ગોખલે ફ્લાયઓવર બીજો તબક્કો ખુલ્લો મૂકવામાં વિલંબ, નાગરિકો ભોગવી રહ્યા છે હાડમારી
![Delay in opening Gokhale flyover second phase, causing hardship to citizens](https://bombaysamachar.com/wp-content/uploads/2024/08/Delay-in-opening-Gokhale-flyover-second-phase.jpg)
મુંબઇઃ અંધેરીમાં ગોખલે ફ્લાયઓવરને પૂર્ણ કરવાની અંતિમ તારીખ ફરી ચૂકી ગઈ છે. ગોખલે ફ્લાયઓવરના કામ માટે જરૂરી ગર્ડર મુંબઈમાં આવી ગયા છે. જોકે, આ ગર્ડર આવવામાં ઘણો જ વિલંબ થયો છે. ગર્ડરના કામમાં વિલંબના કારણે મુંબઈ મહાનગરપાલિકાએ કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહીની ચેતવણી આપતાં કોર્પોરેશનના એક્ઝિક્યુટીવ એન્જિનિયરને બદલવાનો નિર્ણય કર્યો છે.
ગોખલે બ્રિજ 1975માં બન્યોહતો. આ બ્રિજનો કેટલોક ભાગ 3 જુલાઈ, 2018ના રોજ તૂટી પડ્યો હતો, જેમાં બે જણના મોત થયા હતા. ત્યાર બાદ આ બ્રિજનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું,જે માટે 7 નવેમ્બર 2022થી બ્રિજને ટ્રાફિક માટે બંધ કરવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે ગોખલે બ્રિજનું ડિમોલિશન પ. રેલવે દ્વારા કરવામાં આવ્યું છે, કારણ કે એ રેલવે માર્ગ પરથઈ પસાર થતો પૂર્વ અને પશ્ચિમને જોડતો ફ્લાય ઓવર બ્રિજ છે. પુલનું પુનર્નિર્માણ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે.
હવે મહાનગર પાલિકાએ આ બ્રિજનો બીજો તબક્કો વાહનવ્યવહાર માટે ચાલુ કરવા માટે માર્ચ ૨૦૨૫થી મે, ૨૦૨૫ સુધીની ટાઇમ લાઇન આપી છે. આપણે આશા રાખીએ કે હવે આ સમયે પાલિકા ડેડલાઇન ના ચૂકી જાય અને ગોખલે પુલને સંપૂર્ણ રીતે વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવે.