
અમદાવાદઃ આઈસીસી વન-ડે વર્લ્ડ કપની ફાઈનલ મેચની ઘડીઓ હવે ગણાઈ રહી છે, જેમાં પહેલી સેમી ફાઈનલનું પરિણામ આવી ગયું છે, જ્યારે બીજી સેમી ફાઈનલના પરિણામની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે ફાઈનલના દિવસે અમદાવાદમાં એર ફોર્સ દ્વારા શાનદાર એર શોનું આયોજન કરવામાં આવશે.
19મી નવેમ્બરે અમદાવાદમાં રમાનારી ફાઈનલ મેચ માટે ઈન્ડિયન એરફોર્સે સૂર્ય કિરણ એરોબેટિક ટીમ દ્વારા આ એર શોનું આયોજન કરવામાં આવી શકાય છે. ઈન્ડિયન એરફોર્સની સૂર્ય કિરણ એરોબેટિક ટીમ મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ફાઈનલ મેચ પૂર્વે દસ મિનિટ સુધી પોતાનો કરતબ બતાવીને લોકોને રોમાંચિત કરશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આ એર શોનું રિહર્સલ આવતીકાલે એટલે શુક્રવાર અને શનિવારે એમ બે દિવસ દરમિયાન કરવામાં આવશે. ભારતીય ટીમ તો ગઈકાલે ન્યૂ ઝીલેન્ડને હરાવીને વન-ડે વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી ગયા છે. રહી વાત ઈન્ડિયન એરફોર્સની સૂર્ય કિરણ એરોબેટિક ટીમમાં સામાન્ય રીતે નવ વિમાનનો સમાવેશ થાય છે અને દેશભરમાં અનેક વખત એરશો પણ કર્યાં છે.
વર્લ્ડ કપની ફાઈનલ મેચ પૂર્વે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમની આસપાસ એર શોનું રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું, જ્યારે તેનો વીડિયો પણ લોકોના ધ્યાનમાં આવ્યો છે. હવે વર્લ્ડ કપની ફાઈનલ મેચ પૂર્વે આ એર શોનું આયોજન કરવાની પણ મંજૂરી માગવામાં આવી હોવાનું જણાવ્યું હતું.