વીક એન્ડ

શાશ્ર્વત સુખનો રાજમાર્ગ

પ્રાસંગિક – હેમુ ભીખુ

શાસ્ત્રમાં એક સરસ વાત કહેવામાં આવી છે. બ્રહ્મ સમજવા માટે શરૂઆત અન્નથી થાય છે. અન્ન બ્રહ્મ છે કારણ કે તેનાથી જીવ ઉત્પન્ન પણ થાય છે અને જીવનુ રક્ષણ પણ થાય છે. અન્નના અભાવે જીવ મૃત્યુ પામે છે. વાત આગળ ચાલે છે. અન્ન વરસાદથી ઉત્પન્ન થાય છે, અને તેથી વરસાદ બ્રહ્મ છે. આ પ્રકારે વિચારોની પરંપરા ચાલુ રહેતા અંતે વાસ્તવમાં જે બ્રહ્મ છે ત્યાં સુધી વિચાર-પ્રવાસ ચાલુ રહે છે. આ એક સરસ ઉદાહરણ છે.

શાશ્ર્વત સુખની સમજ પણ આ રીતના મેળવી શકાય. સુખ આરામ ભરેલી પરિસ્થિતિમાં હોય. જે જે પરિસ્થિતિમાં આરામની અનુભૂતિ થાય તે પરિસ્થિતિને સુખમયી કહી શકાય. રોજિંદી ક્રિયામાં શરીરને ઘણું કષ્ટ પડે. આ કષ્ટથી વિપરીત સ્થિતિ એટલે આરામ. આરામ એટલે એવી સ્થિતિ કે જેમાં શરીરના બધા જ અંગો તાણ-મુક્તતા અનુભવે. અહીં શરીરના એક પણ અવયવ પર ક્યાંય દબાણ ન હોય કે ક્યાંય તાણ ન હોય. એક અભ્યાસ પ્રમાણે આવી સ્થિતિ આરામથી આડા પડીને સુઈ જવાથી મળે. જો વ્યક્તિ આખો દિવસ સુઈ શકતો હોય તો તેને પૂર્ણ આરામ છે તેમ કહેવાતું હોય છે. પરંતુ આ સ્થિતિમાં પણ થાક લાગે. બદલાવ જરૂરી છે. તો પછી આરામ એટલે એવી સ્થિતિ કે જે પ્રાથમિક સમજ પ્રમાણે તાણમુક્ત હોય અને સાથે સાથે તેમાં ચોક્કસ પ્રકારનો બદલાવ આવતો રહેતો હોય. આ પ્રકારનો આરામ એટલે સુખ.

આવી આરામ વાળી સ્થિતિમાં જીવવા માટે સંપત્તિ જરૂરી છે. અર્થાત સુખ સંપત્તિમાં છે. જો સંપત્તિ હોય તો તમે શરીર માટે દરેક આરામદાયક સ્થિતિ પ્રાપ્ત કરી શકો છો. સંપત્તિ બે પ્રકારે પ્રાપ્ત થઈ શકે, કૌટુંબિક વારસાગત સંપત્તિ અને પરિશ્રમને આધારે મેળવેલી સંપત્તિ. અર્થાત્ સુખ કૌટુંબિક સંપત્તિમાં છે અથવા પરિશ્રમમાં છે. પરિશ્રમ બે પ્રકારનો હોઈ શકે, શારીરિક તેમજ માનસિક. શારીરિક પરિશ્રમમાં આરામથી વિપરીત પરિસ્થિતિ ઉભી થાય અને તેની ગણતરી સુખમાં ન થાય. માનસિક પરિસ્થિતિમાં શરીર કદાચ આરામની અનુભૂતિ કરી શકે પરંતુ મન તણાવયુક્ત રહે. તેથી સુખ કૌટુંબિક વારસાગત સંપત્તિમાં છે એમ કહી શકાય.

કૌટુંબિક વારસાગત સંપત્તિ જન્મ આધારિત હોય છે. ધનિક કુટુંબમાં જન્મ લેવો એટલે સુખ. આ પ્રકારના જન્મથી સંપત્તિ મળે અને સંપત્તિથી આરામ અને આરામ એટલે સુખ. ધનિક કુટુંબમાં જન્મ પૂર્વ જન્મના કર્મને આધારે નક્કી થાય છે. પૂર્વ જન્મમાં જો સારા કર્મ કર્યા હોય અને સંપત્તિથી સુખી થવાની અભિલાષા હોય તો પછીના જન્મમાં સંપન્ન કુટુંબમાં જન્મ મળે. અર્થાત્ સુખ સારા કર્મોને આધારિત છે. આગળ સમજવાની વાત એ છે કે પૂર્વ જન્મના કર્મને કારણે આ જન્મમાં સંપત્તિનો લાભ મળી શકે, અને આ જન્મમાં જો સારા કર્મ કર્યા ન હોય તો હવે પછીના જન્મમાં સંપત્તિ ન પણ મળે. કૌટુંબિક સંપત્તિની પરંપરા ચાલુ રાખવી હોય તો દરેક જન્મમાં સારા કર્મ કરવા પડે. સુખનો આધાર સતત ચાલુ રહેતી સત્કર્મની પરંપરા છે.

છતાં પણ એક સમયે થાકી જવાય. એવા સંજોગોમાં સુખ-દુ:ખની પરંપરામાંથી જ મુક્ત થવાની ઇચ્છા જાગે. અર્થાત્, લાંબા ગાળે પ્રત્યેક દ્વન્દ્વથી મુક્તિ એટલે સુખ. અહીં પણ ક્યાંક પ્રશ્ર્નો ઉભો રહે. જો સંપૂર્ણતામાં જન્મની સંભાવનાથી મુક્તિ ન મળે તો પણ ક્યાંક અસુખની સંભાવના બાકી રહે. અંતે એવું તારણ નીકળે કે સંપૂર્ણ મુક્તિ એટલે સુખ. આ જ શાશ્ર્વત સુખ.

Show More

Related Articles

Back to top button
તમારા છોટુની હાઈટ વધારવી છે? ઘરમાં થાય છે સાસુ-વહુના ઝઘડા? રસોડામાંથી તાત્કાલિક દૂર કરો આ વસ્તુઓ… આ શું થયું એફિલ ટાવર, તાજમહેલ અને લંડનના બ્રિજને? ફોટો જોશો તો… Medicineને કહો Bye Bye, આ નેચરલ વસ્તુઓથી ઘટાડો ડાયાબિટીસ…