
નવી દિલ્હી : ભારતના ઓપરેશન સિંદુર બાદ પાકિસ્તાનના આતંકી ચહેરાને પર્દાફાશ કરવા માટે ભારતનું સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ વિદેશ પ્રવાસે છે. જેના એક પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહેલા કોંગ્રેસના સાંસદ શશી થરૂર અને અન્ય કોંગ્રેસના નેતાઓ વચ્ચે સતત શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે.
રણદીપ સુરજેવાલાએ વિવાદને શાંત પાડવાનો પ્રયાસ કર્યો
તેવા સમયે પનામામાં કોંગ્રેસ નેતા શશી થરૂરે સર્જિકલ સ્ટ્રાઈક સંબંધિત નિવેદન આપ્યું હતું. આ નિવેદન બાદ કોંગ્રેસમાં વિવાદ ઉભો થયો છે. ઘણા નેતાઓ શશી થરૂર પર નિશાન સાધી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના મહાસચિવ રણદીપ સુરજેવાલાએ વિવાદને શાંત પાડવાનો પ્રયાસ કર્યો છે.
કોંગ્રેસ સરકારે હંમેશા આતંકવાદીઓને જવાબ આપ્યો
કોંગ્રેસના મહાસચિવ રણદીપ સુરજેવાલાએ કહ્યું કે શશી થરૂર કોંગ્રેસના એક વરિષ્ઠ નેતા છે. પરંતુ તેમના નિવેદનમાં હકીકત દોષ હતો. પાર્ટીએ ફક્ત રેકોર્ડ સુધાર્યો છે. તેમણે સ્પષ્ટતા કરી કે યુપીએ શાસન દરમિયાન પણ પાકિસ્તાન સામે સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે આ ઓપરેશન સશસ્ત્ર દળો દ્વારા કરવામાં આવી હતી અને કોંગ્રેસ સરકારે હંમેશા આતંકવાદીઓને જવાબ આપ્યો છે.
સરકારોની લશ્કરી કાર્યવાહીનો ઉલ્લેખ કર્યો ન હતો
કોંગ્રેસના મહાસચિવ રણદીપ સુરજેવાલાએ કહ્યું કે તેમના વિરુદ્ધ કોઈ કડવાશ નથી. પાર્ટીનો હેતુ થરૂરનું અપમાન કરવાનો નથી પરંતુ સાચા તથ્યો રજૂ કરવાનો છે. થરૂરે પનામામાં કહ્યું હતું કે ભાજપે વર્ષ 2016 માં પહેલીવાર પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઈક કરનાર પ્રથમ પક્ષ હતો. તેની બાદ વર્ષ 2019 માં પણ સર્જિકલ સ્ટ્રાઈક કરીને પાકિસ્તાનને યોગ્ય જવાબ આપવામાં આવ્યો હતો. તેમણે પાછલી સરકારોની લશ્કરી કાર્યવાહીનો ઉલ્લેખ કર્યો ન હતો.
થરૂર ભાજપના સુપર પ્રવક્તા
થરૂરના આ નિવેદન પર કોંગ્રેસ ગુસ્સે થઈ ગઈ અને તેના નેતાઓએ શશી થરૂર પર નિશાન સાધ્યું. આના પર કોંગ્રેસના નેતા ઉદિત રાજે પહેલા કહ્યું કે થરૂર ભાજપના સુપર પ્રવક્તા છે. તેઓ કોંગ્રેસને નષ્ટ કરવાનું કાવતરું ઘડી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે થરૂરનું નિવેદન જુઠ્ઠાણા પર આધારિત છે અને તેમને ભાજપના પ્રચારક જાહેર કરવા જોઈએ.
શશી થરૂરએ કરી સ્પષ્ટતા
કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ તો પોતાની પાર્ટીના સાંસદના પુસ્તક ‘ધ પેરાડોક્સિકલ પ્રાઇમ મિનિસ્ટર’નું ઉદાહરણ પણ આપ્યું. તેમણે X પર પોસ્ટ કર્યું કે થરૂરે પોતે યુપીએ સરકારની સર્જિકલ સ્ટ્રાઈકનો ઉલ્લેખ કર્યો હતો. આ પ્રકારની ટીકા દર્શાવે છે કે થરૂરની ટિપ્પણીથી કોંગ્રેસના એક મોટા વર્ગમાં અસંતોષ ફેલાયો છે.
મારા શબ્દોને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યા
જોકે, આ મુદ્દે શશી થરૂરની સ્પષ્ટતા પણ બહાર આવી. તેમણે કહ્યું હતું કે મારું નિવેદન યુદ્ધો પર નહીં, તાજેતરની કાર્યવાહીઓ પર હતું. થરૂરે X પર સ્પષ્ટતા કરી કે હું સ્પષ્ટપણે ફક્ત તાજેતરની આતંકવાદી ઘટનાઓ અને તેના પ્રતિભાવો વિશે વાત કરી રહ્યો હતો, યુદ્ધો કે ઇતિહાસ વિશે નહીં. તેમણે ટીકાકારોને ટ્રોલર કહ્યા. તેમણે કહ્યું કે તેમના શબ્દોને તોડી-મરોડીને રજૂ કરવામાં આવી રહ્યા છે અને તેમની પાસે વધુ મહત્વપૂર્ણ કાર્યો છે.
આ પણ વાંચો….શશી થરૂર ભાજપના ‘સુપર સ્પોકપર્સન’! કોંગ્રેસ નેતાના આકરા પ્રહારો…