Mumbai Votes: …આ કારણે આમ આદમી પાર્ટીએ કરી રાતપાળી

મુંબઈઃ મુંબઈ સહિત મહારાષ્ટ્રની 13 બેઠક માટે મતદાન શરૂ થઈ ગયું છે. ગરમીનો માહોલ હોવાથી લોકો સવારે વહેલા મતદાન (VOTING) કરવા નીકળી પડ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ગઈકાલ રાત્રે જાગરણ કર્યું હોવાની માહિતી મળી છે. મતદાનની આગલી રાત્રે મતદારોને રીઝવવામાં આવતા હોય છે કે અમુક કેસમાં ધમકાવવામાં પણ આવતા હોય છે. તેમને પૈસા, ભેટસોગાદો આપવામાં આવતી હોય છે અને જે તે ઉમેદવારની તરફેણમાં મત આપવા દબાણ કરવામાં આવતું હોય છે. આથી આમ ન થાય તે માટે આપના કાર્યકરોએ રાતપાળી કરી ચોકીદારી કરી હોવાનો દાવો પક્ષે કર્યો હતો.
આમ આદમી પાર્ટી (AAP) ના મુંબઈ અધ્યક્ષ પ્રીતિ શર્માએ કહ્યું કે આવી ઘટનાઓને રોકવા માટે આમ આદમી પાર્ટીના મુંબઈ કાર્યકર્તાઓ આખી રાત આંખમાં તેલ લગાવીને તકેદારી રાખશે. લોકસભાની ચૂંટણી માટે આવતીકાલે સોમવારે મતદાન છે. જો કે, મતદાનની પૂર્વસંધ્યાએ, મતદારોને ડરાવવા, ચોક્કસ ઉમેદવારને મત આપવા માટે દબાણ કરવું અથવા મતો ખરીદવા જેવી ઘટનાઓ ઘણી જગ્યાએ થઈ શકે છે. તે માટે AAP કાર્યકર્તાઓએ પણ સૂચના આપી હતી કે તેઓ આવી ઘટનાઓને તેમના મોબાઈલ કેમેરામાં રેકોર્ડ કરે અને તેને સંબંધિત પોલીસ સ્ટેશનો અને ચૂંટણી અધિકારીઓને મોકલે.
આપનો ઉમેદવાર મુંબઈમાં નથી પરતું પક્ષ ઈન્ડિયા ગઠબંધન સાથે જોડાયેલો છે આથી તેમના મુંબઈની છ બેઠકના ઉમેદવારના સમર્થનમાં કામ કરી રહ્યો છે.