
પૂર્ણિયા: બિહારના પૂર્ણિયા જિલ્લાના મુફ્ફસિલ પોલીસ સ્ટેશન વિસ્તારના ટેટગામા ગામમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં ડાયન હોવાના આરોપસર એક જ પરિવારના પાંચ સભ્યોને નિર્દયતાથી માર મારવામાં આવ્યા હતા ત્યાર બાદ જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા, જેના કારણે તેમના મોત થયા હતા. આ હત્યાકાંડથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે, જ્યારે પોલીસ પ્રશાસન દ્વારા સત્વરે કાર્યવાહી હાથ ધરી હતી.
શું છે ઘટનાની વિગતો?
પ્રાથમિક માહિતી અનુસાર, ગામના જ રામદેવ ઉરાંવના પુત્રનું ત્રણ દિવસ પહેલા ગામમાં ઝાડફૂંક અને ઈલાજ દરમિયાન મૃત્યુ થયું હતું. આ ઉપરાંત, તેમનો બીજો બાળક પણ બીમાર પડી રહ્યો હતો.
આપણ વાંચો: રાજા રઘુવંશી હત્યાકાંડના બે આરોપી સ્ટેટમેન્ટ બદલ્યું, શું હવે રાજાને મળશે ન્યાય?
આને કારણે, ગામના લોકોએ મૃત્યુનું કારણ આ પરિવારમાં “ડાકણ” (ચૂડેલ) હોવાનું જણાવ્યું હતું અને આ આરોપસર એક જ પરિવારના પાંચ સભ્યો – બાબુલાલ ઉરાંવ, સીતા દેવી, મનજીત ઉરાંવ, રનિયા દેવી અને તપતો મોસમદ ને નિર્દયતાથી મારી નાખવામાં આવ્યા.
તેમને પહેલા માર મારવામાં આવ્યો અને પછી જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. મળતી માહિતી પ્રમાણે સેંકડો લોકોએ એક જ પરિવારના સભ્યોને ઘેરીને મારપીટ કરી હતી, ત્યારબાદ સળગાવી દીધા હતા એટલું જ નહીં, તેમના મૃતદેહોને ગાયબ પણ કરી નાખ્યા હતા.
ફરાર આરોપીઓ અને પોલીસ તપાસ
આ ઘટના બાદ તમામ આરોપીઓ ગામ છોડીને ફરાર થઈ ગયા છે અને પોલીસ તેમની સઘન શોધખોળ કરી રહી છે. પોલીસ ઘટનાસ્થળે સતત પેટ્રોલિંગ કરી રહી છે અને ડોગ સ્ક્વોડ તેમજ FLC (ફોરેન્સિક લેબ)ની ટીમ પણ તપાસ માટે પહોંચી ગઈ છે. આ કેસમાં નકુલ કુમાર નામની એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે, જેના પર લોકોને જીવતા સળગાવવા ઉશ્કેરવાનો આરોપ છે.
પરિવારના સભ્યનું નિવેદન
મૃતકના પરિવારમાં બચી ગયેલા એકમાત્ર વારસદાર લલિતે જણાવ્યું કે તેમના આખા પરિવારને ડાકણ હોવાનો આરોપ લગાવીને પહેલા નિર્દયતાથી માર મારવામાં આવ્યો અને પછી જીવતા સળગાવી દેવામાં આવ્યો.
લલિતે કોઈક રીતે પોતાનો જીવ બચાવીને ત્યાંથી ભાગી છૂટ્યા. તેમણે વધુમાં જણાવ્યું કે સળગાવ્યા બાદ મૃતદેહોને પાણીમાં ફેંકી દેવામાં આવ્યા હતા. આ ઘટના બાદ લલિત પણ ડરેલો છે. આ બનાવ પછી એસપી, એએસપી સહિત અનેક પોલીસ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.