ઉત્સવ

કવર સ્ટોરી : પુત્રના ‘પરાક્રમ’થી લાલુ પ્રસાદના પરિવારમાં યાદવાસ્થળી…!

-વિજય વ્યાસ

આમ તો પોતાની વિચક્ષણ ટકોર સાથે હસતાં હસાવતાં રાજકીય ડ્રામાબાજી કરવામાં લાલુ પ્રસાદને કોઈ ન પહોંચે, પણ પુત્ર તેજ પ્રકાશના લગ્નબાહ્ય સંબંધને લીધે એમના યાદવ પરિવારમાં અફડાતફડી મચી ગઈ છે. આ કિસ્સામાં તેજની પત્ની ઐશ્વર્યા- એની પ્રેમિકા અનુષ્કા તથા લાલુ પણ છે… આ ત્રણેય પાત્રો એવાં છે જે આ ‘કહાની મેં ટિવસ્ટ’ આપી શકે !
તેજ-ઐશ્વર્યાઃ ધામધૂમથી સગાઈ-લગ્ન ને પછી કોર્ટમાં ડિવોર્સની અરજી!, તેજનો ધડાકો: અનુષ્કા સાથે તો મારા જૂના ઘનિષ્ઠ સંબંધ છે!

‘રાષ્ટ્રીય જનતા દળ’ (આરજેડી)ના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ પરિવારમાં પાછી નવી ભવાઈ શરૂ થઈ છે. લાલુના મોટા પુત્ર તેજ પ્રતાપે પોતાને અનુષ્કા યાદવ નામની યુવતી સાથે 12 વર્ષથી સંબંધ હોવાની જાહેરાત કરી તેના પગલે ધૂંઆ પૂંઆ થયેલા લાલુપ્રસાદે દીકરાને પોતાના ‘આરજેડી પક્ષ અને પરિવાર’માંથી હાંકી કાઢવાની જાહેરાત કરી …લાલુજીનો આ નિર્ણય જાહેર થતાં જ અનુષ્કાનો ભાઈ મેદાનમાં આવી ગયો. અનુષ્કાના ભાઈએ લાલુના પરિવારને ‘જોઈ લેવાની’ ખુલ્લી ધમકી આપતાં બિહારમાં નવેમ્બરમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલાં જ ઘમાસાણ મચ્યું છે.

આ ‘તોફાન’ની શરૂઆત તેજપ્રતાપે પોતાના ‘ફેસબુક’ એકાઉન્ટ પર પોસ્ટ કરેલી એક તસવીરથી થઈ હતી. એ તસવીર સાથે તેજ પ્રતાપે લખ્યું હતું કે, ‘હું આ અનુષ્કા યાદવ સાથે 12 વર્ષથી રિલેશનશિપમાં છું…!’

થોડા સમય પછી આ પોસ્ટ ડિલીટ કરી દેવામાં આવી એના થોડા કલાક પછી તેજ પ્રતાપે પોતાના એક્સ (X) એકાઉન્ટ પરથી પોસ્ટ કરીને પોતાનું એકાઉન્ટ હેક થઈ ગયું હોવાનો દાવો કર્યો. તેજ પ્રતાપે અનુષ્કા સાથેની પોતાની તસવીર અને એની સાથે અનુષ્કાના રિલેશનની પોસ્ટને પણ નકલી ગણાવીને દાવો કર્યો કે, અનુષ્કા સાથેના પોતાના ફોટા સાથે ચેડા કરવામાં આવ્યા છે.

જોકે, તેજ પ્રતાપે આ ખુલાસો કર્યો ત્યાં સુધીમાં સોશિયલ મીડિયા પર તેજ પ્રતાપની લવ સ્ટોરી છવાઈ ચૂકી હતી. તેજ-અનુષ્કાના ફોટા અને વીડિયો વાયરલ થઈ ગયા હતા. બંનેનાં લગ્નથી માંડીને કરવા ચોથની ઉજવણી સુધીના કહેવાતા આ ફોટો-વીડિયોના કારણે તેજ અને અનુષ્કા મીડિયામાં છવાઈ ગયા હતાં. આ કાંડથી ભડકેલા લાલુએ તેજ પ્રતાપને પાર્ટી-પરિવારમાંથી તો તગેડ્યો જ પણ પોસ્ટમાં વ્યક્તિગત જીવનમાં નૈતિક મૂલ્યો વિશે લાંબુંલચક ભાષણ પણ પિરસી દીધું.
લાલુના આ અણધાર્યા પ્રકોપને કારણે તેજપ્રતાપ તો મૂંગો થઈ ગયો પણ મીડિયાએ ખણખોદ કરીને અનુષ્કા યાદવ કોણ છે એ શોધી કાઢ્યું. અનુષ્કા પટણામાં જ રહે છે અને મધ્યમ વર્ગીય પરિવારની છે. અનુષ્કાનો ભાઈ આકાશ ગૌરવ વિદ્યાર્થી નેતા છે. આકાશ પહેલાં ‘આરજેડી’માં હતો. આ કારણે તેજ પ્રતાપ અને અનુષ્કા પરિચયમાં આવ્યાં ને બંને વચ્ચે સંબંધ વધુ ગાઢ થયા એવું મનાય છે.

અનુષ્કા સાથેના સંબંધોના કારણે તેજ પ્રતાપે આકાશને ‘આરજેડી’ના છાત્ર સંઘનો પ્રમુખ બનાવી દીધેલો. 2021માં :‘આરજેડી’ના બિહાર પ્રમુખ જગનંદાસિંહે આકાશને છાત્ર સંઘના પ્રમુખપદેથી દૂર કર્યો ત્યારે તેજ પ્રતાપે ભારે ઉધામો મચાવી દીધેલો. એ વખતે કોઈને અનુષ્કા-તેજના સંબંધ વિશે ખબર નહોતી. તેથી નાના ભાઈ તેજસ્વી સાથેના ઝગડાના કારણે તેજે બબાલ કરી હોવાનું મનાતું હતું, પણ હવે અસલિયત બહાર આવી છે. આ બબાલ પછી આકાશ ‘રાષ્ટ્રીય લોકજનશક્તિ પાર્ટી’માં જતો રહેલો, પણ હમણાં ત્યાંથી પણ એને તગેડી મૂક્વામાં આવ્યો છે.

તેજ પ્રતાપ-અનુષ્કાના સંબંધની વાતો બહાર આવી પછી લાલુ ભડકી ગયા તેના કારણે ઘણાંને આશ્ર્ચર્ય થયું છે. લાલુએ એના અન્ય એક પુત્ર તેજસ્વીને ખ્રિસ્તી યુવતી રાશેલ ગોડિન્હો (હવે રાજશ્રી યાદવ) સાથે પરણવાની મંજૂરી આપી છે, જ્યારે અનુષ્કા તો યાદવ છે તો પછી લાલુને શું વાંધો છે એ સવાલ થઈ રહ્યો છે. લાલુનો બળાપો તેજ પ્રતાપનાં છાનગપતિયાં અને તેના કારણે ખાસ સાથી ચંદ્રિકા રાય સાથેના સંબંધો સાવ બગડી ગયા તેની સામે છે.

તેજ પ્રતાપ યાદવનાં લગ્ન2018માં ઐશ્વર્યા રાય સાથે થયેલાં. ઐશ્વર્યા બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દરોગા પ્રસાદ રાયની પૌત્રી અને ચંદ્રિકા રાયની પુત્રી છે. ચંદ્રિકા રાય તો વળી લાલુના વિદ્યાર્થી કાળના મિત્ર હતા. લાલુએ આ મિત્રતાને સંબંધોનું સ્વરૂપ આપ્યું કે જેથી યાદવ સમુદાય પર પોતાની પકડ મજબૂત કરે પણ તેજ પ્રતાપે બધો ખેલ બગાડી નાખ્યો. તેજ પ્રતાપને ઐશ્વર્યા સાથે ના ફાવ્યું ને લગ્નના એક વરસમાં તો ડખો થઈ ગયો.

તેજ પ્રતાપ લોચાવાળો કેસ છે ને કૃષ્ણભક્તિમાં રચ્યોપચ્યો રહે છે તેમાં એને પત્ની અશ્વૈયા સાથે જામ્યું નહીં હોય એવું મનાતું હતું, પણ તેજ તો કૃષ્ણ નહીં, પણ અનુષ્કાની ભક્તિમાં લીન હતો!

તેજે પોતે જ અનુષ્કા સાથે 12 વર્ષથી રિલેશનશિપમાં હોવાનું સ્વીકાર્યું છે. તેનો મતલબ એ થયો કે, ઐશ્વર્યા સાથે 2018માં લગ્ન વખતે જ તેજ પ્રતાપ અનુષ્કા સાથે ‘સંબંધ’ ધરાવતો હતો. તેજ પ્રતાપે આ વાત પરિવારને કરી હશે કે નહીં તેની ખબર નથી, પણ લગ્ન કરી લીધા પછી વરસમાં જ છૂટા પડ્યા પછી તેજે બહુ ભવાડા કરેલા. ઐશ્વર્યા ખાનદાના હોવાથી કશું નહોતી બોલી પણ તેજ પ્રતાપે ઘણા આક્ષેપો કર્યા હતા. હા, લાલુનો આખો પરિવાર પુત્રવધૂ ઐશ્વર્યાની પડખે હતો પણ તેજ જ ઐશ્વર્યા સાથે રહેવા તૈયાર નહોતો.

લાલુના બીજા પુત્ર તેજસ્વીએ તો ઐશ્વર્યાના પરિવારને સાચવવા માટે 2019ની લોકસભાની ચૂંટણીમાં તેજના સસરા ચંદ્રિકા રાયને સરન લોકસભા બેઠકની ટિકિટ પણ આપી હતી. તેના કારણે તેજસ્વી અને તેજ એમ બન્ને ભાઈ સામસામે આવી ગયા હતા. તેજે પરિવારને બતાવી દેવા માટે પરિવારની ઉપરવટ જઈને કોર્ટમાં ડિવોર્સનો કેસ પણ માંડી દીધો. આ કેસ હજુ ચાલે છે. તેના કારણે લાલુના પરિવારની આબરૂનો ફાલુદો થઈ રહ્યો છે.

ઐશ્વર્યા સાથે તેજ પ્રતાપને ના જામ્યું ત્યારે ઘણાંને લાગેલું કે, તેજ વધારે પડતો આધ્યાત્મિક છે તેથી સમસ્યા છે. લાલુ યાદવના પરિવારની ભારાડી ઈમેજથી બિલકુલ વિપરિત તેજ પ્રતાપ ગોકુળ-મથુરા જઈને કૃષ્ણભક્તિ કરતો, ગૌશાળામાં વ્યસ્ત રહેતો તેથી કૃષ્ણ ભગવાનના ભક્ત તરીકેની ઈમેજ બની હતી.

જોકે બીજી તરફ, તેજ મોંઘી કારોમાં ફરતો, સ્ટાઈલિશ બાઈક્સ ફેરવતો, બ્રાન્ડેડ ડ્રેસ પહેરતો…આવા વિરોધાભાસને લીધે ખરેખર એની અસલિયત શું છે એ વિશે સવાલ થતા, પણ હવે બધા સવાલના જવાબ મળી ગયા છે.

લાલુએ પરિવારમાંથી કાઢી મૂક્યો પછી તેજ પ્રતાપ શું કરશે એ સવાલ છે. આ પહેલાં 2019માં ડખો થયેલો ત્યારે તેજ પ્રતાપે ‘રાષ્ટ્રીય જનતા દળ’ (આરજેડી)થી નોખા થઈને અલગ પક્ષ રચવાનું ત્રાગું કરેલું. લાલુ પ્રસાદે એ વખતે એને ધમકાવીને બેસાડી દીધો હતો. આમ છતાં, એણે પોતાનું અલગ વિદ્યાર્થી સંગઠન બનાવ્યું હતું. આ સંગઠનને એ સક્રિય કરશે એવું મનાય છે, પણ રાજકીય વિશ્ર્લેષકોના મતે, લાલુ પરિવારનો ડ્રામા વિધાનસભાની ચૂંટણી પૂરતો મર્યાદિત છે. તેજની લીલાઓના કારણે રાજકીય નુકસાન ના થાય એટલે લાલુએ તેજ પ્રતાપને તગેડ્યો છે પણ ચૂંટણી પતતાં જ પાછું ઘીના ઠામમાં ઘી પડી જશે ને તેજ યાદવ પરિવાર અને આરજેડીમાં પાછો આવી જશે…

આપણ વાંચો : કવર સ્ટોરી : હવે મુત્સદ્દીગીરી સાથે મિલિટરી ઍક્શન લેવાનો સમય પાકી ગયો છે…!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button