સંજય ગાંધીના મૃત્યુ બાદ પ્લેન ક્રેશ થયું ત્યાં ઇન્દિરા ગાંધી શું શોધતાં હતાં?
આ સોમવારે ફરી એક વાર 23 જૂન આવશે અને સંજયની અણધારી વિદાયને સાડા ચાર દાયકા પૂરા થશે ત્યારે પણ અમુક સવાલ હજુ અનુત્તર છે! ઈંદિરાજી સાથે સંજય ગાંધી: દુર્ઘટનાનું ઘટના સ્થળ

ભાત ભાત કે લોગ – જ્વલંત નાયક
23 જૂન, 1980નો દિવસ …તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીનો નાનો દીકરો સંજય ગાંધી ત્યારના કૉંગ્રેસ પક્ષનો સૌથી `મોટો’ કર્તા-હર્તા નેતા…વહેલી સવારે હવાબાજીનો શોખ પૂરો કરવા માટે પોતાનું નવુંસવું પ્લેન લઈને નીકળે છે. થોડી જ મિનિટ્સમાં પ્લેન તૂટી પડે છે અને માત્ર તેત્રીસ વર્ષના સંજય મૃત્યુ પામે છે.
આમ ચાર-પાંચ વાક્યમાં કહેવાય જાય એટલી આ વાત ટૂંકી નથી. સંજય ગાંધીના મૃત્યુ સાથે તાજીતાજી સત્તામાં પાછી ફરેલી કૉંગ્રેસ પાર્ટીના ભવિષ્ય સામે એ વખતે પ્રશ્નાર્થ ચિહ્ન મુકાઈ ગયું હતું . અભ્યાસુઓનો એક વર્ગ માને છે કે સંજય ગાંધી લાંબું જીવીને વડા પ્રધાનપદ સુધી પહોંચી જાત (જે એ વખતે બહુ આસાન જણાતું હતું) તો દેશનું ભવિષ્ય પણ કંઈ જુદું હોત, કેમકે બીજા કૉંગ્રેસી દિગ્ગજોની સરખામણીએ સંજય પાસે ખાસ્સું અલગ વિઝન હતું. પણ સંજય ગાંધીની અચાનક આ એક્ઝિટ પછી એક શૂન્યાવકાશ સર્જાઈ ગયો. સાથે જ સર્જાઈ ગઈ અનેક લોકવાયકાઓ.
શું સંજય ગાંધીનું મૃત્યુ પ્લેનના કરતબ કરવાના શોખને કારણે થયું? સંજયના મૃત્યુ માટે પ્લેનની ઝડપ જવાબદાર હતી કે પછી એની પોલિટિકલ ઝડપ `કોઈક’ની આંખમાં ખૂંચતી હતી? સંજય ગાંધીની હત્યા કરવામાં આવી હોય, તો એ માટે જવાબદાર કોણ?
સંજય ગાંધીના મૃત્યુ માટે જે આધિકારિક કારણ છે, એ આ મુજબ છે. સંજય ગાંધીને માત્ર પ્લેન ઉડાડવાનો જ શોખ નહોતો, બલકે હવામાં તેજ ઝડપે ઊડતા પ્લેનને ગુંલાટ ખવડાવીને કરતબ કરાવવાનો પણ ગાંડો શોખ હતો. એટલે જ એને નવા ખરીદેલા Pitts S-2 વિમાનમાં વારંવાર ઊડતા રહેવાનું ઘેલું વળગેલું હતું આ વિમાન હવાઈ કરતબના શોખીનોનું જેટલું માનીતું છે એટલું જ ખતરનાક પણ છે. 1973થી 1980 દરમિયાન આ મોડેલના જુદા જુદા પંદરેક પ્લેન જીવલેણ અકસ્માતનો ભોગ બની ચૂક્યા હતા. સંજયના મોટા ભાઈ રાજીવ ગાંધી ખુદ એ સમયે એક પાઈલટ હતા અને Pitts S-2 Specialની ઉડાન વખતે ઊભા થતાં જોખમોથી સુપેરે માહિતગાર હતા.
કહે છે કે નાના ભાઈ સંજયને આ વિમાન નહિ ઉડાડવાની મોટા ભાઈ રાજીવે સલાહે ય આપેલી, પણ…. 23 જૂનના રોજ વહેલી સવારે સફદરજંગ હવાઈ અડ્ડા પરથી સંજય ગાંધી પોતાનું Pitts S-2 Special વિમાન લઈને ઉડ્યા. હવામાં ત્રણેક ચક્કર માર્યા… ને પછી અચાનક પ્લેન અશોકા હોટેલની પાછળના ભાગમાં એક વૃક્ષ સાથે ધડાકાભેર અથડાઈ પડ્યું! સંજયની સાથે એના સહાયક પાઈલટ તાત્કાલિક મૃત્યુ પામ્યા. પ્લેનમાં આગ નહોતી લાગી એટલે ડેડબોડીઝ મળ્યા ત્યારે એ બંને શરીર વૃક્ષ ઉપર લટકેલી હાલતમાં હતા! સંજય જીવિત હતો ત્યારે જ એનું વ્યક્તિત્વ એટલું ચર્ચાસ્પદ રહ્યું કે અચાનક-અકાળ મૃત્યુ પછી જાતજાતની શંકાઓ જાગે એ સ્વાભાવિક હતું. સંજયના મૃત્યુ પછી ઘણી વાતો વહેતી થઇ.
એક મોટો વર્ગ આજે ય માને છે કે સંજય ગાંધીનું મૃત્યુ માત્ર એક અકસ્માત નહોતો. તાજેતરની અમદાવાદની દુર્ઘટનામાં પ્લેન ક્રેશ સાથે જ ભયંકર આગ લાગી કેમકે વિમાનની ટાંકી ફ્યુઅલથી ભરેલી હતી. કોઈ પણ વિમાન ટેક ઓફ કરે ત્યારે એની ટાંકી ફૂલ જ હોવાની એટલે ટેક ઓફ પછી તરતના સંજોગોમાં પ્લેન ક્રેશ થાય તો આગ લાગવાની શક્યતા હોય જ, પણ ટેકઓફ બાદ ગણતરીની મિનિટ્સમાં તૂટી પડેલા સંજયના વિમાનમાં આગ નહોતી લાગી, કેમકે એમાં પૂરતું પેટ્રોલ નહોતું! તો શું સંજય ગાંધીને સાવ ઓછા પેટ્રોલ સાથે ટેક ઓફ કરવા દેવાયા? સંજય કોઈ પ્રોફેશનલ પાઈલટ નહોતા, વિમાન ઉડાડવું એ એમના માટે એક તોફાન એક મસ્તી હતી. એટલે ટેક ઓફ પહેલા ફ્યુઅલ મીટર તરફ એનું ધ્યાન ન ગયું હોય એ બનવાજોગ છે. સંજયને હવાબાજી કરવાની એટલી ઉતાવળ હતી કે સહાયક પાઈલટે મંગાવેલી ચા આવે એ પહેલા તો સંજય વિમાનમાં ચડી બેઠેલા એટલે સહાયકને ય ટેક ઓફ પહેલાં કશું જોવા સમજવાનો સમય ન મળ્યો હોય એમ બને તો શું ગ્રાઉન્ડ સ્ટાફે ય પોતાની ફરજ નહોતી બજાવી?
ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટીને કારણે 1977માં કૉંગ્રેસ પાર્ટી સત્તામાંથી ફેંકાઇ ગઈ હતી. કટોકટી દરમિયાન કૉંગ્રેસ પક્ષ પર સંજય ગાંધીએ પૂરેપૂં વર્ચસ્વ જમાવી દીધેલું. એવું કહેવાતું કે દેશનું સંચાલન PMO (પ્રાઈમ મિનિસ્ટર ઓફિસ) નહિ પણ PMH (પ્રાઈમ મિનિસ્ટર હોમ) દ્વારા થઇ રહ્યું છે. મતલબ સાફ હતો. પક્ષમાં અને દેશમાં બિનઅનુભવી ગણાતા યુવાન સંજય ગાંધીનું કદ માતા (અને વડા પ્રધાન) ઇન્દિરા કરતાં મોટું થઇ ગયું!
એક વાત તો એવી ય છે કે એક વાર કોઈક બાબતે સખત ચિડાયેલા સંજય ગાંધીએ પોતાની જ માતા ઇન્દિરા ગાંધીને થપ્પડ મારી દીધેલી! ન્યાય ખાતર કહેવું જોઈએ કે 1980માં કૉંગ્રેસ ફરી સત્તામાં આવે એ માટે સંજય ગાંધીએ જાતે મેદાનમાં ઊતરીને ભારે મહેનત કરેલી. હજારો યુવાનોને કૉંગ્રેસમાં ભરતી કરીને સંજયે રાજકીય દુશ્મનો સામે એમનો છૂટથી ઉપયોગ કર્યો. કટોકટી કાળ દરમિયાન પણ ફરજિયાત નસબંધી જેવા કાર્યક્રમો અમલમાં મૂકીને સંજય ગાંધી એક ચોક્કસ વર્ગ માટે ભારે અળખામણા બન્યા.
દિલ્હીમાં જામા મસ્જિદ વિસ્તારમાં સંજયના હુકમ બાદ મોટા પાયે ડિમોલીશન કરાયું, એ પછી મુસ્લિમોનો એક વર્ગ પણ સંજયથી ભારે ખફા થઇ ગયો હોવાનું મનાય છે. 1980માં ફરી સત્તા મળી એ પછી ઇન્દિરા સ્વાભાવિક રીતે જ નહોતા ઇચ્છતા કે કટોકટી દરમિયાન બનેલી ઘટનાઓનો બોજ ભવિષ્યમાં એમણે પોતે કે પાર્ટીએ વેંઢારવો પડે. આ બધી વાત અને સંજોગોને આધારે ઘણા લોકો એવું માને છે કે સંજય ગાંધીનો વિમાન અકસ્માત એક `પોલિટિકલ મર્ડર’હતું!
અમેરિકા અને રશિયા વચ્ચે ચાલતી કોલ્ડવોર ત્યારે ચરમસીમાએ હતી. બંને મહાસત્તાઓ દુનિયાના બીજા દેશોમાં પોતાની ફેવર કરતી સરકાર ઈચ્છતી હતી. ભારતે આમ તો તટસ્થ રહેવાનું વલણ દાખવ્યું, પણ અમેરિકાએ પાકિસ્તાનને કાંખમાં લીધું હોવાથી ભારત પાસે રશિયા સાથેના સંબંધો ગાઢ કર્યા સિવાય છૂટકો નહોતો. બદલામાં રશિયાએ ગાંધી પરિવારને સત્તામાં ટકાવી રાખવાની જવાબદારી લીધી હશે? કોણ જાણે!
જોકે, સુબ્રમણ્યમ સ્વામીના આક્ષેપ મુજબ સંજય ગાંધીની હત્યા પાછળ રશિયાનો જ હાથ હતો. રશિયા ઇન્દિરાને કાબૂ કરી શકતું હતું, પણ સંજય માથા ભારે હતો. એમ કોઈના કીધે રાજ કરે એમ નહોતો! ખરેખર એવું હશે? સંજય ઉપર અગાઉ પણ ત્રણ વખત પ્રાણઘાતક હુમલા થઇ ચૂકેલા.. એક વાર તો કોઈક અજાણ્યા વ્યક્તિએ સીધું ફાયરિગ પણ કરેલું…આ સોમવારે ફરી એક વાર 23 જૂન આવશે અને સંજયની અણધારી વિદાયને સાડા ચાર દાયકા પૂરા થશે, છતાં ઘણા પ્રશ્નો હજી અનુત્તર છે.
પત્રકાર તવલીનસિંહ પોતાના પુસ્તકમાં લખે છે કે સંજય ગાંધીની ડેડબોડીને હોસ્પિટલ લઇ જવામાં આવી. પોસ્ટમોર્ટમ ચાલતું હતું એ દરમિયાન મેડમ ગાંધી ઘટનાસ્થળે પહોંચીને કાટમાળમાંથી કશુંક’ શોધતા હતા! એ શું હતું, પોલિટિકલ વારસદાર ગણાતા દીકરાની એના અત્યંત મહત્ત્વાકાંક્ષી દીકરાની કોઈકપોલિટિકલી કિંમતી’ ચીજ કે પછી કોઈ ખાસ લોકરની ચાવી?!
આપણ વાંચો : ભાત ભાત કે લોગ: આ `મુહાજીરો’નો કટ્ટરવાદ પાકિસ્તાનીઓથી ચડે એવો છે