મહારાષ્ટ્રની સરકારી શાળાઓમાં મધ્યાહ્ન ભોજનનું મેનુ બદલાશે, જાણો સરકારનો નવો નિયમ
![Mid-day meal menu will change in Maharashtra government schools, know the new rule of the government](https://bombaysamachar.com/wp-content/uploads/2024/06/plan-afoot-to-serve-breakfast-along-with-mid-day-meal-780x470.webp)
મુંબઈ: મહારાષ્ટ્રની સરકારી શાળાઓ (Maharashtra Government School)માં પીરસવામાં આવતા મધ્યાહન ભોજનમાં હવે હંમેશ મુજબ ખીચડી અથવા દાળ-ભાત નહીં પીરસાય. ત્રણ-કોર્સની નવી ભોજન યોજના બનાવવા માટે 15 જેટલી નવી પૌષ્ટિક વાનગીઓ નક્કી કરવામાં આવી છે, જેમાં ચોખા, દાળ અને શાકભાજી સાથે ફણગાવેલા કઠોળ અને મીઠી વાનગીનો સમાવેશ કરવામાં આવશે.
મધ્યાહન ભોજન માટે આ નવી વાનગીઓનું મેનુ ચાલુ શૈક્ષણિક વર્ષ 2024-25થી લાગુ થશે. વિકલ્પોમાં વટાણા, સોયાબીન, મસૂર અને શાકભાજી સાથે તૈયાર પુલાવ, ખીચડી અને ચોખાના વિકલ્પો અને ફણગાવેલા કઠોળનો સમાવેશ થાય છે. માંસાહારી લોકો માટે ઈંડાનો પુલાવ હશે, જ્યારે મીઠી વાનગીઓમાં ચોખાની ખીર, બાજરી-ખીર અને ગળી ખીચડી ઉપલબ્ધ હશે.
આ પણ વાંચો : Delhi-NCR School Bomb Threat: ધમકીભર્યા ઈમેઈલને ટ્રેસ કરવામાં આવ્યો, AAPએ ભાજપ પર લગાવ્યા ગંભીર આરોપ
નવા મેનૂ સાથે મહારાષ્ટ્ર પીએમ પોષણ યોજના હેઠળ સરકારી શાળાઓમાં મધ્યાહન ભોજનમાં આ ફેરફાર લાવનાર પ્રથમ રાજ્ય બન્યું છે. એકસરખા સ્વાદના ખોરાકનો કંટાળાને દૂર કરવાની સાથે નવી વાનગીઓથી ભોજનનું પોષણ મૂલ્ય પણ વધી જશે. સરકાર દ્વારા પૂરા નહીં પાડવામાં આવતા ઘટકોની વ્યવસ્થા કરવા માટે શાળાઓને નાણાં આપવામાં આવશે.
શાળા સરકારી શિક્ષણ વિભાગ દ્વારા રજૂ કરવામાં આવેલા સરકારી ઠરાવ અનુસાર કોઈ પણ વાનગીનું પુનરાવર્તન બે અઠવાડિયા સુધી ન થાય એની તકેદારી રાખવામાં આવશે. ઠરાવમાં જણાવવામાં આવ્યું છે કે ‘કઈ કઈ વાનગી પીરસવી એનો નિર્ણય સ્થાનિક વ્યવસ્થા તંત્ર દ્વારા લેવામાં આવશે.
મુંબઈમાં પાલિકાનો શિક્ષણ વિભાગ ભોજનની વાનગી અંગે નિર્ણય લેશે જેને શાળાઓએ અનુસરવાનું રહેશે.’ વાનગીઓ તૈયાર કરવા અંગેની સુચના વિશે સરકારી ઠરાવમાં જણાવવામાં આવ્યું છે કે જુદા જુદા 12 વિકલ્પમાંથી સ્થાનિક વ્યવસ્થા તંત્ર દરેક દિવસે શું આપવું એ અંગે નિર્ણય લેશે. આ વિકલ્પમાં વટાણાનો પુલાવ, શાકભાજી નાખી તૈયાર કરેલો પુલાવ, ચણા પુલાવ, સોયાબીન પુલાવ, મસૂર પુલાવ, મસાલા ભાત, મગની દાળની ખીચડી, દાળની ખીચડી વગેરેનો સમાવેશ છે.