મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનનો નિર્ણય ભાજપનો અને મારો તેને પૂર્ણ ટેકો: એકનાથ શિંદે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામોને આવ્યાને અઠવાડિયાથી વધુનો સમય વીતી ગયો હોવા છતાં હજી સુધી મુખ્ય પ્રધાનને મુદ્દે મડાગાંઠ ઉકેલાઈ નથી ત્યારે રાજ્યના કાર્યવાહક મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રવિવારે જણાવ્યું હતું કે ભાજપ રાજ્યના નવા મુખ્ય પ્રધાન નક્કી કરશે કે તેમનું આને સંપૂર્ણ સમર્થન હશે, અને ભારપૂર્વક ઉમેર્યું હતું કે સરકારની રચના અંગે મહાયુતિના ભાગીદારો વચ્ચે કોઈ મતભેદ નથી.
સાતારા જિલ્લામાં તેમના વતન ડેરે ગામમાં પત્રકારો સાથે વાત કરતા, શિંદેએ એમ પણ કહ્યું હતું કે સરકારની રચના પર વાટાઘાટો ચાલી રહી છે અને તમામ નિર્ણયો મહાયુતિના ત્રણ સહયોગીઓ – શિવસેના, ભાજપ અને એનસીપી દ્વારા સર્વસંમતિથી લેવામાં આવશે.
દાઢીવાળાને કમ નહીં સમજતા: શિંદે જૂથની ચેતવણી…
શિંદેએ એમ પણ કહ્યું હતું કે તેઓ નિયમિતપણે તેમના ગામમાં આવે છે અને નવાઈ વ્યક્ત કરી હતી કે ગયા અઠવાડિયે જ્યારે તેમણે મુખ્ય પ્રધાનપદ પર પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરી નાખ્યું હતું, ત્યારે શા માટે કોઈ મૂંઝવણ (તેમની મુલાકાત અંગે) હોવી જોઈએ.
ભાજપ, શિવસેના અને અજિત પવારની એનસીપીના મહાયુતિએ વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ જીત સાથે સત્તા જાળવી રાખી હતી, જેના પરિણામો 23 નવેમ્બરના રોજ જાહેર થયા હતા.
‘ચિંતા કરશો નહીં, બધા…’, સીએમ પદને લઈને એકનાથ શિંદેએ આપ્યું મોટું નિવેદન
નવી મહાયુતિ સરકારનો શપથ ગ્રહણ સમારોહ પાંચમી ડિસેમ્બરની સાંજે દક્ષિણ મુંબઈના આઝાદ મેદાનમાં થશે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમાં હાજરી આપશે, એમ રાજ્ય ભાજપના વડા ચંદ્રશેખર બાવનકુલેએ શનિવારે જણાવ્યું હતું. મુખ્ય પ્રધાન કોણ હશે તે અંગે હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી, ભાજપના સૂત્રોએ જણાવ્યું હતું કે દેવેન્દ્ર ફડણવીસ, જેઓ બે વાર મુખ્ય પ્રધાન રહી ચૂક્યા છે અને છેલ્લી એકનાથ શિંદેની આગેવાનીવાળી સરકારમાં નાયબ મુખ્ય પ્રધાન હતા, તેઓ આ પદ માટે સૌથી મોટા દાવેદાર છે.
શિંદેએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે શિવસેના પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના મહારાષ્ટ્રના આગામી મુખ્યપ્રધાનના નામના નિર્ણયનું સમર્થન કરશે.
આ પણ વાંચો: Maharashtra CM: આજે એકનાથ શિંદે મુંબઈ આવશે, જાહેર કરી શકે છે મોટો નિર્ણય
રવિવારે પત્રકારો સાથે વાત કરતા શિંદેએ કહ્યું, ‘હું હંમેશાં મારા ગામમાં આવું છું. જ્યારે મેં ગયા અઠવાડિયે જ મારું સ્ટેન્ડ સ્પષ્ટ કરી દીધું છે ત્યારે કોઈ મૂંઝવણ કેમ હોવી જોઈએ. મેં પહેલેથી જ કહ્યું છે કે સીએમપદ અંગેનો નિર્ણય ભાજપ નેતૃત્વ દ્વારા લેવામાં આવશે. મને અને શિવસેનાને સ્વીકાર્ય છે અને મારું સંપૂર્ણ સમર્થન હશે.’
તેમની તબિયત અંગેના પ્રશ્ર્નના જવાબમાં શિવસેનાના નેતાએ કહ્યું કે તેઓ હવે સ્વસ્થ છે અને આરામ કરવા તેમના વતન ગામમાં આવ્યા છે.
આ પણ વાંચો: દેવેન્દ્ર ફડણવીસ નાયબ મુખ્ય પ્રધાન બની શકે તો શિંદેને શું વાંધો: રામદાસ આઠવલે
‘અમે એવી સરકાર આપીશું જે લોકો ઇચ્છે છે. છેલ્લા અઢી વર્ષમાં અમારા કામના બદલા તરીકે લોકોએ આપેલા જંગી આદેશને કારણે અમારી જવાબદારી હવે વધી ગઈ છે,’ એમ તેમણે કહ્યું હતું.
તેમના પુત્ર અને લોકસભાના સભ્ય શ્રીકાંત શિંદે સીએમ બનશે તેવી અટકળો પર શિંદેએ કહ્યું કે એવી વાતચીત ચાલી રહી હતી.
આ પણ વાંચો: શિંદેના ચહેરાથી મહાયુતિને ફાયદો થયો, અમને ગૃહ મંત્રાલય આપો: શિવસેના
તેમણે એમ પણ કહ્યું હતું કે, ‘ગયા અઠવાડિયે દિલ્હીમાં (કેન્દ્રીય પ્રધાન) અમિત શાહ સાથે એક બેઠક થઈ હતી અને હવે અમે મહાયુતિના ભાગીદારો સરકારની રચનાની ગંભીરતા અંગે ચર્ચા કરીશું.’
‘ભાજપે હજુ તેના વિધાનમંડળ પક્ષના નેતાની જાહેરાત કરવાની બાકી છે. અમે જનતાની આકાંક્ષાઓને પૂર્ણ કરીશું. અમારી વચ્ચે કોઈ મતભેદ નથી. અમે લોકોના હિતમાં નિર્ણય લઈશું. મારા સ્ટેન્ડનું પુનરાવર્તન કરવાની કોઈ જરૂર નથી,’ એમ શિંદેએ ઉમેર્યું હતું.
(પીટીઆઈ)