
નવી દિલ્હી : અમદાવાદમાં 12 જૂન થયેલી વિમાન દુર્ઘટના બાદ એર ઇન્ડિયાએ તેના બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાનની 66 ફ્લાઇટ્સ રદ કરી છે.ડીજીસીએ દ્વારા જાહેર કરાયેલ સલામતી સૂચનાઓ અને જાળવણી તપાસને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, ડીજીસીઆઈએ સ્પષ્ટતા કરી છે કે એર ઇન્ડિયાના બોઇંગ 787 વિમાનોમા સલામતીની ચિંતા નથી અને આ પગલું ફક્ત સાવચેતીના ભાગરૂપે લેવામાં આવ્યું છે.
જોકે, ડીજીસીએ ના નિર્દેશો પછી એર ઇન્ડિયાએ 66 ફ્લાઇટ્સ રદ કરવાનો નિર્ણય લીધો. તેણે બોઇંગ 787-8 અને 787-9 વિમાનોની વ્યાપક જાળવણી તપાસનો આદેશ આપ્યો. આ ડીજીસીઆઈ તપાસમાં હાઇડ્રોલિક સિસ્ટમ, ફ્યુઅલ પેરામીટર મોનિટરિંગ અને કેબિન એર કોમ્પ્રેસર જેવી મહત્વપૂર્ણ તકનીકોની તપાસનો સમાવેશ થાય છે.

છ બોઇંગ 787-8 વિમાનોને અસ્થાયી રૂપે ગ્રાઉન્ડેડ કર્યા
મીડિયા અહેવાલોમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે આ ફ્લાઇટ્સ રદ કરવાથી મુખ્યત્વે લંડન, પેરિસ, વિયેના અને દુબઈ જેવા આંતરરાષ્ટ્રીય રૂટ પર અસર પડી છે. એર ઇન્ડિયાએ છ બોઇંગ 787-8 વિમાનોને અસ્થાયી રૂપે ગ્રાઉન્ડેડ કર્યા છે. કારણ કે તેમાં ટેકનિકલ ખામીઓ મળી આવી હતી.
એર ઇન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘મુસાફર સુરક્ષા અમારી ટોચની પ્રાથમિકતા છે. ડીજીસીએના નિર્દેશોને અનુસરીને અમે અમારા બોઇંગ 787 વિમાનોની સંપૂર્ણ તપાસ કરી રહ્યા છીએ. જેમાં અસરગ્રસ્ત મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે અસુવિધા બદલ દિલગીર છીએ.’
વિમાન અકસ્માતમાં 241 લોકોના મોત
ઉલ્લેખનીય છે કે, 12 જૂનના રોજ અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાનું બોઇંગ 787-8 ડ્રીમલાઇનર ટેકઓફ કર્યાના થોડી મિનિટમાં જ ક્રેશ થયું હતું. આ બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાનમાં 230 મુસાફરો અને 12 ક્રૂ સભ્યો હતા. વિમાન મેડિકલ કોલેજ હોસ્ટેલ બ્લોક સાથે અથડાયું હતું. જેની બાદ તેમાં ભયંકર આગ લાગી હતી. આ અકસ્માતમાં 242 માંથી મુસાફરો અને ક્રૂ સભ્યો સહિત 241 લોકો માર્યા ગયા હતા. જ્યારે બ્રિટિશ નાગરિક વિશ્વકુમાર રમેશનો જીવ બચી ગયો હતો.
ડીજીસીએ અકસ્માતની તપાસ હાથ ધરી
આ અકસ્માતની તપાસ માટે ભારતના એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) અને અમેરિકાના નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) સાથે નજીકથી કામ કરી રહ્યું છે. બોઇંગ નિષ્ણાતો પણ અમદાવાદમાં તપાસમાં સહકાર આપી રહ્યા છે. વિમાનનું બ્લેક બોક્સ 13 જૂને મળી આવ્યું હતું અને કોકપિટ વોઇસ રેકોર્ડર 16 જૂને મળી આવ્યું છે. આ બંને ઉપકરણો અકસ્માતના કારણો શોધવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.