વાદ પ્રતિવાદ

અલ્લાહની મહત્તા અને બંદાની નમ્રતા બેડો પાર કરવા સમર્થ

મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી

એક મુસલમાન મોમિન ક્યારે કહેવાય છે? બેશક! જેણે આ કલમો પઢ્યો:લા ઈલાહ ઈલ્લલાહ મુહમ્મદુર્ર રસૂલલ્લાહ’ અલ્લાહ એક છે અને તેના રસૂલ (અલ્લાહના દૂત) પયગંબર (સંદેશવાહક) હઝરત મુહમ્મદ સલ્લલ્લાહો અલયહે વસલ્લમ (અલ્લાહ આપને તથા આપના કુટુંબીજનો-વંશજો પર પોતાની શુભેચ્છા – આશીર્વાદ મોકલે અને શાંતિ અર્પે) જેના પર એટલે કે આ કલમા પર ઈમાન લાવનાર એક મોમીન સાચા અર્થમાં ચુસ્ત-ઈમાનદાર મુસલમાન કહેવાય છે.

સૃષ્ટિના મહાન સર્જનહાર એક માત્ર અલ્લાહ પર ભરોસો રાખનાર બંદો મુસીબતના સમયે બેબાકળો બની જાય અને અહીંતહીં ફાંફાં મારે તેને અલ્લાહ પસંદ કરતો નથી. કટોકટીના સમયે સબ્ર ધારણ કરે અને તેની પાસે આજીજીથી દુઆ માગતો રહે તો તે રહેમાન. (દયાળુ, ઉદાર) છે; વહેલા મોડે જરૂર સાંભળે છે.

વહાલા વાચક મિત્રો! અલ્લાહ તઆલા મોમિનની દુઆઓને માન્ય રાખે તે માટે આ લખનારના અભ્યાસ મુજબ કેટલીક શરતોનું પાલન કરવું આવશ્યક બની રહેવા પામે છે:
પ્રથમ તો જીભને દિલનો સહયોગ તથા સમર્થન દુઆને વધુ અસરકારક બનાવતી હોઈને અલ્લાહતઆલાની ઓળખ અને તેના પ્રત્યેની અડગ આસ્થા, શ્રદ્ધા એ દુઆનું મુખ્ય પાસુ છે. માગણીઓ કે સુખદ ભાવિની ઈચ્છાઓ પછી તે નાની હોય કે મોટી, તેને પૂરી કરનાર એક માત્ર રબતઆલા જ છે અને જો એ માગણી પૂર્ણ થતી નથી અથવા અંશત પૂરી થાય છે, તો એમાં અલ્લાહતઆલાનો કોઈ ભેદ, કોઈ સંકેત, ઈબ્રત (બોધ) સંતાયેલો હોય છે, પણ માણસ અધૂરિયો છે; તેને જરાય થોભવું નથી, રાહ જોવી નથી. તેની માગણી જો સત્વરે પૂર્ણ થતી નથી તો તે અલ્લાહ સામે ફરિયાદ કરવા લાગી જાય છે, પણ એ એટલું સમજતો નથી કે આ શિકવા-શિકાયત કરવી યોગ્ય નથી. સહી સમયે જ દુઆ કબૂલ થવામાં માગણી કરનારની જ ભલાઈ છે, અને એટલે જ અફર આસ્થા-શ્રધ્ધા એ દુઆની રૂહ (આત્મા) છે. વીતેલા જીવનમાં આચરાયેલાં ગુનાહિત કૃત્યો તે થયેલી ભૂલો બદલ પશ્ચાત્તાપની લાગણી અને ફરીથી એવું ન કરવાની પ્રતિજ્ઞા સાથે એનું પાલન કરવાનું સમજભાન તેમ જ અલ્લાહની અનેકવિધ બક્ષીસોના ભોગવટા બદલ આભાર પ્રદર્શિત કરવાની નૈતિક ફરજ એ દુઆની આધાર શિલાઓ છે. નિર્મળતા, નમ્રતા અને એકાગ્રતા દુઆને ધારદાર અને અસરકારક બનાવે છે. દુઆનો આરંભ અલ્લાહની મહાનતાને લક્ષે લઈ તેની પ્રશંસા સાથે કરવામાં આવે તો જાણે સોનામાં સુગંધ ભળી. વળી, એમ કરવામાં પયગંબરોનું અનુસરણ સમાયેલું છે અને અદબ તથા શિષ્ટાચાર પણ મોમિનને એજ સૂચવે છે.

દુઆમાં ઔપચારિકતાનું તત્ત્વ હોવું જોઈએ નહીં, કારણ કે અખૂટ શ્રદ્ધા, નમ્રતા અને આંખોની ભીનાશ સાથે ગદ્ગદ્ કંઠે ઉચ્ચારાયેલી દુઆ જ અલ્લાહના અસીમ કૃપાસાગરને જોશમાં લાવવામાં નિમિત્ત બને છે. અલ્લાહ સાથે મજબૂત સંપર્ક-સેતૂ રચી તે દ્વારા દુઆ કરવાની સદ્બુદ્ધિ ધરાવનારને જે રીતે છીપ મોતીને સાચવે છે એ રીતે દયાળુ અલ્લાહની કૃપાઓ સુરક્ષિત રાખે છે. પાક પરવરદિગાર મોમિન બંદાની દુઆઓને મંજૂર રાખે એ માટે કેટલીક શરતોનું પાલન કરવું જરૂરી છે: દુઆ કબૂલ થાય એ માટે સૌ પ્રથમ અલ્લાહે ફરજિયાત ઠેરવેલી ઈબાદતોને – ખાસ કરીને નમાઝને વખતસર અદા કરતા રહેવું જોઈએ. વાજિબ ઈબાદતો છોડી દેવાની સ્થિતિમાં દુઆ કબૂલ થવાની આશા વ્યર્થ છે. દુઆના માધ્યમ દ્વારા પોતે શું માગી રહ્યો છે અને કોની પાસે માગી રહ્યો છે, તેનું સમજભાન હોવું જોઈએ. દુઆ અંતરના ઊંડાણમાંથી પ્રગટવી જોઈએ. દુઆમાં ઉચ્ચારાતા શબ્દો માટે જીભને દિલનો સહયોગ અને સમર્થન મળવું જોઈએ. માનવી પાસે દિલ અને જીભ એ બે જ એવી વસ્તુઓ છે, જેની પવિત્રતા ને સલામતી અથવા મલીનતા કે બીમારી તેને ઊંચા સ્થાને કે ભોંયભેગો કરી શકે છે. આજ બે વસ્તુઓ વ્યક્તિને માનવંત કે અપમાનિત કરવામાં કેન્દ્રીય ભૂમિકા ભજવતી હોય છે.

શક્ય હદે દુઆમાં પોતાની નમ્રતા અને લાચારી તથા અલ્લાહની મહત્તા તેમ જ મોટાઈ અંકિત થાય એવા શબ્દોનું ઉચ્ચારણ કરવું જોઈએ. વળી, દુઆ દ્વારા પોતે જે માગી રહ્યો છે, તે વાજીબ હોવાની ખાતરી સાથે એવો વિશ્વાસ પણ હોવો જોઈએ કે જો તે પોતાના હિતમાં હશે તો અલ્લાહ તેને અવશ્ય પૂરી કરશે. દુઆ એવી રીતે કરવી જોઈએ જાણે પોતે અલ્લાહને જોઈ રહ્યો છે, એની હાજરીને મહેસૂસ કરી રહ્યો છે અને એવી આધ્યાત્મિક સપાટીએ ન પહોંચી શકે તો ઓછામાં ઓછું એટલું યકિન રાખે કે અલ્લાહ તેને જોઈ રહ્યો છે. રબ અંતરયામી છે. તેને સર્વવિદિત હોય છે.

બાહ્ય અને આંતરિક વર્તનમાં વિરોધાભાસ હોય, કમાણીમાં હરામનું તત્ત્વ ભળી ગયું હોય, કપડાં સ્વચ્છ હોય પણ હરામની કમાણીમાંથી બનાવેલાં હોય, દુઆ કે બંદગી માટેની જગ્યા પચાવી પાડેલી હોય અને સમય પણ બીજા કોઈનો હોય તેવા સંજોગોમાં દુઆ કબૂલ થવાની આશા ઠગારી નીવડશે. એજ પ્રમાણે દુઆ માગનારે અલ્લાહ સમીપ અંતરની નિર્મળતા, શરીરની પવિત્રતા, નમ્રતા, એકાગ્રતા સાથે ધ્યાનમગ્ન થવું જોઈએ અને પોતાના તકલાદી જીવનની મર્યાદા સાથે અલ્લાહની વિશાળતાનો ખ્યાલ કરીને એની ઓળખનું સંપાદન કરી, વધુથી વધુ પ્રમાણમાં પ્રશંસા કરવી જોઈએ અને ત્યાર બાદ પોતાની જાઈઝ (હકના માર્ગે) ઈચ્છાને રજૂ કરવી જોઈએ.

દુઆ વિશે કુરાન કરીમમાં અલ્લાહ ફરમાવે છે, કે `તમે મારી પાસે માગો હું જરૂર તે કબૂલ કરીશ.’
આ વિષય પર હજુ ઘણું લખી શકાય તેમ છે, જે ભવિષ્યમાં ક્યારેક વાત કરી શકાશે.

  • શમીમ એમ. પટેલ
    (ભરૂચ, ગુજરાત)

આજનો સંદેશ:
ભૂખ્યું પેટ લૂખી રોટલીથી ભરાઈ શકે, પણ ભૂખી નજર આખી દુનિયાની દૌલતથી પણ ધરાતી નથી.

  • શું આને કયામતના મંડાણ થઈ ગયાનું કહી શકાય?
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…