ઝારખંડમાં મતદાન પૂર્વે Hemant Sorenનો માસ્ટર સ્ટ્રોક, કરી આ જાહેરાત

રાંચી: ઝારખંડ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન 20 નવેમ્બરના રોજ યોજાશે. તેમજ સોમવારે ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે. જોકે તે પૂર્વે રાજ્યના મુખ્ય મંત્રી હેમંત સોરેને(Hemant Soren)માસ્ટર સ્ટ્રોક માર્યો છે. તેમણે આદિવાસી મતબેંકને ધ્યાનમાં રાખીને મોટી જાહેરાત કરી છે. હેમંત સોરેને રવિવારે જાહેરાત કરી હતી કે રાજ્યના સર્વોચ્ચ પુરસ્કારનું નામ હવે “લોર્ડ બિરસા મુંડા અને ભગવાન સીદો-કાન્હુ” રાખવામાં આવશે. સોરેને કહ્યું કે જો ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ)ની આગેવાની હેઠળની સરકાર સત્તામાં આવશે તો કેબિનેટની પ્રથમ બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે.
આ પણ વાંચો: ઝારખંડમાં રાહુલનું હેલિકોપ્ટર રોક્યું, કૉંગ્રેસે ભાજપ પર કર્યા આવા આક્ષેપો…
હેમંત સોરેને આ જાહેરાતને લઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’પર એક પોસ્ટ પણ શેર કરી હતી, જેમાં તેમણે કહ્યું
હતું કે, “ઝારખંડના સર્વોચ્ચ પુરસ્કારનું નામ ‘લોર્ડ બિરસા મુંડા અને ભગવાન સીદો-કાન્હુ એવોર્ડ’ હશે.
ભાજપ રાજ્યમાં સત્તા મેળવવા માંગે છે
ઝારખંડ મુક્તિ મોરચા હાલમાં રાજ્યમાં સત્તા પર છે અને હેમંત સોરેન મુખ્યમંત્રી છે. પાર્ટી ચૂંટણી રણનીતિ પર ભાર આપી રહી છે અને આદિવાસીઓ અને પછાત વર્ગોના મુદ્દાઓ પર ધ્યાન આપી રહી છે. આ સાથે જ ભાજપ રાજ્યમાં સત્તા મેળવવા પ્રયાસ કરી રહી છે. પાર્ટી રાજ્ય સરકારને રોજગાર, શિક્ષણ અને વિકાસ કાર્યો જેવા અનેક મુદ્દાઓ પર ઘેરવાનો પ્રયાસ કરી રહી છે.
આ પણ વાંચો: ચૂંટણી પંચની મોટી કાર્યવાહી: મહારાષ્ટ્ર અને ઝારખંડમાંથી 558 કરોડ રૂપિયા જપ્ત કર્યા
ભાજપ પર રાજ્યની છબી ખરાબ કરવાનો આરોપ
આ પહેલા બુધવારે હેમંત સોરેને ભાજપ પર ખોટા પ્રચાર દ્વારા તેમની અને રાજ્યની છબી ખરાબ કરવાનો આરોપ લગાવ્યો હતો. મુખ્યમંત્રી હેમંત સોરેને આરોપ લગાવ્યો હતો કે ભાજપ રાજ્યમાં જેએમએમના નેતૃત્વવાળા ગઠબંધન વિરુદ્ધ પ્રચાર કરવા માટે વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે અને તેણે 95,000 વોટ્સએપ જૂથો બનાવ્યા છે. ભાજપ પર કટાક્ષ કરતા સોરેને કહ્યું હતું કે, સરમુખત્યારો પાસે અબજો રૂપિયા હોઈ શકે છે, પરંતુ હું માનું છું કે અન્યાયી માધ્યમથી વિજય હાંસલ કરવાને બદલે સિદ્ધાંતોને વળગી રહેવું વધુ સારું છે.