Loksabha Election 2024 : ગુજરાતમાં પીએમ મોદી બે દિવસમાં 13 લોકસભા વિસ્તારમાં પ્રચાર કરશે, છ જાહેર સભાને સંબોધશે

ગુજરાતમાં 7 મેના રોજ લોકસભા ચૂંટણી માટે મતદાન યોજવવાનું છે. જેના પગલે પીએમ મોદી બુધવારથી બે દિવસ રાજ્યના ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરશે. બે દિવસના ચૂંટણી પ્રચાર દરમ્યાન પીએમ મોદી 13 લોકસભા મતવિસ્તારને આવરી લેશે. પીએમ મોદી છ જાહેર સભાને સંબોધશે. જેમાં 1 મેના રોજ પીએમ મોદી બે રેલીને સંબોધિત કરશે. જેમાં પ્રથમ રેલી બનાસકાંઠાના ડીસામાં બપોરે 2.30 વાગે ડીસા એરોડ્રામ ગ્રાઉન્ડ પર સંબોધિત કરશે. જેમાં બે લોકસભા બનાસકાંઠા અને પાટણ પર દયાન કેન્દ્રિત કરવામાં આવશે. જ્યારે ત્યાર બાદ બપોરે 4. 15 વાગે સાબરકાંઠા અને મહેસાણા લોકસભા વિસ્તારને આવરી લેતા હિંમતનગરમાં સભાને સંબોધિત કરશે.
જયારે પીએમ મોદી ચૂંટણી પ્રવાસના બીજા દિવસે 2 મેના રોજ આણંદ અને ખેડા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારના સમર્થનમાં સવારે 10 વાગે આણંદના શાસ્ત્રી ગ્રાઉન્ડમાં રેલીને સંબોધિત કરશે. જ્યારે ત્યાર બાદ બપોરે 12 વાગે સુરેન્દ્રનગર, રાજકોટ અને ભાવનગર સહિતના લોકસભા મતવિસ્તારો માટેના સમર્થન માટે સુરેન્દ્રનગર-રાજકોટ રોડ પર ત્રિમંદિર ગ્રાઉન્ડ પાસે રેલી કરશે. તેની બાદ બપોરે 2. 15 વાગે જૂનાગઢ, પોરબંદર અને અમરેલી લોકસભા બેઠકોને આવરી લેતા પીએમ મોદી જૂનાગઢની કૃષિ વિશ્વવિદ્યાલય ખાતે જનસભાને સંબોધશે. પીએમ મોદી ત્યાર બાદ જામનગર લોકસભા અને પોરબંદર વિધાનસભા બેઠકને કેન્દ્રમાં રાખી સાંજે 4:15 વાગ્યે જામનગરના દર્શન ગ્રાઉન્ડ ખાતે જાહેર સભાને સંબોધશે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતની 26 લોકસભા બેઠકોમાંથી 25 બેઠકો પર 7મી મેના રોજ મતદાન થશે. સુરતમાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ પહેલેથી જ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.