વીક એન્ડ

કીબીકોજેન એન સ્ક્વેર -બહાર નીકળતા પાટિયાં

સ્થાપત્યનું વાઈ-ફાઈ – હેમંત વાળા

જાપાનના સ્થપતિ કેંગો કુમા દ્વારા કીબી ચુઓ શહેરમાં બનાવાયેલ આ કાર્યાલય આમ તો સામાન્ય રચના છે, પરંતુ તેની રચનામાં લાકડાના પાટિયાનો જે રીતના ઉપયોગ કરવામાં આવ્યો છે તે રસપ્રદ છે. કીબીકોજેન એન સ્ક્વેર નામનું આ બે માળનું ઓફિસ મકાન જુદી જુદી વ્યક્તિઓ માટે સહ-કાર્યાલય માટેની સવલતો પૂરી પાડે છે. અહીં મોટાભાગની સવલતો સામાન્ય, બધા વચ્ચે વહેંચાયેલી છે, સાથે સાથે વ્યક્તિ કે વ્યક્તિ સમૂહને બેસવા માટે અલાયદા સ્થાનનું નિર્ધારણ કરાયું છે. અહીં જે તે સવલતના ઉપયોગ પ્રમાણે દિવસનું, અડધા દિવસનું, કે લાંબા ગાળાનું ભાડું વસૂલવામાં આવે છે. જે વ્યક્તિ પોતાનું કાર્યાલય ઊભું કરી શકવા સમર્થ ન હોય તેમના માટે આ મકાન પ્રાથમિક વ્યવસાયિક પૂરી પાડી શકે. આ વ્યવસ્થા બીજા માળની છે.
પહેલો માળ શહેરના સ્થાનિક રહેવાસી માટે કોઈપણ શુલ્ક વગર ઉપયોગ કરવા માટે છે. આ માળ વ્યવસાય માટે નહીં, પરંતુ સ્થાનિક લોકો માટે રિલેક્સ અને રિફ્રેશ થવા માટે છે. આ રીતે તેમને આ માળમાં સમાવવાથી આ મકાનની વ્યવસાયિક કિંમત વધી જાય છે. આ એક રસપ્રદ ઘટના છે. નાગરિકો માટે જે નિ:શુલ્ક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે તેનાથી લોકો આ મકાન પ્રત્યે આકર્ષાય છે, જેનાથી જે લોકો ત્યાં વ્યવસાય કરવા આવે તેમને આપમેળે ખ્યાતિ મળે છે.

ક્ષેત્રફળની દ્રષ્ટિએ આ મકાન મોટું નથી. એક અંદાજ પ્રમાણે તેના એક માળનો વિસ્તાર ૧૨૦ થી ૧૫૦ ચોમી જેટલો હશે. પણ આ ક્ષેત્રફળ અગત્યનું નથી. આ મકાનની રચનામાં જે સાદગી છે, જે સ્પષ્ટતા છે, જે પ્રાથમિક ભૌતિક આકાર છે, જે મૂળભૂત સામગ્રીનો ઉપયોગ છે અને જે દ્રઢતા છે તે પ્રશંસનીય છે. દેખાડા માટે અહીં કોઈપણ પ્રકારનું જડતર નથી. અહીં દંભ નથી. પરિસ્થિતિને જેમ છે તેમ રજૂ કરવામાં આવી છે. મકાનને માત્ર સારું દેખાડવા અહીં કોઈ પણ પ્રયત્ન નથી. આ મકાનનું સૌંદર્ય મૂળભૂત અને અંતર્ગત છે. આ બાબત મહત્ત્વની છે. આજના સમયમાં જ્યાં મકાનને સારું દેખાડવા જાતજાતના પતરાં અને કાચ જડી દેવાની ચેષ્ટા જોવા મળે છે તેનાથી આ એકદમ ભિન્ન પ્રકારનો પ્રયાસ છે. મકાનની સુંદરતા તેના પ્રારંભિક નિર્ણયો થકી જ નિર્ધારિત થઈ શકે તે સમજાવતી આ સ્થાપત્યકીય ઘટના છે.

આ મકાનનું આગળનું અને પાછળનું ઓછી લંબાઈવાળું ફસાડ કાચમાંથી પારદર્શિત બનાવાયું છે જેનાથી નગર સાથેનો દ્રશ્ય સંપર્ક જળવાઈ રહે. તેની બે બાજુની લંબાઈની ક્રોસ લેમિનેટેડ પાટિયાથી બંધ કરી દેવાઈ છે જેનાથી જાણે મકાનને એક દિશા મળે છે. આ બે બાજુને બંધ કરવાથી આંતરિક આબોહવા પણ અનુકૂળ સ્થળે જળવાઈ રહે અને સાથે સાથે અંદરનાં સ્થાનોના વધુ અસરકારક ઉપયોગની સંભાવના પણ વધી જાય. આ પ્રકારની રચનાથી મકાન આગળના ભાગ સાથે વધુ દ્રઢતાથી જોડાઈ શકે અને સાથે સાથે આંતરિક સ્થાન નિર્ધારણમાં વધુ સ્પષ્ટતા પણ આવે. મકાનની આગળ પાછળની જમીનની ઊંચાઈના તફાવતના કારણે આ મકાનમાં બે સ્તરે પ્રવેશ શક્ય બને છે, જે એક વધારાનું પરિમાણ છે.

આમ પણ સ્થાપત્યમાં લાકડાના ઉપયોગની મજા અનેરી હોય છે. અહીં લાકડાનો ઉપયોગ માત્ર પાટિયા તરીકે કરવામાં આવ્યો છે, આનાથી જે આકાર ઉદભવે તે ઘનાકાર હોય તે સ્વાભાવિક છે. એક રીતે જોતા એમ જણાય કે આ મકાન પાટિયા ગોઠવીને બનાવવામાં આવ્યું છે તો અન્ય દ્રષ્ટિકોણથી એમ જણાય કે તે જુદા જુદા ઘનાકાર ચોસલા ગોઠવીને નિર્ધારિત કરાયું છે. પાટિયા થકી ઉદ્ભવતી ભૂમિતિ ઘનાકાર ચોસલાના ગોઠવણને પણ અનુરૂપ બની રહે છે. ભૂમિતિ આ મકાનનો આધાર છે અને તેમાં લેવાયેલી છૂટછાટ ભૂમિતિના એકધારા પણાને સંતુલિત કરે છે. અહીં ભૂમિતિમાં લેવાયેલી છૂટછાટ પણ કેટલાક ભૌમિતિક નિયમોને આધારિત છે.

અહીં કાચ અને લાકડાની સંતુલિત અને રસપ્રદ જુગલબંધી છે. લાકડું પોતાનું કામ કરે છે અને કાચ પોતાનું. આ બંને સામગ્રી એકબીજાના કામને પ્રભાવિત પણ કરે છે અને સાચવી પણ લે છે. લાકડાને કારણે મકાનને બાજુમાંથી જોતા તે અપારદર્શી જણાય છે તો કાચને કારણે સામેથી જોતા તે સંપૂર્ણ પારદર્શક લાગે છે. બાજુમાંથી મકાન બંધિયાર જણાય છે તો સામેથી તે બહિર્મુખ હોય તેવી પ્રતીતિ થાય છે. બાજુમાંથી મકાન માટે ગોપનીયતા ઊભી થાય છે તો સામેથી જોતા મકાન જાહેર હોય તેમ જણાય છે. આ મકાનનું પ્રમાણ માપ માનવી પર હાવી થઈ જાય તે પ્રમાણેનું નથી, છતાં પણ જ્યારે તેને બાજુમાંથી જોવામાં આવે ત્યારે એમ જણાય કે સ્થાપત્યકીય વિધાન દૃઢ અને તીવ્ર છે. આ મકાનની આ પ્રકારની સ્થાપત્યકીય શૈલી ધ્યાનાકર્ષક છે.

સ્થાપત્યમાં અપાર સંભાવનાઓ રહેલી હોય છે. પ્રશ્ર્ન પસંદગીનો છે. કેવા પ્રકારના ઉપયોગ માટે, કેવા પ્રકારની પરિસ્થિતિમાં, કેવા પ્રકારના વ્યક્તિ-સમૂહ માટે, કેટલા રોકાણ માટે, કયા પ્રકારની રચના વધુ યોગ્ય ગણાય તેની સમજ જરૂરી છે. સ્થાપત્યમાં ઘણા પ્રકારની રચનાને યોગ્ય ગણી શકાય. પણ દરેક પ્રકાર બધા જ પ્રકારના સંજોગોમાં પ્રશંસનીય પરિણામ ન આપે. જે વાત એક સ્થાને પ્રશંસા પામે તે વાત અન્ય સ્થાને અસંદર્ભિક પણ બની રહે. ક્યાં – ક્યારે – કેમ શું કરવું તે નિર્ણય સ્થાપત્યના ક્ષેત્રમાં બહુ જટિલ છે. જ્યાં કળા અને વિજ્ઞાનના સમન્વયની વાત હોય ત્યાં આ પ્રશ્ર્ન તો રહેવાનો જ. ક્યારેક કળા વિજ્ઞાન પર પ્રભુત્વ સ્થાપવા પ્રયત્ન કરે તો ક્યારેય વિજ્ઞાન પોતાની દૃઢતા જાળવી રાખે. સ્થાપત્યમાં સંતુલનની સ્થાપના બહુ જરૂરી છે.

Show More

Related Articles

Back to top button
ભારતની શાન છે આ રેલવે સ્ટેશન, દેશ-વિદેશથી જોવા આવે છે પર્યટકો… આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી બીજી સપ્ટેમ્બરના શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો થશે માલામાલ… Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન…