ઉત્સવ

આ છે વિશ્ર્વનો સહુથી ઊંચો વિષમ પ્રદેશ…. અહીં તમને થશે બૌદ્ધ સંસ્કૃતિની અનન્ય ઝાંખી

ટ્રાવેલ સ્ટોરી -કૌશિક ઘેલાણી

શેય મોનેસ્ટ્રી ,જી થિકસે મોનેસ્ટ્રી, જી સ્તકના મોનેસ્ટ્રી

 કુદરતની ભવ્યાતિભવ્ય સિનેમેટોગ્રાફી જોઈને કોઈ કુશળ તસવીરકારને  પણ ઈર્ષા આવી જાય એવો અહીં માહોલ સર્જાય છે... ‘લદ્દાખને ખા-પા-ચાન’  પણ કહેવામાં આવે છે , જેનો અર્થ છે:  હિમભૂમિ. સમુદ્રની સપાટીથી ૧૪૦૦૦ ફૂટ ઊંચાઈ પર  ટ્રાન્સ હિમાલયમાં આવેલા  કારાકોરામ- લદ્દાખ અને ઝંસ્કાર પર્વત શ્રેણીનો એ વિસ્તાર જાણે  કુદરતનાં વિશાળ કેનવાસ પર દોરેલાં પેઇન્ટિંગ જેવા  દીસે છે

(ભાગ- ૧)
કુદરતના રંગમંચ પર જાણે સુંદર દ્રશ્યોની ઝાકમઝાળ છવાઈ હોય, એક પછી એક વિવિધ રંગો તેના પોતીકા અલગ અલગ હાવભાવમાં ભજવાતા હોય એવા લદ્દાખની અમુક વિષમ અને શુષ્ક તો કેટલીક જગ્યાએ એકદમ રફ અને ધૂળિયા રસ્તાઓ છે. અહીં કુદરતનાં કોઈ ઓપન થિયેટરમાં વાચા છીનવી લે એવી કોઈ કુદરતી ડોક્યુમેન્ટરી જોતા હોય એવો આભાસ થાય.

આમ જોઇએ તો ‘લદ્દાખ’ શબ્દ બે શબ્દો પરથી બન્યો છે, ‘લા ’ નો અર્થ – પર્વતીય પાસ અને ‘દાખ ’ એટલે – દેશ. ‘ટ્રાન્સ હિમાલય’ તરીકે ઓળખાતો આ વિસ્તાર એટલે ઠંડું રેગિસ્તાન. અનેક હિમનદીઓના ઉદ્દભવ સ્થાન એવું લદ્દાખ અનેક બૌદ્ધ મઠ અને પરંપરાગત ગોમ્પાની ભૂમિ છે. લદ્દાખના દરેક ગામ અને વસતિમાં વિવિધ મોનેસ્ટ્રીઝ એટલે કે મઠ છે. ઠંડી શુષ્ક હવામા શાંતિનો સંદેશો ફેલાવતા એકદમ રંગબેરંગી ફ્લેગ્સ, લાલ રંગનાં વસ્ત્રોમાં સજજ લામાઓ અને એમાં પણ લિટલ લામાઓ, વિવિધ મઠ અને સ્તૂપ જોઈને એમ જ લાગે આપણે તથાગત-બુદ્ધના પ્રદેશમાં ભૂલા પડ્યા છીએ અને હમણાં જ કોઈ અણધાર્યા વળાંક પર સુંદર સ્મિતસભર એ ચિરપરિચિત ચહેરાનો ભેટો થઈ જશે, જેને હંમેશાં આપણે આપણી કલ્પનામાં જોયા છે.

લદ્દાખને મઠની ભૂમિ કહેવામાં આવે છે. ત્યાંની ઊંચી પહાડીઓ પર વસેલા દરેક ગામ અને વસતિમાં ગોમ્પા – બૌદ્ધમઠ દૂરથી જ દ્રષ્ટિગોચર થઈ જાય છે. બૌદ્ધ પરંપરાની ઝાખી કરાવતાં નાના- મોટા સ્તૂપોના બાંધકામ, વાસ્તુકલા અને સંસ્કૃતિ વૈવિધ્યસભર છે.એકાંત વાસ્તવમાં શું છે એ જાણવા અને સમજવા માટે અને ભગવાન બુદ્ધના અનુભવ માટે જીવનમાં એકવાર લદ્દાખની આવાં મોનેસ્ટ્રી-મઠનું સાનિધ્ય અચૂક માણવું જ રહ્યું.

હું કેમેરા લઈને આ મોનેસ્ટ્રીઝમાં ઉત્સુકતાથી ફર્યો છું અને અહીં મને ગજબ શાંતિનો એહસાસ હંમેશાં થયો છે. આપણે શબ્દો અને છબીઓ દ્વારા લદ્દાખની કેટલીક જાણીતાં મઠ મોનેસ્ટ્રીઝમાં આંટો મારી આવીએ….
જી સ્તકના મોનેસ્ટ્રી
સ્તકના ગોમ્પા જેનો શાબ્દિક અર્થ થાય છે ‘વાઘનું નાક’. સિંધુતટ સ્થિત આ મઠની પહાડીનો દેખાવ વાઘના નાક જેવો પ્રતીત થાય છે. આ મઠ પરથી સિંધુ નદીના અવિરત પ્રવાહનો આહલાદક આનંદ માણી શકાય. એમ લાગે જાણે આળસ મરડીને બેઠેલો હિમાલય અને વાદળો સાથે સિંધુનો વાર્તાલાપ થઈ રહ્યો છે.વ્યોમનાં રંગોમાં રંગાવા મથતી સ્તોક પર્વતશ્રેણીની ગોદમાં આવેલ સ્તકના મઠ એની આગવી સુંદરતા માટે વિશ્ર્વપ્રસિદ્ધ છે. અહીંથી સિંધુ નદીનાં વળાંકો, હિમાલયનાં ઉત્તુંગ શિખરો, વાદળોની સૂરજનાં કિરણો સાથેની સંતાકૂકડી અને દૂર સિંધુ તટ પર ભવ્ય થીક્સે મઠ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. મોનેસ્ટ્રીની એન્ટ્રી પર સિંધુ પર હિલોળા લેતો એક લાકડાનો જૂનો પુલ છે અને બાજુમાં એક લોખંડનો પુલ છે, જેના પર લખ્યું છે Light vehicle can pass at a time લાકડાંની પુલ પર એક સમયે એક જ હળવું વાહન જઈ શકે એ સંદર્ભમાં લખેલ આ અદભૂત વાક્ય આ જગ્યા જાણે એમ કહેવા માગે છે કે ઈર્ષા, લોભ જેવાં તત્ત્વો સાથે તમે તથાગતની શરણોમાં નહીં આવી શકો…! આ પુલ પરથી સિંધુના વહી જતા પ્રવાહની સાથે સાથે જાણે સિંધુ સંસ્કૃતિની સભ્યતામાં આપણે પણ ઊંડા ખોવાઈ જઈએ એવી અનુભૂતિ અહીં થાય છે. આસપાસનાં દ્રશ્યો કણકણમાં ઈશની અનુભૂતિ કરાવે એવા છે. અહીં સિંધુ નદી જ આકારનો તીવ્ર વળાંક લે છે. દૂરથી જોનારા બે ઘડી અવાચક થઈ જાય એવું દ્રશ્ય જોઈને કોઈ પણ વ્યક્તિ આ દ્રશ્યને કેમેરામાં કંડારવાનું ભૂલતું નથી. પોતાની ધૂનમાં વહેતી સિંધુ જાણે ઘડી ભર ધીમી પડી શાંતિનો સંદેશો તેના જળમાં ભેળવીને શાંતિ અને પ્રેમનું અમૃતપાન કરાવવા તેની ધૂનમાં પાછી ચાલી નીકળે છે….
સ્તકના મઠની સ્થાપના ૧૬મી શતાબ્દીમાં ભુતાની વિદ્વાન અનસંત ચોસજે જામ્યાગ પાલકર દ્વારા કરવામાં આવી હતી. મઠમાં આર્ય અવલોકિતેશ્ર્વરની પવિત્ર પ્રતિમા છે , જે બનાવવા માટે આસામના કામરૂપના લોકો દ્વારા દાન કરવામાં આવ્યું હતું. મુખ્ય ભાગની જમણી બાજુ ૭ ફૂટ ચાંદીનું વરખ ચડાવેલ ચોર્ટેન એટલે કે સ્તુપ પણ છે,યાત્રાળુઓ તેની આજુબાજુ ઊભા રહે છે અને અહીં તેમના મંત્રોનો પાઠ કરવામાં આવે છે. અહીં સુંદર ભીંતચિત્રો છે. મઠની બીજી વિશેષતા તેના મુખ્ય વરંડામાં સ્ટફ્ડ લ્હાસા અપ્સો છે. સ્થાનિક એવું કહે છે કે આ સ્ટફ્ડ કૂતરો એક સમયે મઠના પ્રારંભિક લામાનું પ્રિય હતું.

જી થિકસે મોનેસ્ટ્રી
કતારબદ્ધ મનમોહક અંદાજમાં ઊભેલા પર્વતો વચ્ચેથી તીવ્ર વળાંકો લેતા મનોરમ્ય રસ્તાઓ પરથી પસાર થતા કુદરતના અકલ્પનિય કરતબો માણતા માણતા સ્તકના મઠથી સિંધુ નદીનાં આ કિનારે થિકસે મઠ પહોંચીએ. આ રસ્તા પર દૂરથી મઠની ઝલક મેળવી શકાય. સામાન્ય રીતે મોટા ભાગના મઠ પહાડીની ટોચ પર જ બાંધેલા છે, જેથી તેને ખૂબ દૂરથી પણ જોઈ શકાય. થિકસે મોનેસ્ટ્રીમાં પ્રવેશતાની સાથે જ એના વાઈબ્રન્ટ કલર્સ કોઈપણનું મન મોહી લેવામાં સક્ષમ છે. મોનેસ્ટ્રીની મોર્નિંગ પ્રેયરની મુલાકાત કોઈ બદનસીબ વ્યક્તિ જ ચુકી શકે. સાવ જ અનોખા પ્રકારના ટ્ર્મપેટ જેવા વાદ્ય વડે સવારની આરાધના માટેનો બેલ વગાડવામાં આવે જેનો ધ્વનિ ચોતરફ વાતાવરણમાં ગૂંજી ઊઠે. પ્રેયરહોલમાં નાની-મોટી બધી જ ઉંમરના લામાઓ એકસાથે મળીને લદાખી ભાષામાં મંત્રોચ્ચાર કરે એ સમયે ચોક્કસથી થોડીવાર માટે આપણે દુનિયાથી અલિપ્ત થઈ જઈએ. આમ તો કોઈ પણ પ્રાર્થનામાં કોઈપણનાં હૃદયનાં તાર ઝણઝણાવી શકવાનું સામર્થ્ય હોય જ છે, પણ અહીંની પ્રાર્થના કંઈક અલગ જ ક્ષમતા ધરાવે છે. આ મોનેસ્ટ્રીમાં એક મોટું પ્રેયર વ્હીલ છે. બૌદ્ધ માન્યતા અનુસાર આ વ્હીલને ઘડિયાળના કાંટાની ગતિમાં ફેરવવાનું, જે તમારા જીવનને હકારાત્મકતા અને ઉર્ધ્વ તરફ દોરી જાય છે. થિકસે મઠના બાર માળ છે. મોનેસ્ટ્રીની છત પરથી સ્તોક અને ઝંસ્કાર રેંજનો વ્યુ ખૂબ જ સુરમ્ય છે. કાન પાસેથી સૂસવાટા મારતો પવન નીકળતો હોય, પ્રેયર ફ્લેગ્સ હવામાં લહેરાતા હોય અને મોનેસ્ટ્રીની ટોચ પરથી સામેની બાજુની પહાડીની ટોચ પાછળથી નીકળતા આદિત્યને જોવો જિંદગીનો એક અનન્ય લહાવો છે. અહીં મૈત્રેય બુદ્ધાની (future buddha) ૧૫ મીટર ઊંચી પ્રતિમા છે. અર્ધ ખુલ્લી આંખે ધ્યાનની કોઈ મુદ્રામાં આ મોહક પ્રતિમા ૧૪માં દલાઈ લામાની અહીંની મુલાકાતની યાદગીરી રૂપે બનાવવામાં આવી છે.

આ મઠનું બાંધકામ અને સ્થાપત્ય તિબેટના પટોળા પેલેસને મળતું આવે છે. આ ઉપરાંત અહીં તારા દેવીને સમર્પિત તારાદેવી મંદિર પણ છે. મઠની દીવાલો પર બૌદ્ધ ધર્મનો ઉપદેશ આપતા ખૂબ જ જુના ભીંતિચિત્રો, થાનગક આર્ટ પણ દાદ માગી લે એવા છે. અહીં બેસીને ક્ષણભર માટે ૐ મણિ પદ્મે હુમનું મનોમન પઠન જીવનનો શ્રેષ્ઠ અનુભવ બની જશે.

જી શેય મોનેસ્ટ્રી
ઉબડખાબડ પથ્થરોવાળી પહાડી વચ્ચે ઊભેલો ભવ્ય શેય પેલેસ અને મઠ હાલમાં આર્કેલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા’ના સંરક્ષણ હેઠળ છે. લાંબી કતારબદ્ધ હારમાં સીડીઓ પર પ્રેયરવ્હીલ ગોઠવેલા છે અને ઉપર નજર કરીએ તો રંગબેરંગી પ્રેયર ફ્લેગ્સ અને
વાદળોએ પવન સાથે રમત રમતા રમતા નાચી રહ્યા હોઈ એવું લાગે. થોડી સીડીઓ ચડીને ઉપર પહોંચતા એક મુખ્ય ચોર્ટન જોવા મળે. તેની આસપાસ બહુ બધા પ્રેયર ફ્લેગ લગાવેલા છે. જુના લાકડાના સુંદર કોતરણીવાળા સ્તંભો અને નાની નાની ગલીઓમાંથી પસાર થતા આ મઠનો મુખ્ય પ્રાર્થનાખંડ આવે જેમાં શાકયમુનિ બુદ્ધાની ૩૯ ફૂટ ઊંચી સોના અને તાંબાથી બનેલી પ્રતિમા છે. આ પ્રતિમા મઠના ત્રણ માળમાં વિરાજમાન છે. સૌથી ઉપરના માળ પર મુખાકૃતિવાળા ભાગ સાથે આસપાસ સુંદર ભીંતિચિત્રો છે. નીચેના માળ પર નાના ભંડારમાં કેટલીક જૂની પાંડુલીપી સચવાયેલી છે. ઉપરના માળ પર સમગ્ર વર્ષ દરમિયાન ઘીથી પેટાવેલો દીવો સતત પ્રજ્વલિત રહે છે. મૂળ રીતે જે શેય પેલેસ હતો એ હાલ ખંડેર અવસ્થામાં છે, હાલનો મઠ એ ૧૬૫૫ માં ડેલડન નામગ્યાલ દ્વારા તેમના પિતા સંગગે નામગ્યાલની યાદમાં બનાવવમાં આવ્યો છે.

ભૂતકાળમાં શેય પેલેસ એ લદ્દાખનું સમર કેપિટલ હતું. અહીં વર્ષ દરમિયાન બે ખૂબ જ રસપ્રદ ફેસ્ટિવલ ઉજવવામાં આવે છે. અહીં વાવણીના સમયે શેય ડુ લહુ અને લણણીના સમયે શેય રૂપલા જેવા તહેવારો ઉજવાય છે જેમાં તમે લોકલ ફોક ડાન્સ અને લોકલ ફૂડને માણી શકાય છે.

લદાખ એ માત્ર સુંદરતા જ નહીં પણ અહીં સદીઓ પહેલા પહોંચેલો અને સચવાયેલો બૌદ્ધ ધર્મનો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસા માટે જાણીતું છે. અહીંની શાંતિ અને સૌમ્યતા કોઈને પણ તથાગતની આંગળી પકડીને વૈશ્ર્વિક શાંતિના માર્ગે ચાલતા શીખવે છે.
( વધુ આવતા અઠવાડિયે..)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત