ઉત્સવ

ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની સફરે ગુજરાતની શાન એવા સાવજની ગર્જના ફરીથી સાંભળવા મળશે ૧૬મી ઓક્ટોબરથી સાસણગીરનાં દરવાજા દરેક પ્રવાસી માટે ખૂલશે

ટ્રાવેલ સ્ટોરી -કૌશિક ઘેલાણી

ગરવા ગિરનારમાં વરસાદની મહેકને માણવી, ભવનાથની ભૂમિ પરથી પ્રકૃતિને નિહાળવી, હરખમાં દોટ લગાવીને જતાં વાદળો સાથે વાતો કરવી, તરોતાજા જ ખીલી ઉઠેલા સાગડાઓ સાથે કુદરતની તાજગીને ગજવે ભરવી એથી રૂડું શું હોઈ શકે આ સમા માં? કાળા ડિબાંગ વાદળો જાણે ગિરનારની આંખનું કાજળ બન્યા હોય એવું કંઈક દીસે એવો કુદરતી માહોલ દરેક ઉંમરના વ્યક્તિઓને એક અલગ જ સૂકુનભર્યા સૌમ્ય માહોલમાં લઇ જાય છે. હાલમાં જ સમગ્ર દેશમાં વન્યપ્રાણી સપ્તાહ ઉજવાઈ રહ્યું છે જેમાં વન્યજીવો અને વન્યજીવનની જાળવણી માટેની જાગૃતિ દેશમાં ફેલાવવાનાં પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જેનો હિસ્સો આપણે સહુ કોઈએ બનવું જ જોઈએ અને આપણી કુદરતી સંપદાને જાળવવી જ જોઈએ. આપણે ખરેખર નસીબદાર છીએ કે હજારો કિમી લાંબો દરિયા કિનારો, વિવિધ પ્રકારનાં જંગલોથી સજ્જ એવા ચાર રાષ્ટ્રીય ઉદ્યાનો, ત્રણ જેટલી રામસર સાઈટ અને સમગ્ર વિશ્ર્વમાં એકમાત્ર સ્થળે જેનું કુદરતી અસ્તિત્વ હોય એવા દેશનાં જ નહિ પણ આખા એશિયાનાં ગૌરવસમા એશિયાઈ સિંહો આપણા ગુજરાતમાં ધરાવીએ છીએ. ૧૬મી ઓક્ટોબરથી ગીર રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર જનતા માટે ખુલ્લું મુકાશે તો એ પહેલા જ આપણે વનરાજને મળીએ અને એના ઘર વિશે જાણકારી મેળવીએ.

એક સમયે સમગ્ર એશિયામાં ગર્જના કરતા એશિયાઈ સિંહોની વસ્તી ધીરે ધીરે કરતા સમગ્ર વિશ્ર્વમાંથી ખતમ થઇ ગઈ અને છેલ્લે સાસણગીરમાં આંગળીનાં વેઢે ગણી શકાય એટલી જ રહી ગઈ. જે તે સમયે સરકાર અને નવાબનાં સંરક્ષણનાં પ્રયત્નો અને સિંહ સાથે તાલમેલ મેળવીને જીવતા માલધારીઓનાં કારણે અહીં સિંહની વસ્તી ફરી જંગલમાં ગર્જના કરતી થઇ અને છેક પાલિતાણા સુધી તો આ તરફ છેક ઊના સુધી આજે સિંહની ડણક સંભળાય છે. વિશાળ ગિરનાર પહાડને ઘેરીને આવેલું કુદરતનું અદભુત જંગલ સાસણગીર ૧૪૧૨ ચોરસ કિમી વિસ્તારમાં અભ્યારણ્ય તરીકે અને ૧૧૫૩ ચોરસ કિમી રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે સંરક્ષિત છે. અહીં આજે ૬૦૦ કરતાં પણ વધારે સિંહો મુક્તપણે જંગલમાં મહાલતા જોવા મળે છે અને એને કુદરતી વાતાવરણમાં મહાલતા જોવાની તક ક્યારેક ન ચુકી શકાય. વિશ્ર્વભરમાંથી પ્રકૃતિપ્રેમીઓ અહીં વનરાજની એક ઝલક જોવા માટે ઊમટી પડે છે. દર વર્ષે ચોમાસા દરમ્યાન દેશનાં દરેક રાષ્ટ્રીય ઉદ્યાનની જેમ જ ૧૫મી જૂનથી ૧૫ ઓક્ટોબર સુધી ગીર રાષ્ટ્રીય ઉધાન જાહેર જનતા માટે બંધ હોય છે. ૧૬મી ઓક્ટોબરથી રાબેતા મુજબ પાર્ક ખુલે છે અને અહીં સફારી કરીને પાર્કનો આનંદ લઇ શકાય છે.

ગીરનાં જંગલોમાં ફરવું એટલે કુદરતી સંપદાને નજીકથી નિહાળવી. ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લેવા માટે સૌપ્રથમ વન વિભાગ દ્વારા સંચાલિત વેબસાઈટ – FIRE- FINANCIAL INDEPENDENCE AND RETIRE EARLY પરથી સફારીનું બુકિંગ થઇ શકે છે. એ કરાવ્યા બાદ સાઈટ પર જ રજિસ્ટર્ડ ડ્રાઈવર્સના નંબર્સ હોય છે જે મેળવીને જંગલનાં સફરે જઈ શકાય. વહેલી સવારે ૬ વાગ્યે, ત્યાર બાદ આઠ વાગે અને ત્યાર બાદ સાંજનાં સમયની સફારીના અલગ અલગ વિકલ્પો ઉપલબ્ધ છે. ખરા અર્થમાં જંગલનો માહોલ માણવો હોય તો સવારની છ વાગ્યાની સફારીમાં મુલાકાત લેવી વધુ યોગ્ય છે. ગીરનાં જંગલમાં પ્રવેશતાં જ વિવિધ પક્ષીઓ એના કલરવથી જ આપણું સ્વાગત કરીને એમની હાજરીનો પરિચય આપશે. અહીં આવીને આંખો અને કાન ખુલ્લા રાખવા એટલે ક્યાંક ઝાડની ઓથે સાવ ઝાડનાં થડને મળી આવતું ઘુવડ જોવા મળશે તો એવી જ રીતે કુદરતી માહોલમાં પોતાની જાતને ઢાળી દેતું વન દશરથીયું પણ જોવા મળશે. ક્યાંક વળી કોઈ ઊંચી ડાળના ટોચે સાપમાર ગરૂડ દેખા દેશે તો વળી આમતેમ ઉડાઉડ કરતુ દૂધરાજ આંખોને અલગ જ આનંદ આપશે. વિવિધ જાતનાં પક્ષીઓને માણવા માટે સમગ્ર ગુજરાત રાજ્યનાં પંથકમાં સાસણ ગીરથી સુંદર એક પણ જગ્યા નથી. થોડા આગળ વધો કે હિરણની કર્ણપ્રિય ધૂન સંભળાય અને એની આસપાસ વાંદરાઓ કાન સરવા કરીને બેઠા હોય. હરણો એકસાથે ટોળાંમાં ચોતરફ નજર ફેરવીને એકદમ સચેત હોય એવા જોઈ શકાય. અહીં હરણ અને વાંદરાઓ એકમેક સાથે મળીને એકબીજાનું અસ્તિત્વ ન જોખમાય એ રીતે જીવતા હોય છે. હરણાંઓની ઘ્રાણેન્દ્રિય શક્તિ ખૂબ જ તીવ્ર હોય છે તો વાંદરાંઓની દ્રષ્ટિ ખૂબ જ સચોટ અને તીવ્ર હોય છે અને તેઓ છેક ઝાડની ટોચેથી દૂરથી આવતા ખતરાને પારખી શકે છે. વાંદરાંઓ જેવા દીપડા કે સિંહને જુએ કે એક અલગ જ પ્રકારના અલાર્મ કોલથી હરણાંઓને ચેતવણી આપે છે અને એ ચેતવણી સૂચક કોલથી હરણાંઓ સાવધ થઇ જાય છે અને બીજા હરણાંઓને પણ આવા જ કોલથી સચેત કરે છે. આ રીતે જ ક્યારેક વાંદરાંઓ જમીન પર બેધ્યાન થઈને ફરતા હોય અને હરણાંઓ સિંહ કે દીપડાને આવતો પારખી લે તો તેઓ પણ ચેતવણી સૂચક કોલ આપીને વાંદરાંઓને સચેત કરે છે અને વાંદરાંઓ સુરક્ષિત સ્થળે જતા રહે છે. કુદરતની રચના કેટલી અદભુત છે કે નાનામાં નાનો જીવ એકબીજાને મદદ કરીને શાંતિપૂર્વક આનંદમય જીવન જીવવાનો પ્રયાસ કરે છે જેમાં પોતાનાં અસ્તિત્વને ટકાવી રાખવા સિવાયનો કોઈ પ્રકારનો સ્વાર્થ નથી હોતો. જીવનનાં ખરા પાઠ કુદરત અને વન્યજીવો આ રીતે જ શીખવી જાય છે.

જંગલનાં દરેક ખૂણાંમાં જીવન ટકાવી રાખવા માટે સંઘર્ષ જ મહત્ત્વનો છે. જેમ જેમ જંગલમાં આગળ ધપીએ એમ કુદરતી માહોલને સીધો જ મનમાં ઊતરતો અનુભવી શકીએ. રસ્તામાં સાવ જ સાદું જીવન જીવતા માયાળુ લોકોના નેસડાં દેખાય, આ એ જ માલધારીઓ છે જેની અમાન્યા સાવજ અને સાવજની અમાન્યા તેઓ જાળવે છે અને એકબીજાનાં સહઅસ્તિત્વમાં કુદરતી જીવનશૈલીથી જીવન જીવે છે. સાવજની વસ્તી વધવામાં અને તેઓની સુરક્ષામાં આ માલધારી પ્રજાઓનો જ મુખ્ય ફાળો છે. તેઓંની ગાય, ભેંસ કે બકરી જ્યારે સાવજનો શિકાર બને તો તેઓ સાવજને ધુત્કારવાનાં બદલે શાંતિથી એનું ભોજન કરી લેવા દે એટલા દિલેર છે. નેસડાં આસપાસ સિંહ પણ જાણે પોતાની જાતને સુરક્ષિત મહેસૂસ કરતો હોય એમ આરામથી મહાલતો જોવા મળે છે. જરાક આગળ ધપીએ કે આખુંયે જંગલ જેના પર નભે છે એવો વિશાળ કમલેશ્ર્વર ડેમ જોવા મળે. એક સમયે મગરમચ્છનાં અસ્તિત્વ સામે ખતરો હતો પણ વનવિભાગના પ્રયાસથી અહીં ક્રોકોડાઈલ બ્રીડિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યું અને જોતજોતમાં હજારોની સંખ્યામાં મગર થઇ ગયા. આ જ ડેમમાં ઠેરઠેર મગરમચ્છ જોવા મળે છે વળી ક્યારેક અહીં દીપડો કે સિંહ પણ સરળતાથી જોઈ શકાય.

ગીરનો વૈભવ સદીઓ જૂનો છે અને ગુજરાતી લોકસાહિત્યમાં અલગ અલગ લોકબોલી, વિવિધ શૈલીથી કવિઓ-લેખકોની કલમે ખૂબ જ લખાયો છે અને સાવજને આપણી સંસ્કૃતિનાં અવિભાજ્ય અંગ તરીકે સમાવ્યો છે. ક્યાંકને ક્યાંક અહીંનું લોકજીવન અહીંના વન્યજીવો અને વન્યસૃષ્ટિ સાથે જોડાયેલું છે અને એટલે જ એશિયાઈ સિંહો આ વિસ્તારને પોતાનો બનાવીને મોજથી જીવી રહ્યા છે. ઝવેરચંદ મેઘાણીએ હાવજની ડણકને સાહિત્યમાં ઉતારી છે તો ધ્રુવ ભટ્ટે અહીંનું જંગલ, લોકજીવન અને સંસ્કૃતિને આબેહૂબ રજૂ કરી છે તો વળી કવિ દાદે અહીંના વગડાને સરળ રીતે સમજાવ્યો છે જાણે આપણે ગીરને નિહાળતા હોઈએ. ઝવેરચંદ મેઘાણીની ચારણક્ધયામાં નેસડામાં રહેતી ક્ધયાની બહાદુરી અને સાવજ પ્રત્યેનો એનો અભિગમ દર્શાવ્યો છે તો ધ્રુવ ભટ્ટ સાહેબની અકૂપારમાં એક સરસ મજાનું દ્રશ્ય વર્ણવ્યું છે એવું મને આછું પાતળું યાદ છે. સાંસાઈ રામઝાનાને સંબોધીને કહે છે કે તારા બચોળીયાને મારે કાંઈ નથ કરવું મા અને ઝાંઝર ફેંકીને તેનું ધ્યાન ભટકાવે છે. જંગલનાં જનાવરોમાં નાનાં બચ્ચાઓનો ઉછેર કરવો સહુથી ચેલેંજિંગ હોય છે એવું કહો તો ચાલે. જંગલમાં દરેક પ્રજાતિનાં કોઈને કોઈ દુશ્મન હોય છે પણ સિંહના આમ તો કોઈ જ દુશ્મન નથી હોતા એટલે જ એની જ પ્રજાતિથી એને ડર હોય છે. સિંહણને બચ્ચા જન્મે કે સહુથી પહેલો ખતરો નર સિંહથી જ હોય છે જે બીજા સિંહનાં બચ્ચાનો ખાત્મો બોલાવી દે છે જેથી પોતાનો જ વંશવેલો વિકસે અને પોતાનું વર્ચસ્વ કાયમ રહે, આ સિવાય બચ્ચાઓ દોઢ બે વર્ષના ન થાય ત્યાં સુધી તેઓને શ્રેષ્ઠ શિકારી બનાવવા, શિકાર કરવાથી માંડીને જંગલ પર સંઘર્ષ કરીને વર્ચસ્વ જમાવતા શીખવવું અને છેલ્લે બચ્ચાઓ મોટા થાય એટલે પોતાના વિસ્તારમાંથી કાઢી મુકવા જેથી કરીને પોતાનો વિસ્તાર જાતે બનાવીને પોતાનું અલાયદું સામ્રાજ્ય બનાવી શકે. અહીં આવીને સિંહના નાનાં બચ્ચાંઓને સિંહણ સાથે વિહરતાં જોવા એટલે જાણે જેકપોટ કહી શકાય. જંગલમાં કેટલીક વિરલ ઘટનાઓ ઘટતી હોય છે અને નસીબથી ક્યારેક આપણે એવી ઘટનાઓનાં ક્ષણ ભર માટે સાક્ષી બની જતા હોઈએ છીએ. અહીં જ ખૂબસૂરત સિંહણ સાથે નાનકડું બચ્ચું ગમ્મતે ચઢતાં મા સાથે વ્હાલ કરતા કરતા મારા કેમેરામાં ઝડપાઇ ગયું હતું. કુદરત જાણે અજાણે આપણી સમક્ષ તેનો સાક્ષાત્કાર કરતું જ હોય છે, આપણે ભૌતિક આનંદમાં ધ્યાન ન ભટકાવીએ તો. ગીરનો રાજા સઘળી તાકાત ધરાવતો હોવા છતાં સૌમ્ય જ જોવા મળે છે. એની શાલીનતા જ એનો ખરો પરિચય છે. પ્રાણી સામાન્ય રીતે હિંસક વૃત્તિ ધરાવતું હોય છે પણ પ્રાણીઓનાં રાજા સિંહમાં એવું જોવા નથી મળતું અને એટલે જ એ રાજા છે. સાસણગીર બંધ થયું એ પહેલા જંગલની ઊડતી મુલાકાત વેળાએ આ સૌમ્ય સિંહને હું મળ્યો અને એવો અનુભવ થયો જાણે એ મને એના જંગલમાં આવકાર આપતો હોય. આ સિંહનાં શાલીન સ્વભાવને જોઈને એક વસ્તુ દ્રઢપણે સમજાઈ ગઈ, જીવનમાં ગમે તેટલું હાસિલ કરી લો પણ સ્વભાવમાં શાલીનતા વિના સઘળું નિરર્થક છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા