
કારગિલ યુદ્ધમાં ભારતની જીતનું 25મું વર્ષ દેશભરમાં ઉજવવામાં આવી રહ્યું છે. શહીદોને યાદ કરવામાં આવી રહ્યા છે ત્યારે આપણે ફિલ્મજગતના કેટલાક એવા કલાકારો વિશે જાણીએ જેમનો સીધો કે આડકતરી રીતે કારગિલ યુદ્ધ સાથે સંબંધ હતો.
અનુષ્કા શર્મા
અનુષ્કા શર્મા બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાં ગણાય છે. અનુષ્કા શર્માના પિતા કર્નલ (નિવૃત્ત) અજય શર્મા કારગિલ યુદ્ધનો ભાગ હતા. અનુષ્કાએ જણાવ્યું હતું કે 1982થી તેના પિતા આર્મીના દરેક મોટા ઓપરેશનનો ભાગ રહ્યા હતા. અનુષ્કાએ જણાવ્યું હતું કે જ્યારે કારગિલ યુદ્ધ થયું ત્યારે યુદ્ધ વિશે સમજવા માટે તે ઘણી નાની હતી. જ્યારે તે તેના પિતા સાથે વાત કરતી ત્યારે હંમેશા સ્કૂલ, અભિયાસ અને બોયફ્રેન્ડ વિશે વાત કરતી. જોકે, અનુષ્કાની મમ્મી યુદ્ધના અપડેટમાટે હંમેશા ટીવી ચાલુ રાખતી, તેથી એને ડર પણ લાગતો હતો.
વિક્રમજીત કંવરપાલ
અભિનેતા વિક્રમજીત કંવરપાલ, જેઓ ‘પેજ 3’, ‘ડોન’, ‘2 સ્ટેટ્સ’ જેવી ઘણી ફિલ્મો અને ટીવી શોમાં જોવા મળ્યા છે, તેઓ 2002માં મેજરના પદ સાથે નિવૃત્ત થયા હતા. 2021 માં 52 વર્ષની ઉંમરે કોવિડને કારણે તેમનું અવસાન થયું હતું. વિક્રમજીતના મૃત્યુ પછી, તેના બાળપણના મિત્રએ જણાવ્યું હતું કે તેઓ પણ કારગિલ યુદ્ધનો ભાગ રહ્યા હતા. યુદ્ધમાંથી પાછા ફર્યા બાદ તેઓ બોલિવૂડમાં જોડાયા હતા.
આ પણ વાંચો: કારગિલ યુદ્ધનો વિરોધ કરવા બદલ પીએમ પદ પરથી હટાવી દેવામાં આવ્યો
હરચરનજીત સિંહ પનાગ
‘ડોર’, ‘રણ’ અને ‘પાતાલ લોક’ જેવી ફિલ્મમાં જોવા મળેલી અભિનેત્રી ગુલ પનાગના પિતા નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ હરચરનજીત સિંહ પનાગ (એચ.એસ. પનાગ) પણ કારગિલ યુદ્ધનો ભાગ રહી ચૂક્યા છે. તેમને પરમ વિશિષ્ટ સેવા મેડલ અને અતિ વિશેષ સેવા મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે. કારગિલ યુદ્ધ 1999માં પૂરું થયું, પણ સેના પાસે હજું ઘણું કામ કરવાનું હતું. તેમણે એલઓસી પર પાકિસ્તાની ચોકીઓનો નાશ કરવા માટે અને આલ્ડોર સેક્ટરમાં પાકિસ્તાની બંકરોનો નાશ કરવા માટે ઑપરેશન કબડ્ડી સહિત અનેક ઓપરેશન્સમાં અગત્યની ભૂમિકા ભજવી હતી.
નાના પાટેકર
બોલિવૂડના જાણીતા અભિનેતા નાના પાટેકરે અભિનયમાંથી બ્રેક લઇ કારગિલ યુદ્ધ દરમિયાન લાઇટ ઇન્ફન્ટ્રી રેજિમેન્ટમાં જોડાયા હતા. તેમણે કમાન્ડર કોર્સ પૂરો કર્યો હતો અને તેઓ સારા શૂટર છે. તે સમયે સંરક્ષણ પ્રધાન જ્યોર્જ ફર્નાન્ડિઝ હતા, તેથી તેમને રણમેદાનમાં જવાનો મોકો મળ્યો હતો. તેમને તેમની સેવા માટે મેડલ પણ મળ્યો હતો.
રણવિજય સિંહ
એમટીવી રોડીઝ ફેમ અભિનેતા રણવિજય સિંહે મનોરંજન ઉદ્યોગમાં પોતાની ઓળખ બનાવી છે, પણ તેઓહંમેશા આર્મીમાં જોડાવા માગતા હતા. તેમના પિતા લેફ્ટનન્ટ જનરલ ઈકબાલ સિંહ સિંઘા કારગિલ યુદ્ધનો હિસ્સો રહી ચૂક્યા છે. યુદ્ધમાં એક રેજિમેન્ટની કમાન સંભાળી રહેલા ઈકબાલ સિંહ યુદ્ધ સમયે રાજૌરી-પૂંચ સેક્ટરમાં પોસ્ટેડ હતા. કારગિલ યુદ્ધસમયે તેઓ સ્કૂલમાં હતા અને તેમના સહાધ્યાયીઓ સાથે યુદ્ધ વિશે ચર્ચા કરતા હતા.