ભારત માટે પડકાર કે ઇંગ્લૅન્ડને ફટકાર?

20 જૂનથી બ્રિટિશરોની ધરતી પર રમાશે પાંચ મૅચની ટેસ્ટ સિરીઝ
કોહલી-રોહિતની જુગલ જોડી વિના હવે શુભમન ગિલના સુકાનમાં ભારતની યુવા ટીમે ઇંગ્લૅન્ડમાં જીતી બતાવવાનું છે
સ્પોર્ટ્સ મૅન – સાશા
ઇંગ્લૅન્ડના ટેસ્ટ-કૅપ્ટન બેન સ્ટૉક્સે કહ્યું છે કે `આગામી 20 જૂને ભારત સામે શરૂ થઈ રહેલી પાંચ મૅચની ટેસ્ટ-સિરીઝમાં વિરાટ કોહલીની કવર ડ્રાઇવ અને રોહિત શર્માના નીડરતાભર્યા પુલ શૉટની ખોટ જરૂર વર્તાશે, પરંતુ આ બન્ને દિગ્ગજ નહીં હોય તો પણ ભારતીય ટીમને હળવાશથી નહીં લેવાય.’
ઑલરાઉન્ડર બેન સ્ટૉક્સના કહેવા મુજબ વિરાટ અને રોહિત વિના પણ ભારતીય ટીમ હંમેશાંની જેમ ઘણી મજબૂત હશે. ખાસ કરીને ટીમ ઇન્ડિયાના યુવા બૅટ્સમેનો સામે ઇંગ્લિશ બોલર્સે સાવચેત રહેવું પડશે.
બેન સ્ટૉક્સનું આવું કહેવા પાછળનો ભાવાર્થ એ છે કે ભારતીય ટીમ પાસે હંમેશાં એકથી એક ચડિયાતા બૅટ્સમેન હોય છે. માત્ર બેન સ્ટૉક્સ જ નહીં, ઇંગ્લૅન્ડના અનેક વરિષ્ઠ ખેલાડીઓ કહી ગયા છે કે ઇંગ્લૅન્ડમાં રમાનારી આગામી ટેસ્ટ શ્રેણીમાં મેદાન પર ખાસ કરીને તીવ્ર પડકાર બનનારા વિરાટ કોહલીની ખોટ જરૂર વર્તાશે. આ બ્રિટિશ સિનિયર પ્લેયરોના મતે વિરાટ કોહલી જેવો સ્પર્ધાત્મક ખેલાડી દાયકાઓ બાદ મેદાન પર જોવા મળતો હોય છે.
ખરેખર તો ભારતીય ટીમ લગભગ 10 વર્ષ સુધી હંમેશાં વિરાટ અને રોહિત અથવા આ બે દિગ્ગજમાંના એક પ્લેયરની હાજરીમાં જ ટેસ્ટ રમવા મેદાન પર ઊતરી છે. જોકે જૂન-જુલાઈમાં ભારતીય ટીમ જ્યારે ઇંગ્લૅન્ડના પ્રવાસે હશે ત્યારે ક્રિકેટપ્રેમીઓને (એક સાથે બન્ને ધરખમ ખેલાડીઓ) કોહલી અને રોહિત નહીં જોવા મળે.
રોહિત શર્માએ સાતમી મેએ અને વિરાટ કોહલીએ એના પાંચ દિવસ બાદ ટેસ્ટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. કોહલીએ 2011માં ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું, જ્યારે રોહિતે એના બે વર્ષ બાદ (2013માં) ટેસ્ટ ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો.
2022ના જાન્યુઆરીમાં બન્યું એવું કે ભારતે જોહનિસબર્ગમાં સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ વિરાટ અને રોહિત, આ બેઉ દિગ્ગજ વિના રમી હતી. કોહલી ત્યારે કૅપ્ટન હતો, પરંતુ તેને પીઠમાં દુખાવો હતો એટલે નહોતો રમ્યો. રોહિત ત્યારે ઈજાને લીધે આખી સિરીઝની જ બહાર હતો. કેએલ રાહુલે ત્યારે કોહલી વિનાની ટેસ્ટમાં સુકાન સંભાળ્યું હતું અને ભારત એ ટેસ્ટ સાત વિકેટે હારી ગયું હતું.
એ જ સિરીઝ બાદ કોહલીએ ટેસ્ટની કૅપ્ટન્સી છોડી દીધી હતી. તેણે સુકાન છોડ્યા બાદ સમયાંતરે અજિંક્ય રહાણે અને જસપ્રીત બુમરાહે કાર્યવાહક સુકાની તરીકેની જવાબદારી સંભાળી હતી, પરંતુ કોહલી પછીના રેગ્યુલર કૅપ્ટન તરીકેનો કાર્યભાર રોહિતે સંભાળ્યો હતો. ખરેખર તો કોહલી-રોહિત 10 વર્ષ સુધી ભારતીય ટેસ્ટ ટીમના બે મજબૂત સ્તંભ બની રહ્યા હતા. તેમણે દુનિયાના દરેક ખૂણે જઈને શાનદાર બૅટિંગ પ્રદર્શનથી ઢગલો રન કર્યા હતા. ઇંગ્લૅન્ડના લૉર્ડ્સનું મેદાન હોય કે ઑસ્ટે્રલિયાનું ઍડિલેઇડ, આ બન્ને સ્ટાર બૅટ્સમેને દરેક મેદાન પર પુષ્કળ રન કર્યા હતા. 2019માં ટેસ્ટનો ઓપનર બન્યા પછી તો રોહિતે પાછળ વળીને જોયું જ નહોતું, પરંતુ આ વખતે (ઑગસ્ટ, 2025માં) ભારતીય ટીમનો ઇંગ્લૅન્ડ પ્રવાસ આ બન્ને દિગ્ગજો વિના પૂરો થશે.
ખરું કહીએ તો કોઈ પણ દેશની ટીમમાં અનુભવી અને પડકારરૂપ ખેલાડીની હાજરી હોય તો હરીફ ટીમ પર એનો માનસિક પ્રભાવ પડે છે અને એ હરીફ ટીમ માનસિક રીતે દબાણમાં રહે છે, પણ આ વખતે ભારતીય ટીમમાંથી એકસાથે બે સ્ટાર ખેલાડીઓની બાદબાકી થઈ ગઈ હશે.
સામાન્ય રીતે ભારત-ઑસ્ટે્રલિયા, ભારત-ઇંગ્લૅન્ડ, ભારત-પાકિસ્તાન સિરીઝમાં દરેક ખેલાડી વિજેતા ટીમનો હિસ્સો હોવાનો ગર્વ લેવા માગતો હોય છે. એના કેટલાક કારણ હોય છે. ખેલાડી પર માત્ર પોતાનું કૌશલ્ય બતાવવાનું જ દબાણ નથી હોતું, દેશભક્તિ બતાવવાની એક પ્રકારની જવાબદારી પણ તેના પર હોય છે અને એ પ્રેશરમાં તેણે સારું પર્ફોર્મ કરી દેખાડવાનું હોય છે. આવા મુકાબલામાં હાર કે જીત બન્ને દેશની પ્રતિષ્ઠા સાથે જોડાયેલી હોય છે. આવા શ્રેણીમાં પરાજિત ટીમ પોતાને હરીફ ટીમ સામે નબળી, ટેક્નિકની દૃષ્ટિએ પછાત અને આત્મવિશ્વાસ ગુમાવી બેઠેલી સાબિત ન કરી દે એની ખાસ તકેદારી રાખતી હોય છે. આ સ્થિતિમાં દરેક ટીમ પોતાની કટ્ટર હરીફ ટીમ સામે બધુ ન્યોચ્છાવર કરી દેતી હોય છે. આવી મૅચોમાં ખેલાડી વ્યક્તિગત રીતે મેદાન પર માનસિક દબાણમાં ન રહે તો પણ મીડિયા અને ચાહકો એવી રીતે પ્રેશર ઊભું કરી દેતા હોય છે કે ખેલાડીઓએ એ લીગ મૅચ કે ઓછી મહત્ત્વની મૅચ હોવા છતાં એને `કરો યા મરો’ જેવી બનાવી દેવી પડે છે. આવું મેન્ટલ પ્રેશર ભૂતકાલની હાર કે જીતને કારણે પણ આવતું હોય છે.
ભારતે અગાઉના પ્રવાસમાં ઇંગ્લૅન્ડને એની જ ધરતી પર હરાવ્યું હોવાથી ઇંગ્લૅન્ડ આ વખતે કોઈ પણ ભોગે એ પરાજયનો બદલો લેવા કમર કસીને રમશે. બીજી બાજુ, ભારતીય ટીમ ભલે યુવાન કૅપ્ટન શુભમન ગિલના સુકાનમાં ઘણા યુવા ખેલાડીઓના સમાવેશ સાથે રમવાની છે એમ છતાં જીતની એ પરંપરા જાળવી રાખવા ટીમ ઇન્ડિયા કોઈ કસર બાકી નહીં રાખે.
ફરી રોહિત-કોહલીની વાત પર આવીએ તો તેમના જેવા અનુભવીની આ વખતે ખોટ તો વર્તાશે જ. કોહલી જેવો આક્રમક બૅટ્સમૅન ભારત પાસે અત્યારે નથી. તે માત્ર અગ્રેસિવ પ્લેયર જ નથી, મેદાન પર હંમેશાં તેનામાં ઊર્જા ઠાંસી ઠાંસીને ભરેલી દેખાતી હોય છે. એવું હવે ટેસ્ટના મેદાન પર નહીં જોવા મળે. કોહલી ખુદ મૉટિવેટ થતો જ રહેતો હોય છે, સાથી ખેલાડીઓનો પણ ઉત્સાહ વધારતો રહેતો હોય છે. એ જોતાં ટીમમાં તેની હાજરી ખાસ મનાતી હોય છે, પણ હવે ટેસ્ટ ટીમમાં તેની ગેરહાજરી ખૂંચશે.
કોહલીની હાજરીમાં રોહિત ઓપનિંગમાં મુક્ત મનથી રમતો હતો અને સારા ઓપનિંગથી ભારતીય ટીમને મજબૂત સ્કોર અપાવવામાં યોગદાન આપતો હતો. મેદાન પર તેઓ બન્ને એકમેકને કૉમ્પ્લિમેન્ટ પણ કરતા હતા. તેઓ ભેગા થઈને ટીમ માટે જે રણનીતિ બનાવતા હતા જેનાથી હરીફ ટીમની બાજી ખોરવાઈ જતી હતી.
જોકે હવે એ જુગલજોડીની ખોટ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાને ખૂબ વર્તાશે. શુભમન ગિલ શરૂઆતમાં રોહિતની જેમ મુક્ત મનથી સુકાન સંભાળનાર અને ધૈર્ય સાથે જોખમ ઉઠાવનારો કૅપ્ટન સાબિત નહીં થાય, પણ તેના (ગિલ) સહિતના યુવા ખેલાડીઓને રોહિત-કોહલીની ગેરહાજરીમાં ચમકવાનો મોકો તો મળશે જ. એક તરફ ગિલ અને યશસ્વી જયસ્વાલ તેમ જ રિષભ પંત, કેએલ રાહુલ, સાઇ સુદર્શન અને નીતીશ રેડ્ડીને બૅટિંગમાં પોતાની પ્રતિભા હવે ઇંગ્લૅન્ડમાં બતાવવાનો મોકો મળી રહ્યો છે તો બીજી બાજુ જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, શાર્દુલ ઠાકુર, આકાશ દીપ અને પ્રસિદ્ધ ક્રિષ્ના ઉપરાંત એકમાત્ર સ્પેશિયાલિસ્ટ સ્પિનર કુલદીપ યાદવને પણ પોતાના કૌશલ્ય અને કમાલ બતાડવાની તક મળશે.
રોહિત અને કોહલીની અનુપસ્થિતિમાં ભારતીય ટીમ ઇંગ્લૅન્ડમાં ચમકી પણ શકે છે. ભૂતકાળમાં ઘણી વાર બની ગયું છે કે જ્યારે પણ ભારતના અનુભવી કે પ્રતિભા સંપન્ન ખેલાડીઓની ટીમમાં ગેરહાજરી રહી છે ત્યારે ઓછા જાણીતા કે યુવા ખેલાડીઓ પોતાનું કૌશલ્ય બતાવવામાં સફળ રહ્યા છે. એ જોતાં કોઈએ પણ એવું ન માની લેવું જોઈએ કે રોહિત અને કોહલી વગર ભારતીય ટીમનો ઇંગ્લૅન્ડ-પ્રવાસ ખતરારૂપ પુરવાર થશે. હા, પડકારરૂપ જરૂર હશે, પણ ઇંગ્લૅન્ડની ટીમને ચોંકાવી દે એવું ભારત પર્ફોર્મ કરે પણ ખરું. ક્યારેક અનુભવી ખેલાડીઓની ગેરહાજરી નવા અને યુવા ખેલાડીઓમાં એવી તાજગી-સ્ફૂર્તિ ભરી દે છે કે તેઓ ભલભલી હરીફ ટીમ માટે ખતરો બની જાય છે અને `હોની કો અનહોની કર દેં’ એવું કંઈક કરી બતાવતી હોય છે. નવી ટેસ્ટ ટીમ કોહલી અને રોહિતની વરિષ્ઠતાના દબાણ વિના મુક્ત થઈને રમશે અને ઇંગ્લૅન્ડની ટીમને એની જ ધરતી પર ભારે પડશે એવી આશા રાખીએ.
આપણ વાંચો : સ્પોર્ટ્સ મૅન: વિરાટને માથાની ઈજાએ બનાવ્યો કૅપ્ટન-કિંગ