આખરે લશ્કર- એ- તૈયબાના આતંકવાદી ઉઝૈર ખાનને ઠાર કરવામાં સેનાને મળી સફળતા…

જમ્મુ કાશ્મીર: જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અઠવાડિયાથી ચાલી રહેલા એન્કાઉન્ટરમાં મંગળવારે સેનાને મોટી સફળતા હાથ લાગી હતી. સેનાને આખરે લશ્કર- એ- તૈયબાના આતંકવાદી ઉઝૈર ખાનને ઠાર કરવામાં સફળતા મળી છે. આ બાબતે માહિતી આપતા કાશ્મીરના એડીજીપી વિજય કુમારે જણાવ્યું હતું કે, મંગળવારે અનંતનાગમાં અઠવાડિયાથી ચાલી રહેલા ઓપરેશનમાં આતંકવાદી ઉઝૈર ખાન માર્યો ગયો છે. જોકે, હજી સુધી એક મૃતદેહની શોધ કરવામાં આવી રહી છે જે આતંકવાદીનો હોવાની પૂરેપૂરી શકયતા વ્યકત કરાઈ રહી છે. સર્ચ ઓપરેશન હજી પણ ચાલુ જ રાખવામાં આવશે કારણ કે, અહીં હથિયારો મળી આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ ઓપરેશનમાં સેનાના ચાર જવાનો પણ શહીદ થયા છે. તેમણે વધુમાં એવું પણ જણાવ્યું હતું કે, હજું સર્ચ ઓપરેશન ચાલું રહેશે કારણ કે, અનેક વિસ્તારની તપાસ હજી બાકી છે. અમે સ્થાનિક લોકોને અપીલ કરીએ છીએ કે, તેઓ આ વિસ્તારોમાં ન જાય. અમારી પાસે બેથી ત્રણ આતંકવાદીઓ અહીં હોવાની જાણકારી મળી હતી. એવી શક્યતા પણ છે કે, અમને ત્રીજો મૃતદેહ પણ મળી જાય અને આ જ કારણોસર અમે સર્ચ ઓપરેશન ચાલુ રાખીશું.
વિજય કુમારે વધુમાં એવું પણ જણાવ્યું હતું કે, અમને લશ્કર- એ- તૈયબાના કમાંડરનો મૃતદેહ મળી આવ્યો છે અને અમે તેને કબજામાં લઈ લીધો છે. અમને બીજો મૃતદેહ પણ મળે એવી પૂરેપૂરી શક્યતા છે એટલા માટે ત્રીજા મૃતદેહની તલાશ કરવામાં આવી રહી છે. એક અઠવાડિયાથી ચાલી રહેલા આ એન્કાઉન્ટરનો આખરે ગણેશ ચતુર્થીના દિવસે અંત આવ્યો હતો.
અહીંયા તમારી જાણ માટે કે દક્ષિણ કાશ્મીરના અનંતનાગ કોકરનામ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી અને માહિતી મળતાં જ સેનાના જવાનો અને જમ્મુ-કાશ્મીર પોલીસ અહીંયા પહોંચી ગઈ હતી.