોર્ટમાંથી ઝટકો લાગ્યો હતો. ધરપકડને પડકારતી તેમની અરજી હાઈકોર્ટે ફગાવી દીધી હતી. હાઈકોર્ટે કેજરીવાલને વિશેષ ન્યાયાધીશનો સંપર્ક કરવા કહ્યું હતું.
દર વર્ષે દિલ્હીમાં સ્વતંત્રતા દિવસના અવસર પર દિલ્હી સરકાર છત્રસાલ સ્ટેડિયમમાં એક કાર્યક્રમનું આયોજન કરે છે. જેમાં મુખ્ય પ્રધાન ધ્વજ ફરકાવે છે. પરંતુ આ વખતે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ જેલમાં છે, તેથી તેમણે તેમના કેબિનેટ પ્રધાન આતિષીને ધ્વજ ફરકાવવાનો અધિકાર આપ્યો હતો.