વીક એન્ડ

બાળકો પોતાની રીતે થાય છે મોટા, વિશ્ર્વમાં બાળ ઉછેરનું ઘેરાતું સંકટ

કવર સ્ટોરી – વીણા ગૌતમ

ઓવરસીઝ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ (ઓડીઆઈ)ના એક વૈશ્ર્વિક રિપોર્ટ અનુસાર દુનિયાભરમાં લગભગ ૩ કરોડ ૫૫ લાખ છ વર્ષથી નાની ઉંમરના બાળકો છે જે તેમના ઘરમાં વયસ્કોની દેખભાળ વિના એકલું રહેવું પડે છે. આ આંકડો આંચકાદાયક રીતે આપણને વિશ્ર્વમાં બાળઉછેરના ઘેરાતા સંકટ તરફ અંગુલિનિર્દેશ કરે છે. એક તરફ, પતિ-પત્ની બંને કમાતા હોવાથી પરિવારની આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો જોવા મળે છે, તો બીજી બાજુ આ વધતી કમાણીની કિંમત ઘરના બાળકોએ ચૂકવવી પડે છે. સંયુક્ત ટેસ્ટર વિકાસ કાર્યક્રમ (યુએનપીડી)ના એક અભ્યાસ મુજબ ૫૩ મધ્ય અને નીચી આવક વાળા દેશોના આંકડાઓનું વિસ્તારથી વિશ્ર્લેષણ કરવાથી જાણવા મળે છે કે દુનિયાભરમાં પાંચમા ભાગના, અર્થાત્ કે ૨૦ ટકા એવા બાળકો છે જે પોતાના નાના ભાઈ-બહેનોનું ઘરમાં ધ્યાન રાખે છે, અને પરેશાની એ છે કે આ બાળકોની સરાસરી ઉંમર પણ ૧૪ વર્ષથી ઓછી હોય છે.


આંકડા વિના વિચારવામાં આવે તો કદાચ એવો જ વિચાર આવે કે એકલતાનો શિકાર અમેરિકા કે યુરોપના બાળકો બનતા હશે, પણ આ સચ્ચાઈ નથી. સચ્ચાઈ એ છે કે દુનિયાના જે ૪ દેશોના ૫ વર્ષથી નાની ઉંમરના ૫૦ ટકાથી વધુ બાળકો દિવસના મોટાભાગનો સમય એકલતામાં રહેવું પડે છે તે ન તો યુરોપના છે, કે ન તો અમેરિકન મહાદ્વીપના. આ ચારેય દેશો આફ્રિકાના છે – રિપબ્લિકન ઓફ કોંગો, કોટે દે આઇવર, ચાડ અને સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિકનમાં ૫ વર્ષથી નાની ઉંમરના ૫૦ ટકાથી વધુ બાળકોને દિવસનો મોટાભાગનો સમય માં-બાપ વિના ઘરમાં એકલા રહેવું પડે છે. હદ તો એ વાતની છે કે, તેમાંથી મોટાભાગના બાળકો કોઈપણ પ્રકારની દેખભાળથી વંચિત
હોય છે.


સવાલ એ છે કે, એકલતામાં પોતાની રીતે મોટા થઇ રહેલા બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ બિલકુલ એ રીતે જ થાય છે, કે જેવો પરિવારમાં કે વયસ્કોની દેખરેખમાં મોટા થતા બાળકોનો થાય? નિષ્ણાતો કહે છે કે, બિલકુલ નહીં. બંનેમાં જમીન આસમાનનો ફરક હોય છે. એકલા અને પોતાની રીતે મોટા થતા બાળકોને અનેક જોખમો અને અસુરક્ષાઓનો તો સામનો કરવો જ પડે છે. તેની સાથે તેમનો શારીરિક અને મનોવૈજ્ઞાનિક વિકાસ બહુ નબળો હોય છે. તેઓ અપર્યાપ્ત પોષણનો શિકાર હોય છે. શિક્ષણના મામલે પણ તેઓ પાછળ હોય છે. તેમનામાં આરોગ્ય સંબંધી સમસ્યાઓ પણ જોવા મળે છે. અને ભાવનાત્મક રૂપે પણ તેઓ કમજોર હોય છે. ત્યાં સુધી કે તેઓ જીવનમાં સામાન્ય રીતે લોકો સાથે વધુ હળીમળી નથી શકતા.


દુનિયાના જે દેશોમાં એકલતા સામાજિક રૂપે એક સમસ્યા છે, અર્થાત જ્યાં એકલતા માટે આર્થિક સ્થિતિ જવાબદાર નથી, તે દેશોમાં સૌથી આગળ નોર્વે છે. નોર્વેમાં ૪૫.૮ ટકા પુરુષો અને મહિલાઓ એકલા રહે છે. સ્વાભાવિક છે કે તેમની સાથે રહેતા બાળકોને પણ દિવસનો મોટાભાગનો સમય એકલા રહેવું પડે છે. નોર્વે સિવાય દુનિયામાં સૌથી વધુ એકલા રહેતા વયસ્ક લોકોના દેશમાં ડેન્માર્કમાં ૪૪.૧ ટકા, ફિનલેન્ડમાં ૪૩ ટકા, સ્વીડનમાં ૪૨.૫ ટકા, જર્મનીમાં ૪૧.૭ ટકા, અને એસ્ટોનિયામાં ૪૦.૩ ટકા વયસ્ક પુરુષો અને મહિલાઓ એકલા રહે છે. સ્પષ્ટ છે કે, તેમના બાળકો તેમની સાથે રહેતા હોવા છતાં દિવસનો મોટાભાગનો સમય એકલતામાં રહેવું પડે છે.


જે દેશોમાં આર્થિક સંકટને કારણે એકલા રહેવાની સમસ્યા સામાજિક નથી ત્યાં એકલા રહીને મોટા થતા બાળકોની સમસ્યા બીજી રીતની હોય છે. તેમાં ૧૦ ટકાથી વધુ બાળકો એકલતામાં બેહદ હિંસક બની જાય છે. કેમકે તેઓ દિવસરાત ટીવી અને ઈન્ટરનેટ પર હિંસક કાર્યક્રમો જોયા કરતા હોય છે અને એ જ તેમના સ્વભાવનો હિસ્સો બની જાય છે. લગભગ ૬૦ ટકાથી વધુ બાળકોની ભાષા અત્યંત અસભ્ય અને ગમે તે સમયે ગમે તે બોલવાની મોંફાટ થઇ જાય છે. લગભગ ૧૮ થી ૨૫ ટકા બાળકો યૌન અપરાધોમાં લપેટાઈ જાય છે અથવા તેનો શિકાર બની જાય છે. એકલા રહેતા બાળકોમાં એવી જ રીતે પોર્નોગ્રાફી જોવાની લત લાગી જાય છે, જેવી રીતે એકલા રહેતા વયસ્કમાં.


એકલા રહેતા બાળકોમાંથી ૫૦ ટકાથી વધુની કેરિયર સારી નથી હોતી અને ૬૦ ટકાથી વધુ કોઈ ને કોઈ નશાની લતનો શિકાર બની જાય છે. ઉત્તર અમેરિકામાં થયેલા અનેક અભ્યાસોથી જાણવા મળ્યું છે કે એકલા રહેતા બાળકો હંમેશાં ચિંતિત રહે છે, તેઓ મનથી હંમેશાં ડરેલા રહે છે અને તેમને દારૂ પીવાની, ચોરી કરવાની, ઘરેથી ભાગી જવાની, એવી આદતો પડી જાય છે અને સાથે તેમનું આરોગ્ય પણ ઘણું બગડે છે, જેમાંથી સૌથી વધુ પેટને લગતી સમસ્યા થાય છે.
બાળ ઉછેરના નિષ્ણાતો દુનિયાભરના માબાપોને આગ્રહપૂર્વક સલાહ આપે છે કે જ્યાં સુધી અત્યંત અસંભવ પરિસ્થિતિ ન હોય ત્યાં સુધી એ કોશીશ કરો કે બાળકને શરૂઆતના ૧૦-૧૨ વર્ષ એકલું ન રહેવું પડે.


જો એવી મજબૂરી હોય કે તેમને એકલા રાખવા જ પડે તો ઓછામાં ઓછું અઠવાડિયામાં એક દિવસ સંપૂર્ણપણે તેમને આપો, જયારે પૂરો સમય તમારું તેમની સાથે ક્વોલિટી ઈન્ટરેક્શન હોય. તે સાથે ઘરના કામકાજમાં પણ કોઈ અડચણ ઊભી ન થાય. તમારા બાળકોને એકલા રહેવું જ પડે તો એ વાત ઉપર ધ્યાન આપો કે તેમની ઊંઘની પેટર્ન શું છે. શું તેઓ કાચી ઊંઘ ધરાવે છે? જરા સરખા ખલેલથી તેમની ઊંઘ તૂટી જાય છે? જો એવું હોય તો એ ચિંતાની વાત છે. તેમને પોતાની પાસે સુવડાવો અને તેમને ભરોસો આપો કે તમે હંમેશાં તેમની સાથે છો.
ઓછું ઊંઘતા અને જરા સરખી ખલેલથી જાગી જતા બાળકો ભાવનાત્મક રૂપે ખુબ ડરેલા હોય છે. જો તમારું બાળક દિવસના પાંચ થી સાત કલાક એકલું રહે છે અને મોટાભાગની બાબતોમાં તેનો અભિગમ નકારાત્મક દર્શાવે છે તો સમજી લો કે તે એકલતાનું શિકાર છે. એકલતા તેના મનમાં નકારાત્મક મનોગ્રંથિ બની ગઈ છે. તેથી તેને ક્વોલિટી ટાઈમ આપીને તેના મનમાંથી આ નકારાત્મકતા દૂર કરો. યાદ રાખો, જે બાળકો એકલા રહીને સ્થૂળતાનો શિકાર બને છે, તેવા બાળકોમાંથી ૯૫ ટકા બાળકો ધૂમ્રપાન કરતા હોય છે. ભલે પછી પોતાના મા-બાપથી છુપાઈને કરતા હોય.


ખરેખર તો ઘણીવાર બાળકો બહુ ચાલાકીપૂર્વક એ જાહેર નથી થવા દેતા કે તેઓ કોઈ પ્રકારનો નશો કરે છે. પણ તમારું એકલું રહેતું બાળક જો સ્વભાવથી અસ્થિર હોય, કોઈ પ્રયાસ વિના કે કોઈ કારણ વિના સ્થૂળ બનતું જાય અને વાતવાતમાં લડી પડતું હોય તો માની લો કે તે કોઈ નશો કરે છે.
આવા બાળકોને સામાન્ય રીતે માથાનો દુખાવો થતો રહે છે. આ જ કારણ છે કે વિશ્ર્વ આરોગ્ય સંસ્થાથી લઈને સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ અને યુનિસેફ બધા વયસ્કોને અપીલ કરે છે કે જીવનમાં ઘણું પામવા અથવા કરી બતાવવાની જીદમાં બાળકોને એકલતાના રોગચાળા તરફ ન ધકેલો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
જવાન દેખાવું છે? તો ઘરે જ કરો આ ઉપાય અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો?