મેટિની

રણબીર કપૂર: નિખાલસ એકરાર કે પછી સ્વચ્છતા ઝુંબેશ?!

‘ઈશ્કબાજ’ અને ‘દગાબાજ’ના લેબલ લગાવવામાં આવી રહ્યા છે ત્યારે રણબીર જેવો એક્ટર ઈમેજ સુધારવાની કોશિશ કરતો હોવાની ચર્ચા થાય એ સ્વાભાવિક છે

કવર સ્ટોરી -હેમા શાસ્ત્રી

રણબીર કપૂરનું નામ છેલ્લા કેટલાક દિવસોમાં મીડિયામાં અને સોશિયલ મીડિયામાં ખૂબ ઊછળી રહ્યુંછે. નામ ઉછાળવામાં આવી રહ્યું છે એવું કોઈ કહે તો એ સ્વાભાવિક કહેવાય.તાજેતરમાં એક પોડકાસ્ટ ઈન્ટરવ્યૂમાં ‘એનિમલ’ એક્ટરે પ્રેમ સંબંધો, વ્યવસાયિક જીવન, અંગત જીવન (પત્ની આલિયા, પુત્રી રાહા અને મમ્મી નીતુ સિંહ) અને અન્ય વિષય વિશે દિલ ખોલીને વાત કરી છે.

(વાચકોની જાણ ખાતર – પોડકાસ્ટ એટલે ડિજિટલ ઓડિયો ફાઈલ, જે ઈન્ટરનેટની સુવિધા ધરાવતા લોકો કમ્પ્યુટર કે મોબાઈલમાં ડાઉનલોડ કરી સાંભળી શકે છે. ટૂંકમાં વાંચનની સૂગ ધરાવતી પેઢી માટે માહિતી – જાણકારી વગેરે મેળવવાની વ્યવસ્થા).

અનેક વર્ષો સુધી પોતાના નામ સાથે ‘ઈશ્કબાજ’ કે ‘દગાબાજ’ જેવા લગાડવામાં આવતાં વિશેષણો વિશે પણ એક્ટરે મોકળા મને વાત કરી. આ બધી વાતમાં કશું તથ્ય ન હોવાથી આ આક્ષેપોને પોતે ગણકારતો નથી એમ પણ રણબીરે જણાવ્યું છે.

ઘા પર મલમ ચોપડી રણબીરે તો હાશકારો અનુભવ્યો હશે, પણ આ ઇન્ટરવ્યૂની ઓડિયો ક્લિપ વાઈરલ થતાની સાથે સોશિયલ મીડિયા પર સક્રિય રહેતા ખણખોદિયાઓ પાવડો – કોદાળી ઉપાડી એના જૂના જૂના ઈન્ટરવ્યૂ ખોદી ખોદી બહાર કાઢવા લાગ્યા.

૨૦૧૩માં રિશી કપૂરે એક ઈન્ટરવ્યૂમાં પુત્રની ‘ઈશ્કબાજ’ વિશે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ’રણબીરને ચાર છોકરીઓને ડેટ કરતો તો મેં પણ જોયો છે. મને એમાં કશું અજુગતું નથી લાગતું. એણે સારી સફળતા મેળવી છે. કોઈ પણ છોકરી એને ડેટ કરવા ઉત્સુક હોવાની જ. અભી નહીં કરેગા તો ક્યા મેરી ઉમ્ર મેં કરેગા?’

જો રિશિ જેવા પિતાનું જ પીઠબળ હોય તો કોઈ પણ યુવાન અને એમાંય ગ્લેમરથી વીંટળાયેલો યુવાન ઈશ્કી મિજાજમાં ન લપેટાઈ જાય તો શેમાં લપેટાય? એક ફિલ્મ મેગેઝિન સાથેની વાતચીતમાં દીપિકા પાદુકોણે કરણ જોહરના પ્રોગ્રામમાં આડકતરી રીતે રણબીરે પોતાની સાથે દગો કર્યો હોવાનો ઈશારો કર્યો હતો. મોટાભાગના ફિલ્મવાળાઓને નિખાલસતા સાથે બાપે માર્યા વેર હોય છે અને એટલે મગનું નામ મરી ન પાડવું એવી વાણિયા બુદ્ધિ અપનાવતા હોય છે.

બીજી તરફ, રણબીરે મેગેઝિનને આપેલા એ ઈન્ટરવ્યૂમાં મેચ્યોરિટીના અભાવે અને અનુભવનું પોટલું બંધાયું ન હોવાથી દગો કર્યો હોવાની કબૂલાત કરી હતી.

અણસમજ અને બેફિકર સ્વભાવનું આ પરિણામ હોવાનું જણાવી ‘બ્રહ્માસ્ત્ર’ના એક્ટરે કહ્યું કે ‘સમજણ આવતી ગઈ એમ સંબંધો જાળવી રાખવાનું, એમાં વફાદાર રહેવાનું મહત્ત્વ હું સમજતો થયો. જો કોઈના માટે હૃદયમાં લાગણી ન હોય, એકબીજા પર અફાટ વિશ્ર્વાસ – શ્રદ્ધા કે આદર ન હોય એવી વ્યક્તિના સહચર્યનો કોઈ મતલબ નથી.’
આટલું સમજાઈ ગયા પછી રણબીર રિલેશનશિપમાં આગળ વધવામાં અચકાતો હતો. કોઈ એવી વ્યક્તિ મળે જેના માટે સર્વસ્વ ન્યોછાવર કરવાનું મન થાય ત્યાં સુધી એની રાહ જોવાની તૈયારી હતી.

બેવફાઈ હોય ત્યાં સંબંધ ટકી જ ન શકે. આદર, વિશ્ર્વાસ સામટા ઓગળી જાય અને આદર – વિશ્ર્વાસ તો કોઈ પણ સંબંધની ઈમારતના પાયાના પથ્થર હોય છે. દીપિકા ઉપરાંત કેટરીના કૈફ સાથે પણ રણબીરના ઉષ્માપૂર્ણ સંબંધો હોવાની વાત જગજાહેર છે. આ બધું સોશિયલ મીડિયામાં ફેલાઈ ગયા પછી અખબાર સુધી પહોંચ્યું છે. આજકાલ સોશિયલ મીડિયામાં ગાજવાનો શિરસ્તો છે. રણબીર કપૂર જાણે છે કે ‘એનિમલ’ને અધધ સફળતા અપાવનારી પબ્લિકનો એક મોટો હિસ્સો સોશિયલ મીડિયામાં એક્ટર કે ફિલ્મને ઉગારવા કે ઉતારી પાડવામાં વ્યસ્ત રહે છે. અત્યારે રણબીર કપૂર નિતેશ તિવારીની ‘રામાયણ’માં શ્રી રામનો રોલ સાકાર કરી રહ્યો છે. આવતા વર્ષે દિવાળીમાં ફિલ્મ રિલીઝ કરવાની પ્રાથમિક ગણતરી મુકવામાં આવી હતી. ભગવાન શ્રી રામ એટલે મર્યાદા પુરુષોત્તમ. ‘એનિમલ’ના રણવિજયસિંહ તેમજ ‘ઈશ્કબાજ, દગાબાજ’ના લેબલ, આ બધા સાથે મર્યાદા પુરુષોત્તમનો મેળ કોઈ કાળે બેસે નહીં. ૬૦૦ કરોડ (કદાચ એથી વધુ)ના બજેટમાં તૈયાર થયેલી ફિલ્મમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનો રોલ ઈશ્કી મિજાજનો રણબીર કરે છે એવી ગ્રંથિ બંધાઈ જાય તો ફિલ્મને મૂઢ માર પડવાની સંભાવના ભારોભાર રહે. એટલે જ કદાચ રણવિજયસિંહ અને ‘દગાબાજ – ઈશ્કબાજ’ની ઈમેજ ભૂંસી નાખી ઉજળિયાત છબી ઉપસાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય એવો તર્ક વહેતો થાય તો નવાઈ ન લાગવી જોઈએ. અચાનક નિખાલસતાનો ધોધ વહેવાનું શરૂ થયું હોવાથી ઇમેજ મેકઓવરની વાત વહેતી થઈ શકે છે.

વાત આટલેથી નથી અટકી. રણબીરે પત્ની આલિયાની આરતી ઉતારી છે. રણબીરના બાળપણમાં પપ્પા – મમ્મી (રિશી કપૂર – નીતુ સિંહ)ના સંબંધ વણસી ગયા હતા. એમની વચ્ચેના લડાઈ – ઝઘડા અને બૂમાબૂમથી રણબીર એવો થરથરી જતો કે ઘરની અંદરની સીડીનાં પગથિયાં પર બેઠો રહેતો. આલિયા ભટ્ટને નાનપણથી જ મોટા અવાજે બોલવાની આદત હતી. આલિયા ઊંચા સ્વરમાં બોલે તો રણબીરને પપ્પા યાદ આવી જતા અને બે ઘડી માટે સ્તબ્ધ થઈ જતો. આખી વાત આલિયાને ખબર પડતા લગ્ન પછી એણે રણબીરના લાભાર્થે- રણબીરને માફક આવે એવા અવાજમાં બોલવાની આદત કેળવી લીધી. આ વિશે આલિયાની પ્રશંસા કરી રણબીરે એને અત્યંત મહત્ત્વાકાંક્ષી, બુદ્ધિશાળી અને કામ માટે કાયમ થનગનતી સ્ત્રી ગણાવી છે. મમ્મી નીતુ સિંહ અને આલિયા વચ્ચે ખૂબ સુમેળભર્યા સંબંધ છે અને પુત્રી રાહાની તો આલિયા ખૂબ કાળજી રાખે છે એ વાત પર પણ રણબીર કપૂરે ખાસ ભાર મુક્યો છે.

ટૂંકમાં ભગવાન શ્રી રામને સીતા મૈયા માટે જે આદર હતો એને સમકક્ષ આદર રણબીરને આલિયા માટે જોવા મળી રહ્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે વોટ્સએપ પર ઓનલાઈન છો કે નહીં, એની લોકોને જાણ સુદ્ધા નહીં થાય, બસ કરી લો આ નાનકડી સેટિંગ… સાવધાન, તમે તો નથી વાપરતા ને સ્કીન કેર માટે આ વસ્તુઓ? બોલિવૂડ સ્ટાર્સની પત્નીઓ પણ છે બિઝનેસ વુમન, રળે છે કરોડોની કમાણી બોલીવુડની આ અભિનેત્રીઓએ માંજરી આંખોથી કર્યા છે લાખો ફેન્સને ઘાયલ…