વીક એન્ડ

ક્યાં ગઇ એ દાદીઓ ને નાનીઓ જેમણે બાળકોમાં લેખનના બીજ રોપ્યાં હતાં?

વિશેષ – લોકમિત્ર ગૌતમ

હિન્દી કથા સમ્રાટ મુનશી પ્રેમચંદ કહેતા હતા કે તેમનામાં વાર્તા કહેવાનો પાયો તેમના દાદીએ નાખ્યો હતો. તેમનું બાળપણ ઉત્તર પ્રદેશના બનારસ પાસેના લમહી ગામમાં વીત્યું હતું. જ્યારે તેઓ 8 વર્ષના પણ થયા ન હતા ત્યારે તેમની માતાનું અવસાન થયું હતું. થોડા જ દિવસોમાં તેમના પિતાએ બીજા લગ્ન કરી લીધા હતા. પછી ધનપત રાય(આ પ્રેમચંદજીનું સાચું નામ હતું)નો ઉછેર તેમના દાદા અજાયબલાલ અને તેમના પ્રેમાળ દાદીએ કર્યો હતો. તેમના દાદી તેમને દરરોજ સૂવાના સમયે રામાયણ અને મહાભારતની વાર્તાઓ સાથે વિવિધ લોકકથાઓ સંભળાવતા હતાં. આ વાર્તાઓએ તેમનામાં વાર્તા કહેવાની અને વાર્તા રચવાની આદત વિકસાવી હતી. આ આદતે આગળ જતાં હિન્દીને કથા સમ્રાટ આપ્યા હતા. લેખક બનીને પ્રેમચંદે માનવીય સંબંધોના સપ્તરંગી તાણાવાણા ગુંથ્યા, સંબંધોના આ તાણાવાણાને ગૂંથવાની કળા પણ તેને દાદીએ શીખવી હતી. હકીકતમાં સામાજિક સંવેદનાઓ અને માનવીય સંબંધોના ઊંડાણને સમજવાના બીજ જે તેમના દાદીએ તેમનામાં રોપ્યા હતા, તે બીજ પછીથી આપણે તેમની નવલકથાઓ અને વાર્તાઓમાં ઝૂલતાં વૃક્ષોમાં પરિવર્તિત થતા જોઇએ છીએ.

આ જ રીતે સ્પેનીશ ભાષાના મહાન લેખક ગૈબ્રિયલ ગાર્સિયા માર્ખેજમાં લેખકનો પાયો તેમની નાનીએ નાખ્યો હતો. માર્ખેજના પ્રશંસકો તેમને કલ્પનાના જાદુગર કહે છે. પરંતુ માર્ખેજ તેની આ જાદુગરીનો શ્રેય તેમના નાનીને આપે છે. તેમના નાની પાસેથી જ માર્ખેજને તે અંધશ્રદ્ધાઓ અને સ્થાનિક વાર્તાઓ વિશે જાણવા અને સમજવા મળ્યું હતું. બાદમાં તેની મદદથી તેમણે પોતાનાં લખાણોને જાદુઇ વાસ્તવિકતાના વાઘા પહેરાવ્યા હતા. તેમની નાની તેમને તેના મૃત પૂર્વજો, ભૂતો અને પ્રેતાત્માઓની વાર્તાઓ એ રીતે સંભળાવતા જાણે કે પોતાની નરી આંખે જોયું હોય. એવું લાગતું હતું કે તે બધા તેના ઘરની પાછળના વાડામાં દિવસ-રાત નાચતા રહે છે. માર્ખેજે તેમના વર્ણનની જાદુઇ શૈલી તેમની નાની પાસેથી ઉછીની લીધી હતી. જેને તેમણે જીવનભર તેના લખાણની યુએસપી તરીકે રાખી હતી.

આ વિશ્વના માત્ર બે મહાન લેખકોની લેખક બનવાની કહાની નથી. વિશ્વના મોટાભાગના મહાન લેખકોની આ જ કહાની છે. જો આપણે ઘણા બધા લેખકોના જીવનચરિત્ર વાંચીએ, પછી ભલે તેઓ વિશ્વના કોઇપણ ખૂણેથી હોય. આપણને મોટાભાગના મહાન લેખકોમાં તેમના સાહિત્યિક વલણની આવી જ સમાન કહાનીઓ સાંભળવા મળશે. આવી સ્થિતિમાં એ વિચારવા જેવું છે કે શું આજના લેખકોને પણ તેની કથારસથી ભરપૂર દાદીઓ, નાનીઓ જ બનાવી રહી છે કે પછી હવે આવી દાદીઓ-નાનીઓ રહી નથી? કમનસીબે સત્ય એ છે કે આજે આપણી આસપાસ આવા નાનીઓ કે દાદીઓ સરળતાથી જોવા મળતા નથી, જેઓ બાળકોમાં લેખનનું બીજ બાળપણથી જ રોપી દેતા હોય. કારણ કે વાર્તા કહેવાના આ સંસ્કાર એક જમાનાની જીવનશૈલી માત્ર ન હતા. આ તે જમાનાની સંસ્કૃતિ, સંવેદના અને ભાષાકીય સંસ્કારો હતા. જો કે આજે પણ દાદીઓ-નાનીઓ વાર્તાઓ સંભળાવે છે, પરંતુ ડિજિટલ માધ્યમો તેના પર ભારે પડી રહ્યા છે. પહેલાના સમયમાં રાતના હાલરડા અને બપોરની વાર્તાઓ બાળકોની કલ્પનાઓને પાંખો આપતા હતા, હવે તેની જગ્યા મોબાઇલ અને યુ-ટ્યૂબે લઇ લીધી છે.

કૌટુંબિક સંબંધો આજે પણ મહત્ત્વપૂર્ણ છે. પરંતુ આજે તેની પ્રકૃતિ બદલાઇ ગઇ છે. હવે બાળકોને વાર્તાઓમાં વધુ રસ નથી, તેમને `સંવાદ’ સાથે વધુ અનુરાગ છે. પરંતુ સવાલ એ છે કે શું માતા-પિતા કે દાદી-નાની ઇચ્છે તો નવી પેઢીને સાહિત્યિક સંવેદનાથી તરબતર કરી શકે છે? જી, હા આવું થઇ શકે છે. આજે પણ જો વડીલો બાળકો સાથે આત્મીયતાથી વાત કરે, અનુભવો શેર કરે.. તો તેઓ આજે પણ લેખક, કલાકાર કે સંવેદનશીલ વ્યક્તિ બની શકે છે. કારણ કે સંવેદના, ભાષા અને ભાવનાઓ આજે પણ સંબંધોમાંથી જ આવે છે. તેથી દાદીઓ-નાનીઓ આજે પણ લેખક બનાવી શકે છે. બસ શરત એટલી કે તેઓ વાર્તાઓ સંભળાવવાની બહાદુરી ન છોડે અને બાળકો તેને સાંભળવાનો સમય આપે. આજની પેઢીને સંવેદના, આત્મીયતા અને ભાષાના એ જ બીજ આપવાની જરૂર છે, જે ભૂતકાળના લેખકોને મળ્યા હતા. કારણ કે મહિલાઓમાં ભાષાની સમૃદ્ધ મૌખિક પરંપરા અને બાળકો સાથે નિકટતા હોય છે. તે મહિલાઓ જ છે, જે ઘરની પહેલી વાર્તાકાર હોય છે… માતા, દાદી, નાની. બાળકો બાળપણમાં સૌથી વધુ તેમના સંપર્કમાં જ રહેતા હોય છે. મહિલાઓ હંમેશાંથી ઘરની અંદરની સંસ્કૃતિની વાહક રહી છે. તે લોકગીત, કહેવતો, હાલરડાં અને વાર્તાઓ પેઢી દર પેઢી સંભળાવતી રહે છે. આ મૌખિક પરંપરાની ભાવનાત્મક અસર ઘણી જ ઊંડી હોય છે. જે ભાષા અને કલ્પનાના મૂળિયાનું સિંચન કરે છે… અને ત્યાંથી જ લેખક બનવાની યાત્રા શરૂ થાય છે.

આજના સમયના રસ્કિન જંગલ કથા કહેનારા સૌથી સારા વાર્તાકાર છે. જેમાં સૌથી મોટી ભૂમિકા તેમના દાદીની રહી છે. તેમની મોટાભાગની વાર્તાઓ પર્વતો, બાળપણ અને એકાંત જીવનની સંવેદનશીલતાને સ્પર્શે છે. રસ્કિન બોન્ડની જેમ અમૃતા પ્રીતમે પણ બાળપણમાં તેની માતા પાસેથી ઘણી બધી સૂફી અને પંજાબી લોકકથાઓ સાંભળી હતી. તેમનાં લખાણોમાં જે લાગણીઓની તીવ્રતા અને સાંસ્કૃતિક ઊંડાણ જોવા મળે છે તે આ સૂફી અને પંજાબી લોકકથાઓની દેન છે. હકીકતમાં લેખક બનવાની પ્રેરણા ત્યાંથી મળે છે જ્યાં વાર્તાઓ હોય છે, સંવેદના હોય અને બાળકોની કલ્પનાને તેની પાંખ ફેલાવવા માટે અવકાશ મળે છે.

આપણ વાંચો : વિશેષ: ભારતીય મહિલાઓ માટે સુહાગનાં ચિન્હોનું મહત્ત્વ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button