સરકાર રચવામાં વિલંબ મહારાષ્ટ્રનું ‘અપમાન’ છે: આદિત્ય ઠાકરે
વિપક્ષએ વિલંબ કર્યો હોત તો રાષ્ટ્રપતિ શાસન આવી ગયું હોત

મુંબઈ: શિવસેના (યુબીટી)ના નેતા આદિત્ય ઠાકરેએ રવિવારે દાવો કર્યો હતો કે વિધાનસભા ચૂંટણીના પરિણામોની જાહેરાતના એક સપ્તાહથી વધુ સમય બાદ મુખ્ય પ્રધાન અંગે નિર્ણય લેવામાં અને સરકાર રચવાની મહાયુતિની અસમર્થતા મહારાષ્ટ્રનું “અપમાન” છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પરની પોસ્ટમાં ઠાકરેએ રાજ્યમાં હજુ સુધી રાષ્ટ્રપતિ શાસન કેમ લાગુ નથી કરવામાં આવ્યું એવો પણ સવાલ કર્યો હતો.
આ પણ વાંચો: ચૂંટણીમાં ફટકો પડ્યા પછી ઉદ્ધવ ઠાકરેની સેનાએ આદિત્ય ઠાકરેને સોંપી મોટી જવાબદારી…
મહાયુતિના સૌથી મોટા ઘટક ભારતીય જનતા પક્ષ (ભાજપ) પર નિશાન સાધી ઠાકરેએ જણાવ્યું હતું કે સરકાર રચવાનો દાવો કર્યા વિના શપથવિધિની તારીખ એકતરફી જાહેર કરવી એ ‘નરી અરાજકતા” છે.
નવી મહાયુતિ સરકારની શપથવિધિ સમારોહ 5 ડિસેમ્બરે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં થશે એમ પ્રદેશ ભાજપ પ્રમુખ ચંદ્રશેખર બાવનકુળેએ શનિવારે જણાવ્યું હતું. અલબત્ત મુખ્ય પ્રધાન કોણ બનશે તે અંગે હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર બે વખત મુખ્ય પ્રધાન રહી ચૂકેલા અને એકનાથ શિંદેના નેતૃત્વવાળી સરકારમાં ડેપ્યુટી સીએમ રહી ચૂકેલા દેવેન્દ્ર ફડણવીસ આ પદ માટે મજબૂત દાવેદાર છે.
આ પણ વાંચો: Maharashtra CM: આજે એકનાથ શિંદે મુંબઈ આવશે, જાહેર કરી શકે છે મોટો નિર્ણય
મહાયુતિ પર નિશાન સાધી ઠાકરેએ વધુમાં જણાવ્યું હતું કે ‘એવું લાગે છે કે નિયમો ફક્ત વિરોધી પક્ષોને જ લાગુ પડે છે, કેટલાક “ખાસ લોકો”ને નહીં. સરકાર રચવાનો અને માનનીય રાજ્યપાલને સંખ્યા બતાવવાનો દાવો કર્યા વિના શપથ ગ્રહણની તારીખ જાહેર કરવી અરાજકતા છે. આ પરિસ્થિતિમાં રખેવાળ મુખ્ય પ્રધાન ચંદ્રકળા અનુસાર મીની વેકેશન પર છે. આવ્યા અગાઉ પણ જોવા મળ્યું છે.’
તેમણે એમ પણ જણાવ્યું હતું કે ‘જો વિપક્ષ દ્વારા સરકાર રચવાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો હોત તો રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ ન થઈ ગયું હોત?’