
રશિયા અને યુક્રેન વચ્ચેનો સંઘર્ષ અટકવાનું નામ નથી લઈ રહ્યો. ફેબ્રુઆરી 2022 માં શરૂ થયેલા હિંસક સંઘર્ષ પરમાણુ યુદ્ધ તરફ આગળ વધી રહ્યું હતું. બંને દેશોમાં વસતા ભારતીયોની સલામત વાપસી કે તેમની સલામતી માટે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કમાન સંભાળી હતી. હવે એક અમેરિકન રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે રાષ્ટ્રપતિ પુતિને યુક્રેન પર પરમાણુ હુમલાની યોજના બનાવી હતી, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તક્ષેપ બાદ આ સંકટ ટળી ગયું હતું. આ અંગે અમેરિકાના રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે.
અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન પ્રશાસનને ચિંતા હતી કે રશિયા યુક્રેનને ખતમ કરવા માટે વ્યૂહાત્મક અથવા પરમાણુ હથિયારોનો ઉપયોગ કરી શકે છે. આ અંગે અમેરિકાએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય દેશોના નેતાઓનો સંપર્ક કર્યો હતો.
જ્યારે યુક્રેનિયન દળો દક્ષિણમાં રશિયાના કબજા હેઠળના ખેરસન પર આગળ વધી રહ્યા હતા અને તેઓએ સમગ્ર રશિયન સૈન્યને ઘેરી લીધું હતું. અમેરિકી વહીવટીતંત્રમાં એવી ચર્ચા ચાલી રહી હતી કે બંને દેશો વચ્ચે ખેરસનમાં ઉભી થયેલી સ્થિતિ પરમાણુ હથિયારોના ઉપયોગ માટે સંભવિત કારણ બની શકે છે. આ પછી અમેરિકાએ ભારત સહિત ગ્લોબલ સાઉથના અન્ય દેશો પાસેથી મદદ માંગી હતી. અમેરિકાના વરિષ્ઠ વહીવટી અધિકારીએ કહ્યું હતું કે, અમેરિકાની વિનંતી બાદ ભારત અને ચીન સહિત અન્ય દેશોએ રશિયાનો સંપર્ક કર્યો અને તેના પર દબાણ વધાર્યું હતું.
રશિયા-યુક્રેન યુદ્ધના કિસ્સામાં, ભારતે હંમેશા નિર્દોષ નાગરિકોની હત્યાઓની નિંદા કરી છે અને યુદ્ધના શાંતિપૂર્ણ ઉકેલ માટે હાકલ કરી છે. PM મોદીએ ઉઝબેકિસ્તાનમાં SCO સમિટ દરમિયાન પુતિનને કહ્યું હતું કે આ યુદ્ધનો યુગ નથી.
રશિયા અને યુક્રેન વચ્ચે 24 ફેબ્રુઆરી 2022ના રોજ યુદ્ધ શરૂ થયું હતું. જે હજુ પણ ચાલુ છે. બે વર્ષથી વધુ સમય પછી પણ રશિયા કે યુક્રેન પીછેહઠ કરવા તૈયાર નથી. રશિયાની સેનાએ હાલમાં યુક્રેનના ઘણા શહેરો કબજે કર્યા છે. પૂર્વી યુક્રેનમાં બખ્મુત શહેરનો કબજો આમાં સૌથી મહત્વપૂર્ણ છે. તેને યુક્રેનિયન રાજકારણનું કેન્દ્ર કહેવામાં આવે છે. તેની નજીક, રશિયાએ ડોનેત્સ્કના બે મોટા શહેરો પર પણ ઘણી હદ સુધી નિયંત્રણ મેળવી લીધું છે. લુહાન્સ્ક પણ રશિયાના કબજા હેઠળ છે, જ્યારે રશિયા 2014થી ક્રિમિયા પર નિયંત્રણ ધરાવે છે. યુક્રેન વિનાશ વચ્ચે પણ રશિયન દળોને તેના શહેરોમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યું છે.
શું છે વિવાદઃ રશિયા અને યુક્રેન વચ્ચે નવેમ્બર 2013માં તણાવ શરૂ થયો હતો. જ્યારે કિવમાં યુક્રેનના તત્કાલિન રાષ્ટ્રપતિ વિક્ટર યાનુકોવિચ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન શરૂ થયા હતા. યાનુકોવિચને રશિયાનું સમર્થન હતું, જ્યારે વિરોધીઓને યુનાઇટેડ સ્ટેટ્સ અને બ્રિટનનું સમર્થન હતું. વિદ્રોહના કારણે ફેબ્રુઆરી 2014માં યુક્રેનના રાષ્ટ્રપતિ યાનુકોવિચે દેશ છોડીને રશિયામાં શરણ લેવી પડી હતી. અહીંથી વિવાદ શરૂ થયો અને રશિયાએ જવાબી કાર્યવાહી કરીને દક્ષિણ યુક્રેનના ક્રિમિયા પર કબજો કરી લીધો. મામલો અહીં જ નહોતો અટક્યો. રશિયાએ ખુલ્લેઆમ યુક્રેનિયન અલગતાવાદીઓને સમર્થન આપ્યું હતું. ત્યારથી યુક્રેનની સેના અને અલગતાવાદીઓ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે.