મિજાજ મસ્તી : સવાલાત’નીલાત’: પૂછો મગર પ્યાર સે

- સંજય છેલ
ટાઇટલ્સ: સવાલ' સામે
સવાલ’, `જવાબ’ ના હોઇ શકે.
(છેલવાણી)
નોર્મલી ફિલ્મોનાં હીરો-હીરોઇન સાચી ઉંમર છુપાવતા હોય છે. એક ગોસિપ પત્રકારે, હીરોઇનનાં ઘરે પહોંચીને પૂછ્યું, `તમારી ઉંમર શું છે?’
હીરોઈને કહ્યું, `અં..27-28 વર્ષ હશે.’
એવામાં અંદરની રૂમમાંથી અભિનેત્રીનો 7 વર્ષનો દીકરો પ્રગટ્યો. એને જોઇ પત્રકારે પૂછ્યું, `અરે, તમારો આટલો મોટો દીકરો છે?’
હીરોઈને કહ્યું, `ના, એ તો દેખાય છે, 7નો. પણ છે, માત્ર 4નો જ.’
`અચ્છા?’ પત્રકારે કહ્યું.
પણ પછી હીરોઈનનો 3 વરસનો બીજો દીકરો પણ પ્રગટ્યો. ત્યારે હીરોઈનેે તરત જ કહ્યું, `આ દેખાય છે 3 વર્ષનો, પણ હજી જન્મ્યો જ નથી, હોં!’
જો ખૂરાફાતી પત્રકારે 1 સવાલ ના પૂછ્યો હોત તો હીરોઇને 2-2વાર જૂઠ્ઠું ના બોલવું પડ્યું હોત. આજકાલ કોઇપણ માણસ સોશિયલ મીડિયા પર ઇલેક્શનનાં મશીનથી લઇને કોઇ મંદિર મસ્જિદ કે કોઇ જૂના મહાન નેતા કે વ્યક્તિ પર કોઇપણ જાતના સવાલો ઉઠાવે છે. નેહજીના કપડાં ક્યાં ધોવાતા કે સોનિયા ગાંધી બારમાં કામ કરતા કે નહીં કે રાહુલ ગાંધી ભારતના નાગરિક છે કે નહીંથી માંડીને સંભાજીનાં બલિદાન સુધી ચારે બાજુ સવાલ જવાબની કવ્વાલી આખા દેશમાં ચાલી રહી છે.
રામધારીસિંઘ દિનકર' નામનાં 1953-64 સુધી હિંદીનાં મહાકવિ, 3-3વાર રાજ્યસભાનાં મેમ્બર હતા. એમને કોઇ અભણ નેતાએ પૂછેલું,
આપ કામ શું કરો છો?’
`કવિ છું.’
`એ સમજ્યાં…પણ કામ શું કરો છો? નોકરી-ધંધો શું?’
વિચાર કરો કે આ સવાલ સાંભળીને દેશની આઝાદી માટે કાવ્યો લખનાર, એક કવિ પર શું વિત્યું હશે? ઘણીવાર સામેનાંને `શું પૂછવું કે શું ના પૂછવું,’ એમાં આપણી સમજદારી કે લાગણીશીલતાની કસોટી થતી હોય છે.
અગાઉ કહેવાતું: કોઇ સ્ત્રીની ઉંમર પૂછીને એને ક્ષૌભનાં ક્ષીરસાગરમાં ડૂબકાં મારવા મજબૂર ના કરવી'...એ જ રીતે,
પુરૂષને એની આવક ના પૂછવી.’ પણ આપણે ત્યાં કોઇ બેકાર-લાચાર માણસને માંડ માંડ નોકરી મળે તો લોકો તરત એને `પગાર, પ્રોવિડન્ટ ફંડ કે બોનસ’ની નસ ખેંચી ખેંચીને નીચોવી નાખે…વાત સ્વજન કે મિત્રની નથી, પણ અજાણ્યાંને અણિયાણા અંગત સવાલો શું કામ? વ્હાય? ક્યું? કાયકુ?
આવી `સવાલાત'ની `લાત' મારવાની ભૂલો આપણે અનેકવાર જાણે-અજાણે કરીને લોકોની લાગણીઓ દુભવીએ છીએં. જેમ કે- કોઈ મહિલાનું પેટ જરાંક વધેલું દેખાય કે તરત પૂછવામાં આવે, `અરે વાહ, સારા સમાચાર છે?' હવે એનાં વજન વધવાનું કારણ થાઇરોઇડ જેવી કોઇ બીમારી પણ હોઇ શકે, માટે કોઇ અપરિચિત સ્ત્રીને પૂછવું કે `હવે બાળકનું પ્લાનિંગ ક્યારે? પછી મોડું થઇ જશે, હોં?' એ પારકી પંચાત છે. એને `બાળક થવાનું' કે `ન થવાનું કારણ' પૂછવાનું કારણ શું છે? કોઇને હક શું?
આ પણ વાંચો: મિજાજ મસ્તી: અહો આશ્ચર્યમ્…….. દિમાગ પર સે બાઉન્સર બાતેં!
ઇંટરવલ:
કિસી કો અપને અમલ કા જવાબ ક્યા દેતે?
સવાલ સારે ગલત થે, જવાબ ક્યા દેતે?
(મુનીર નિયાઝી)
દરેક સવાલ, દોધારી તલવાર હોય છે. વળી કમનસીબે, વાતે વાતે સવાલ પૂછનારાં સૌના સવાલો, સત્તા કે સરકાર સામે સુન્ન થઇ
જાય છે.
કોઇનાં સંતાને 10માં-12માંની પરીક્ષા આપી હોય ત્યારે તો જાણે ડૉક્ટરે’ સવાલ પૂછવાનું પ્રિસ્ક્રિપ્શન’ આપ્યું હોય એમ લોકો ધરાર પૂછશે, કેટલા ટકા આવ્યા?' જો ઓછા ટકા આવ્યા હોય તો બિચારા મા-બાપની હાલત, પગનાં અંગૂઠાથી ધરતી ખોતરી ખોતરીને એમાં સમાઇ જવા જેવી થશે. ઇન શોર્ટ, વ્યક્તિગત પ્રશ્નો પૂછતાં પહેલાં,
સામેની વ્યક્તિ પર શું અસર પડશે?’-એ એક ક્ષણ વિચારો, અથવા `આવા જ સવાલો તમને પૂછાશે તો કેવું લાગી આવશે?’ એ સવાલ ખુદને કરો.
મેરા નામ જોકર' નામની મહાત્ત્વાકાંક્ષી ફિલ્મ, નિર્માતા-નિર્દેશક-અભિનેતા રાજ કપૂરની દુ:ખતી નસ હતી કારણ કે એ સુપર-ફ્લોપ થયેલી ને જેને કારણે એમનો આર.કે. સ્ટુડિયો ગીરવી મુકાયેલો. પછી રાજજીએ
બોબી’ જેવી કમર્શિયલ પણ હિટ ફિલ્મ બનાવી ત્યારે છૂછીબાજ લોકો જાણી કરીને એમને પૂછતા: આપ કી' જોકર' ચલી નહીં ઔર
બોબી’, હિટ હો ગઇ, આપ કો કૈસા લગતા હોગા ના?’
ત્યારે એકવાર રાજ કપૂરે ગુસ્સામાં કહેલું લિખ કે દૂં કિ
ચાલુ’ ચીઝ બનાઇ વો ચલ ગઇ, જિસે દિલ સે બનાઇ, વો નહીં ચલી! અબ ખુશ?’
તમે કોઇને સ્મિત ભલે ના આપી શકો, પણ સવાલ કોઇને સળગાવી ના મૂકે એટલી શાલીનતા રાખવી. કોઇ મા-બાપને `લ્યો, હાય હાય..તમારી દીકરી હજી યે પરણી નથી?', એવું પૂછીને પ્લીઝ અકળાવશો નહીં..કે પછી કોઇને `અરેરે, શરીર પર આ ડાઘ શેનો છે?' કે પછી `અચાનક કેમ વજન ઉતરી ગયું?' આવું ના પૂછવું કારણ કે કોણ જાણે એ વ્યક્તિ કઇ બીમારી કે દારૂણ દર્દનું રહસ્ય લઇને પીડાતી હશે, કોને ખબર?
આ પણ વાંચો: મિજાજ મસ્તી: વિચાર- ખયાલ – થોટ્સ…: વિશ્વાસ-વિદ્રોહ- વિધ્વંસ
એકવાર સ્ટાર-ગીતકાર આનંદ બક્ષીને કોઇએ પૂછેલું, `સારે ગાને આપ હી લિખતે હૈ કી કિસી સે લિખવાતે હો?’
બક્ષીએ કંટાળીને કહ્યું, ક્યા કહું? મેરા હી ગાના હૈ:
કુછ તો લોગ કહેંગે’ અરે, મેરા તો દૂધવાલા ભી કહેતા હૈ ફલાં ફલાં ગાના, મૈંને હી બક્ષીકો બેચા હૈ! કબ તક સવાલોં કા જવાબ દેતા રહૂંગા?’ પછી એમણે સવાલોના જવાબ રૂપે ગીત પણ લખેલું: `મૈં શાયર
તો નહીં…’
આપણાં 108 ઉપનિષદોમાં એક છે: પ્રશ્ન-ઉપનિષદ'. પ્રશ્ન પૂછવા કે
શાસ્ત્રાર્થ’ કે ડિબેટનો આપણો લાંબો ઇતિહાસ છે. પં.મંડન મિશ્ર અને શંકરાચાર્ય વચ્ચે અદ્ભુત આધ્યાત્મિક શાસ્ત્રાર્થ થયેલો. અગાઉ વિદ્વાનો, બીજે ગામ જતા ત્યારે લોકોને હોંશભેર કહેતા,અમે તો
શાસ્ત્રાર્થ’ કે ચર્ચા કરવા જઇએ છીએ.’
`ચર્ચાનો મુદ્દો શું છે?’
અરે, મુદ્દો તો ત્યાં જઇને કોઇને કોઇ મળી જ રહેશેને? મજા તો સામસામે સવાલો, દલીલો અને શાસ્ત્રાર્થની છેને!' પ્રશ્નો, પ્રતિ-પ્રશ્નો, દાવા-દલીલોનાં મંથનમાંથી મળતું માખણ જેવું જ્ઞાન, આપણું કલ્ચર છે. કુરૂક્ષેત્રમાં ક્નફયુઝ્ડ અર્જુન, સાક્ષાત્ શ્રીકૃષ્ણને પણ સવાલો પૂછી શકે છે. તો વળી
યોગ-વશિષ્ઠ’ માં ખુદ ભગવાન રામ, વશિષ્ઠ ઋષિને પ્રશ્નો પૂછે છે. સવાલો તો આપણાં સમાજ કે દેશની મહાન પરંપરા છે.
-તો ઓફકોર્સ, સવાલો પૂછો મગર પ્યાર સે.
એંડ-ટાઇટલ્સ:
આદમ: એક સવાલ પૂછું?
ઈવ: આ 1 તો પૂછી લીધોને?