‘યાસીન મલિકનો મુદ્દો સંસદમાં ઉઠાવો…’ યાસીનની પત્નીએ રાહુલ ગાંધીને પત્ર લખ્યો

નવી દિલ્હી: જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (JFLF)ના વડા યાસીન મલિક(Yasin Malik)ની પત્ની મુશાલ હુસૈન મલિકે (Mushaal Hussain Malik) લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી(Rahul Gandhi)ને પત્ર લખ્યો છે. મુશાલે પત્રમાં જેલમાં બંધ યાસીનનો મુદ્દો સંસદમાં ઉઠાવવાની માંગ કરી છે. મુશાલે દાવો કર્યો છે કે યાસીન જમ્મુ-કાશ્મીરમાં શાંતિ જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. પત્રમાં મુશાલે જણવ્યું કે યાસીન પર લાગેલા બનાવટી કેસોમાં તેને મૃત્યુદંડની માંગ કરવામાં આવી રહી છે.
મુશાલે માનવ અધિકાર અને મહિલા સશક્તિકરણના મુદ્દે પાકિસ્તાનના વડાપ્રધાનની સહાયક રહી ચુકી છે. રાહુલ ગાંધીને લખેલા પત્રમાં મુશાલે યાસીન પર 3 દાયકા જૂના રાજદ્રોહના કેસ તરફ તેમનું ધ્યાન દોર્યું છે. આ કેસમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી(NIA)એ યાસીનને ફાંસીની સજાની માંગ કરી છે. NIAએ 2017ના આ કેસમાં મલિક સહિત અનેક લોકો સામે ચાર્જશીટ રજૂ કરી હતી.
વર્ષ 2022માં નીચલી અદાલતે યાસીન મલિકને આજીવન કેદની સજા સંભળાવી હતી. મુશાલે પત્રમાં લખ્યું, ‘મલિક જેલમાં અમાનવીય વ્યવહારના વિરોધમાં 2 નવેમ્બરથી અનિશ્ચિત સમયની ભૂખ હડતાળ પર છે. આ ભૂખ હડતાલ મલિકના સ્વાસ્થ્ય પર અસર કરશે. આ એક એવા વ્યક્તિના જીવનને જોખમમાં મૂકશે જેણે શસ્ત્રો છોડવાનું અને અહિંસાના માર્ગને અનુસરવાનું પસંદ કર્યું છે.’
આ પણ વાંચો……. ચૂંટણીમાં હાર બાદ કમલા હેરિસનું પહેલું નિવેદન, જો બાઈડેને પણ આપી પ્રતિક્રિયા
મુશાલે કહ્યું, ‘ભારત વિરુદ્ધ યુદ્ધ કરવાના આરોપ સર યાસીન મલિક પર 35 વર્ષ જૂના કેસમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે અને હવે બનાવટી કેસોમાં NIA મૃત્યુદંડની માંગ કરી રહી છે. હું તમને (રાહુલ)ને વિનંતી કરું છું કે તમે સંસદમાં તમારા ઉચ્ચ નૈતિક અને રાજકીય પ્રભાવનો ઉપયોગ કરો અને યાસીન મલિકના કેસ પર ચર્ચા શરૂ કરો, જે જમ્મુ અને કાશ્મીરમાં વાસ્તવિક શાંતિ સ્થાપિત કરવામાં મદદરૂપ થશે.’