ઈરાન પર હુમલા બાદ નેતન્યાહૂએ પીએમ મોદીને કર્યો ફોન, જાણો શું કરી વાત…

નવી દિલ્હીઃ ઈઝરાયલે શુક્રવારે સવારે ઈરાનના અનેક ઠેકાણા પર હુમલો કર્યો હતો. આ હુમલામાં તહેરાનમાં 78 લોકોના મૃત્યુ થયા હતા. તેમાં ઘણા ટોપ કમાન્ડર તથા પરમાણુ વૈજ્ઞાનિકના મોત થયા હતા. ઈરાને પણ વળતો પ્રહાર કરતાં ઈઝરાયલ પર ડ્રોન હુમલો કર્યો હતો. જોકે ઈઝરાયલે તમામ ડ્રોન તોડી પાડ્યાનો દાવો કર્યો હતો.
ઈઝરાયલના વડા પ્રધાન કાર્યાલયના જણાવ્યા મુજબ, નેતન્યાહૂએ પીએમ નરેન્દ્ર મોદીને સ્થિતિની જાણકારી આપી છે. નિવેદનમાં જણાવાયા મુજબ, વડા પ્રધાન બેંજામિન નેતન્યાહૂએ જર્મન ચાંસલર, ભારતના વડા પ્રધાન અને ફ્રાંસના રાષ્ટ્ર પ્રમુખ સાથે વાત કરી હતી.
ઈઝરાયલે આ અભિયાનને ઓપરેશન રાઈઝિંગ લાયન નામ આપ્યું છે. વડા પ્રધાન નેતન્યાહૂએ તેને દેશના ઈતિહાસની નિર્ણાયક ક્ષણ ગણાવીને કહ્યું, આ હુમલામાં ઈરાનના પરમાણુ કાર્યક્રમ સેન્ટર બનાવવામાં આવ્યું હતું.
વડા પ્રધાન મોદીએ શું લખ્યું
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ અંગે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરી હતી. તેમણે લખ્યું, ઈઝરાયલના વડા પ્રધાન બેંજામિન નેતન્યાહૂનો ફોન આવ્યો હતો. તેમણે મને વર્તમાન સ્થિતિ અંગે જાણકારી આપી છે. મેં તેમની સાથે ભારતની ચિંતાઓ શેર કરી અને શાંતિ તથા સ્થિરતાની જરૂરિયાત પર ભાર મુક્યો.
આ વૈશ્વિક નેતાઓ સાથે પણ વાત કરશે નેતન્યાહૂ
નેતન્યાહૂ અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, રશિયાના રાષ્ટ્ર પ્રમુખ પુતિન અને બ્રિટનના વડા પ્રધાન કીર સ્ટાર્મર સાથે પણ વાત કરશે. ઉલ્લેખનીય છે કે ઈઝરાયલ ભારતનો રક્ષા ભાગીદાર દેશ છે, તેમજ ઈરાન સાથે પણ ભારતના ઐતિહાસિક સંબંધ છે. ઈરાને અનેક વખત ઈસ્લામિક દેશોના સંગઠન (ઓઆઈસી)ના મંચ પર ભારતની તરફેણ કરી છે.