IPL 2025ટોપ ન્યૂઝ

બેંગલૂરુમાં ચૅમ્પિયન આરસીબીની ટીમને જોવા હજારો લોકો ઊમટી પડ્યાઃ 10 જણના મૃત્યુ, અનેક ઘાયલ

બેંગલૂરુઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના 18 વર્ષના ઇતિહાસમાં પહેલી વાર ચૅમ્પિયન બનેલી રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)ટીમ અમદાવાદમાં ચૅમ્પિયનપદ મેળવ્યા બાદ બેંગલૂરુ (BENGALURU) પહોંચી ત્યારે તેમના સ્વાગત કાર્યક્રમ બાદ શહેરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર ભેગા થયેલા હજારો લોકોના ધસારા વચ્ચે ભાગદોડ થતાં એક મહિલા અને એક બાળક સહિત કુલ દસ જણના મૃત્યુ થયા હોવાનો અહેવાલ મળ્યો હતો.

ચૅમ્પિયન ખેલાડીઓને જોવા હજારો લોકોની મેદની જમા થઈ જતાં પોલીસ તંત્ર માટે સ્થિતિને કાબૂમાં લેવી મુશ્કેલ થઈ ગઈ હતી અને એમાં ઓછામાં ઓછા 20 જણા ઘાયલ થયા હોવાનું પણ જાણવા મળ્યું હતું. પોલીસે લોકોને કાબૂમાં લેવા લાઠીમાર કર્યો હોવાનો પણ અહેવાલ હતો.

આ પણ વાંચો – અમદાવાદમાં RCBના ઐતિહાસિક વિજય પર જામનગરના જામસાહેબે પાઠવી શુભેચ્છા

દક્ષિણ ભારતના એક જાણીતા દૈનિકના અહેવાલ મુજબ ઈજા પામેલા લોકોને શિવાનીનગર વિસ્તારની બૉવરિંગ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
રજત પાટીદાર સુકાનમાં અને વિરાટ કોહલી તથા બીજા સ્ટાર ખેલાડીઓને જોવા સ્ટેડિયમની બહાર હજારો લોકો બપોરથી જ જમા થવા લાગ્યા હતા. સ્ટેડિયમની આસપાસના અનેક રસ્તા પર લોકોની ભીડ જામી હતી.

સાંજે વરસાદ પડતાં પરિસ્થિતિ વધુ જટિલ થઈ ગઈ હતી અને સલામતી રક્ષકોને લોકોની ભીડ કાબૂમાં લેવામાં મુશ્કેલી થઈ હતી.

એ પહેલાં, બપોરે પહોંચી હતી જ્યાં વિજેતા ખેલાડીઓનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. ગાર્ડન સિટી તરીકે ઓળખાતા બેંગલૂરુના ઍરપોર્ટ પર ટીમ આવી પહોંચી કે તરત જ ત્યાં ઊભેલા સેંકડો ચાહકોએ ચીસો અને બૂમો પાડીને તેમને આવકાર્યા હતા. સાંજે પાંચ વાગ્યે ઓપન-ટૉપ બસ પરેડ યોજવાની જાહેરાત કરાઈ હતી.

વિમાની મથકે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન ડી. કે. શિવકુમારે રજત પાટીદાર ઍન્ડ કંપનીને વેલકમ કર્યું હતું. ચૅમ્પિયન ખેલાડીઓને જોવા ઍરપોર્ટની આસપાસના રસ્તાઓ પર અસંખ્ય લોકો કતારમાં ઊભા હતા.

મંગળવારે અમદાવાદમાં પંજાબ કિંગ્સને ફાઇનલમાં ફક્ત છ રનના તફાવતથી હરાવીને પહેલી જ વાર ટાઇટલ જીતનાર આરસીબીના ખેલાડીઓની બસ મુખ્ય પ્રધાન સિદ્ધારામૈયાની વિધાન ભવન ખાતેની ઑફિસ સુધી લઈ જવામાં આવી રહી હતી ત્યારે પણ રસ્તાની બન્ને બાજુએ ઊભેલા ક્રિકેટચાહકોએ ખેલાડીઓને ચિયર-અપ કર્યા હતા અને ખેલાડીઓએ પણ ચાહકોનું અભિવાદન ઝીલ્યું હતું.
મુખ્ય પ્રધાનની ઑફિસ ખાતેથી આરસીબી ટીમની બસને સીધી એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે લઈ જવાનો કાર્યક્રમ હતો. બેંગલૂરુ ટ્રાફિક પોલીસના એક ટવીટ અનુસાર ટ્રાફિક જૅમ થઈ જવાની તેમ જ વરસાદ પડવાની સંભાવનાને કારણે ઓપન-ટૉપ બસ પરેડની યોજના નહોતી, પરંતુ `એક્સ’ પરના આરસીબીના અકાઉન્ટમાં જાહેરાત કરવામાં આવી હતી કે આજે (બુધવારે) સાંજે પાંચ વાગ્યે ઓપન-ટૉપ બસ પરેડ યોજાશે. આ જાહેરાત વાંચીને પણ અનેક લોકો સ્ટેડિયમ તરફ દોડ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button