
મુંબઈ: ભારતના અર્થતંત્રનું કદ વધી રહ્યું છે, આ સાથે ભારતમાં ધનિકોની સંખ્યા ખુબ ઝડપથી વધી રહી છે. તાજેતરમાં જ વૈશ્વિક રિયલ એસ્ટેટ કન્સલ્ટન્સી ફર્મ નાઈટ ફ્રેન્ક દ્વારા ‘ધ વેલ્થ રિપોર્ટ-2025’માં જાહેર કરવામાં આવ્યો છે. અહેવાલ મુજબ દેશમાં 10 મિલિયન ડોલર (લગભગ 87 કરોડ રૂપિયા) થી વધુ સંપત્તિ ધરાવતા ભારતીયોની સંખ્યા ગયા વર્ષે છ ટકા વધીને 85,698 થઇ ગઈ છે, આ ઉપરાંત ભારતમાં હવે 191 અબજોપતિઓ છે.
રિપોર્ટ અનુસાર, ભારતમાં હાઈ નેટ-વર્થ ઈન્ડિવિજ્યુઅલ્સ(HNWIs) ની સંખ્યા 2023 માં 80,686 હતી જે વધીને 2024 માં 85,698 થઇ હતી. કંપનીએ જણાવ્યું હતું કે 2028 સુધીમાં આ સંખ્યા વધીને 93,753 થવાની ધારણા છે. આ દર્શાવે છે કે ભારતમાં ધનિક લોકોની સંખ્યા વધી રહી છે.
અબજોપતિઓની સંખ્યામાં 27 ગણી વધી:
અહેવાલ મુજબ ભારતમાં અબજોપતિઓની સંખ્યા પણ વધી રહી છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું કે હાલમાં ભારતમાં 191 અબજોપતિ છે. 26 લોકો ગત વર્ષે જ આ યાદીમાં ઉમેરાયા હતાં. 2019 માં આ સંખ્યા માત્ર સાત હતી, એટલે કે 5 વર્ષમાં અબજોપતિઓની સંખ્યામાં 27 ગણાથી વધુનો વધારો થયો છે.
નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના પદાધિકારીએ જણાવ્યું હતું કે ભારતમાં વધતી સંપત્તિ તેની આર્થિક શક્તિ અને લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવનાને દર્શાવે છે. દેશમાં વધતી જતી એન્ટરપ્રેન્યોરશીપ, ગ્લોબલ ઇન્ટ્રીગેશન અને વિકસતા ઉદ્યોગો સાથે ઉચ્ચ નેટવર્થ ધરાવતા વ્યક્તિઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.