ડાંગમાં ઉમટશે પ્રવાસીઓ : ‘સાપુતારા મેઘ મલ્હાર પર્વ ૨૦૨૪’નું મુળુભાઈ બેરાના હસ્તે ઉદ્ઘાટન
સાપુતારા: ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન એવા સાપુતારા ખાતે દર વર્ષે ચોમાસાની ઋતુમાં યોજાતા ‘સાપુતારા મેઘ મલ્હાર પર્વ ૨૦૨૪’નો ઉદ્ઘાટન સમારંભ યોજાયો હતો. કાર્યક્રમનો ઉદ્ઘાટન સમારંભ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે થવાનો હતો જો કે તેઓ કોઇ કારણોસર હાજર રહી ચૂક્યા નહોતા.
કાર્યક્રમની શરૂઆત પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. પ્રવાસન મંત્રી સહિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ઉચ્ચ અધિકારીઓ, સ્થાનિક હોદ્દાદારો-અધિકારીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને ઉદ્ઘાટન કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: સાપુતારાની લીલીછમ વનરાજીને રાજ્ય સરકારનો મેઘ-મલ્હાર ફેસ્ટિવલ વધુ ‘ઘેઘૂર’ બનાવશે: કાલથી પ્રારંભ
સાપુતારા ખાતે પ્રવાસનની સાથેસાથે સ્થાનિક રોજગારીને વધુને વધુ પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી આજે તા. 29 જુલાઈના રોજ સવારે9 કલાકે ‘સાપુતારા મેઘ મલ્હાર પર્વ 2024’નો ઉદ્ઘાટન સમારંભ યોજાયો હતો. ગુજરાતમાં વર્ષ 2009થી મોન્સૂન ફેસ્ટિવલ યોજાય છે. આ વર્ષે પ્રથમવાર મુખ્યમંત્રીશ્રીના હસ્તે ઉદ્ઘાટન થવાનું હતું જો કે તેઓ કોઇ કારણોસર હાજર રહી શક્યા નહોતા.
ઉદ્ઘાટન સમારંભમાં કાર્યક્રમની શરૂઆત બોટ હાઉસ ગ્રાઉન્ડ, સાપુતારા ખાતે પ્રવાસન નિગમની તોરણ હોટેલ સામેથી રંગબેરંગી પરેડથી કરવામાં આવ્યો હતો. ઉપસ્થિત રહેલા અધિકારી અને પદાધિકારીઓએ મંચથી ઉદ્બોધન કર્યું હતું. ડાંગના સ્થાનિક સંગીતના વાજિંત્રો, મનોરંજક પાત્રો, અલગ-અલગ વેશભૂષામાં પાત્રો, ડાંગી આદિવાસી નૃત્ય તેમજ વિવિધ પ્રવૃત્તિઓ રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે ‘રેઇન રન મેરેથોન’નું ફ્લેગ ઓફ કરાવવામાં આવ્યું હતું.
‘સાપુતારા મેઘ મલ્હાર પર્વ ૨૦૨૪’ના ઉદ્ઘાટન સમારોહમાં આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી કુંવરજી હળપતિ, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલ, વલસાડના સાંસદ સભ્ય ધવલભાઈ પટેલ, ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ નિર્મળાબેન ગાઈન સહિત પ્રવાસન નિગમના સચિવ રાજીવ કુમાર, ગુજરાત ટુરિઝમના મેનેજિંગ ડિરેક્ટર સહિત ઉચ્ચ અધિકારીઓ, સ્થાનિક હોદ્દાદારો-અધિકારીઓ, નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.