
નવી દિલ્હી: અયોધ્યાના રામ મંદિર(Ayodhya Ram mandir)માં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવની તૈયારીઓને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે. ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)એ આજે ગુરુવારે શ્રી રામ જન્મભૂમિ મંદિર સ્મારક ટપાલ ટિકિટો(Postal Stamp) બહાર પાડી હતી. ઉપરાંત વિશ્વભરમાં ભગવાન રામના માનમાં જાહેર કરાયેલી પોસ્ટેજ ટિકિટોની બુકલેટ પણ બહાર પાડી.
આ અવસર પર વડા પ્રધાન મોદીએ કહ્યું કે આપણે બધા પોસ્ટલ સ્ટેમ્પના ઉપયોગ વિષે જાણીએ છીએ પરંતુ પોસ્ટલ સ્ટેમ્પ બીજી મહત્વની ભૂમિકા ભજવે છે. તેમણે કહ્યું કે પોસ્ટલ સ્ટેમ્પ એ ઈતિહાસ અને ઐતિહાસિક પ્રસંગો, વિચારો અને ઈતિહાસને આવનારી પેઢી સુધી પહોંચાડવાનું પણ એક માધ્યમ છે.
આ અવસર પર વડા પ્રધાન મોદીએ કહ્યું, ‘જ્યારે કોઈ પત્ર અથવા ટપાલ મોકલે છે, ત્યારે તે સ્વાભાવિક રીતે ઈતિહાસનો એક ભાગ કોઈ બીજાને પહોંચાડે છે. આ ટિકિટ માત્ર કાગળનો ટુકડો નથી, તે એક મોટું પુસ્તક અને મોટી વિચારસરણીનો દસ્તાવેજ પણ છે. આપણી યુવા પેઢીને આ ટપાલ ટિકિટોમાંથી ઘણું જાણવા અને શીખવા મળશે.’
સ્ટેમ્પ બુકલેટમાં વિવિધ સમાજોની શ્રી રામ પ્રત્યેની આસ્થાને દર્શાવવાનો પ્રયાસ છે. 48 પાનાના પુસ્તકમાં યુએસ, ન્યુઝીલેન્ડ, સિંગાપોર, કેનેડા, કંબોડિયા અને સંયુક્ત રાષ્ટ્ર જેવા સંગઠનો સહિત 20 થી વધુ દેશો દ્વારા બહાર પાડવામાં આવેલી ટપાલ ટિકિટોનો સમાવેશ થાય છે.
ટપાલ ટીકીટો પર જાહેર કરાયેલી પુસ્તિકાનો ઉલ્લેખ કરતા વડા પ્રધાન મોદીએ કહ્યું, ‘રામ ભારતની બહાર પણ એટલા જ આદર્શ છે જેટલા તે ભારતમાં છે. આધુનિક સમયમાં પણ ઘણા દેશોએ તેમના ચરિત્રની પ્રશંસા કરી છે. આ આલ્બમ ભગવાન રામ અને માતા જાનકીના જીવનની પણ યાત્રા કરાવશે.”
વડા પ્રધાને રજુ કરેલી સ્ટેમ્પ્સની ડિઝાઇનમાં રામ મંદિર, ચૌપાઈ ‘મંગલ ભવન અમંગલ હરિ’, સૂર્ય, સરયુ નદી, મંદિરની અંદર અને તેની આસપાસના શિલ્પોની આકૃતિઓનો સમાવેશ થાય છે.