વાદ પ્રતિવાદ

સુખી જીવનની સૂફી સલાહ: જીવનમાં વણી લેવા જેવા બે યાદગાર પ્રસંગો

મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી

કભી ખુશી કભી ગમ: જિંદગીનો ક્રમ! આમ છતાં વાતવાતમાં, ડગલે પગલે પોતાની કિસ્મતને કોષતા લોકો માટે માર્ગદર્શક બની રહેવા પામે તેવા બે એક કિસ્સા તાજેતરમાં આલિમ-વિદ્વાનો સાથેના એક સત્સંગમાં જાણવા મળ્યા: જેને વાંચી હતાષા અનુભવતા લોકોને ઉમ્મીદના કિરણોનો સ્પર્શ થયા વિના નહીં રહે. પ્રથમ પ્રસંગ આ મુજબ છે:

હઝરત મૌલાના શેખ સા’દી ના પગના અંગૂઠાનો નખ એકવાર ઉખડી ગયો. ખૂબ પીડા થઈ. લોહી નીકળ્યું. શેખ સા’બ મસ્જિદમાં જઈને શિકાયત કરવા લાગ્યા: યા પરવરદિગારે આલમ! હું તો તારો નમ્ર બંદો છું. રોજ પાંચ વક્ત અચૂક નમાઝ પઢું છું. રોજા રાખું છું.ગરીબો-હાજતમંદોને મદદ કરું છું. સૌને સહાયરૂપ થવા પ્રયત્ન કરું છું, છતાં મને જ તકલીફ કેમ? મને જ કષ્ટ કેમ?

હૈયાવરાળ નીકળી જતાં શેખ સા’દી બહાર નીકળ્યા, ત્યાં ગોઠણથી બંને પગ કપાઈ ગયેલા એવા એક શખસને પૈડાંવાળા લાકડાનાં પાટિયાં પર ઘસડતો જોયો. પેલો તો એની મોજમાં હતો. શેખ સા’દી સાહેબને તરત મનમાં બત્તી થઈ ત્વરિત દોડ્યા. મસ્જિદમાં જઈને રબની માફી માંગવા લાગ્યા: આ અદના સેવકને માફ કરી દો બંદાપરવર. મેં ખોટી ફરિયાદ કરી. અંગૂઠાનો નખ ઊખડી ગયો તેમાં ઘણું બોલી નાખ્યું પેલાને તો બે પગ પૂરા નથી તોય પોતાની મસ્તીમાં જીવ્યે જાય છે. હું બેકદર છું. સ્વાર્થી છું. તારી દયા, દુવા અને રહેમોકરમને પિછાણી ન શક્યો મને ક્ષમા કર મારા પરવરદિગાર…!

આજે આદમી ઘડિયાળને કાંટે સતત દોડ્યા કરે છે. મશીનની જેમ કામ કરે છે, પણ એના મનને જપ નથી. તે પોતાનાં દુ:ખનાં ગાણાં ગાયા કરે છે. સાવ નાની નાની વાતે ઓછું લાવે છે. તાણમાં જીવવું જાણે તેની આદત બની ગઈ છે. તે આધુનિક ઉપકરણનો વસાવી શકે છે અને તેનો ઉપયોગ પણ કરી શકે છે, પરંતુ હાય, પોતાના નિર્દોષ હાસ્યને વહાવી નથી શકતો. હરપળે તેનું જીવન ભારે જ લાગે છે. તે જીવનને માણી શકતો નથી. આર્થિક સધ્ધરતા તો છે, પણ માનસિક સધ્ધરતાનો નાશ થયો છે. ગુસ્સો, ચિંતા, નફરત, દોષ તેને શાંતિથી જીવવા દેતાં નથી. જીવનની દરેક ક્ષણ તે તાણમાં જ વિતાવતો હોય છે. તે પોતાના સાથી-સંગાથીઓને પણ વિશ્ર્વાસમાં રાખી શકતો નથી, કારણ કે તેને પોતાનામાં વિશ્ર્વાસ રહ્યો નથી. ગમે તેટલું મળવા છતાં શિકવા-શિકાયત તેની રોજિંદી આદત બની જવા પામી છે. ધિક્કાર તેના જીવનમાં જાણે વણાઈ ગયો છે.

ઈસ્લામ ધર્મના ઉપદેશ અનુસાર વ્યક્તિએ પોતાના જીવનને સુમધુર બનાવવા માટે પોતે જ પ્રયાસ કરવો પડે છે. તે વ્યક્તિ આનંદમાં નહીં રહે તો કોઈપણ વ્યક્તિ તેને આનંદમાં રાખી નહીં શકે. ‘સુખ કે સબ સાથી દુ:ખમેં ન કોઈની’ પંક્તિ મુજબ પોતે હસશે તો દુનિયા હસશે, પણ પોતે રડશે તો કોઈને પડી નથી કે તેની પાછળ રડવા લાગે. બીજાના દુ:ખે દુ:ખી થઈને પોતાના સુખને બરબાદ કરનારને આજના સમયમાં ‘નકામો અને લાગણીશીલ’ માનવામાં આવે છે. તેને દૂબળો ગણી, કમજોર લેખવામાં આવતો હોય છે.

સંતો સાથેના સત્સંગના સમાગમમાંથી બીજો એક પ્રેરણા પૂરી પાડનારો પ્રસંગ સુખી જીવનની સૂફી સલાહ વર્ણવતી એક લઘુકથામાંથી મળી રહેવા પામે છે. આ કથામાં સુખ અને દુ:ખ એક સિક્કાની બે બાજુ હોય, જીને કી રાહ બની રહે છે:

પોતાને ત્યાં વર્ષો સુધી અભ્યાસ કરીને સંસારમાં જઈને રહેલા શાર્ગિદ (શિષ્ય)ને ઉસ્તાદે કહ્યું- ‘ એક વાત સદા યાદ રાખજે, સુખ અને દુ:ખ બંને પરિસ્થિતિ માણસના મનમાં હોય છે. ભૂખ્યા આદમીને સમયસર ભોજન મળે તો એ સુખી થાય છે, પરંતુ પોતાનું ભોજન કોઈ અન્યને મળે તો એ દુ:ખી થાય છે. ઘણી વાર તો માનવી સુખ-દ:ુખની વ્યાખ્યા વિશે સ્પષ્ટ હોતો નથી, માટે તને ક્યારેક દુ:ખની લાગણી થાય ત્યારે તારાથી નીચલા સ્તરના કોઈ માણસને જો જે. તું તારું દુ:ખ ભૂલી જઈશ કદી ઊંચે નહીં, નીચે જો જે.’

સાચે જ ઊંચે જોનારને દુ:ખની ભાવના જલદી પજવે છે. સૂફી, સંતો, ઓલિયાઓ ઓછામાં ઘણું કહી દેતા હોય છે. એ સાંભળવાની અને સાંભળીને સમજાવાની જરૂર હોય છે. એ સાથે તેને સમજીને આચારમાં ઉતારો તો દુ:ખ જેવો શબ્દ જીવનની ડિક્શનરીમાં રહે નહીં. કોઈને કંઈ નવું મળે તેનાથી આપણને શા માટે દુ:ખ થવું જોઈએ?

દુ:ખ ક્યારેક ઈર્ષામાંથી જન્મે છે. બે સગા ભાઈ હોય અને બેમાંથી એકની તરક્કી, સંપત્તિ જાહોજલાલી વધે ત્યારે બીજાને અદેખાઈ આવે તો એ દુ:ખી થવાનો, પણ અદેખાઈને બદલે એમ વિચારે કે આ પ્રગતિ-સંપત્તિ મારા ભાઈની છે ભાઈ ક્યાં પારકો છે? તો આપોઆપ દુ:ખની લાગણી ઓગળી જવાની. એ અર્થમાં પણ સૂફી ઓલિયાઓની વાત સમજવા જેવી છે. શબ્દો થોડા બદલીને કહીએ તો કંઈક આમ કહી શકાય તને દુ:ખની લાગણી થાય ત્યારે તારાથી વધુ દુ:ખી કોઈને જોજે. તારી પીડા ઘટી જશે. તકલીફ મૂળ અહીં છે. આપણે પીડાની પળોમાં આપણથી વધુ સુખી હોય અની તરફ જોઈએ છીએ. એટલે આપણું દુ:ખ બમણું થઈ જાય છે. એનો છેડો ક્યાંય દેખાતો નથી. અંત આવતો જ નથી.

બધાંજ સંબંધ સ્વાર્થી નથી હોતા. તેને પરોક્ષ રીતે જોવાથી તેમાં રહેલા આનંદને માણી શકાય છે. સંબંધની પરીસીમાઓ નક્કી કરવાથી અનેક મુસીબતોમાંથી ઉગરી જવાય છે. ટૂંકમાં નીચું જુઓ, અપેક્ષા ઘટાડો. અસહ્ય થઈ પડે તો તમારાથી ઓછા સુખી કે વધુ દુ:ખીને જુઓ.

દીને ઈસ્લામના બોધના ધોધમાંથી પણ ઉમ્મતિઓને આજ સબક મળી રહેવા પામે છે, પરંતુ અફસોસ! કુરાને કરીમ અને હદીષ શરીફ જેવી મુકદ્દસ કિતાબ અને રસૂલે કરીમની વાણી, વર્તન અને ઉમદા વ્યવહારને વાંચીએ તો છીએ, સમજીએ પણ છીએ પણ અમલ કરતા નથી, અમલથી જ જિંદગી બનતી હોય છે. જીવનને કાયમી મુકામ સમજનારા અને વાતવાતમાં ઓછું લાવી દુ:ખી દુ:ખી થઈ જનારા શાંત ચિત્તે વિચારે અને તેને જીવનમાં- વ્યવહારમાં ઉતારી બંને જહાંને સંવારે એવી દુઆ. એવી અલ્લાહ- ઈશ્ર્વર કને પ્રાર્થના-દુઆ-સલિમ-સુલેમાન.

સાપ્તાહિક સંદેશ:

દરેક વ્યક્તિએ જરૂરત પ્રમાણે મહેનત કરવી જોઈએ. અનુભવ તો એેમ કહે છે કે જેમણે સાધનોનું કામ અલ્લાહને સોંપી દઈને પોતાની ફરજો પર અમલ કરતા રહ્યા તે લાભમાં રહ્યા અને જેમણે અલ્લાહની કૃપાઓ હોવા છતાં સાધનો ઉપર ભરોસો મૂક્યો તેમને નુકસાન જ થયું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…