મોર્નિંગ મ્યૂસિંગ: પ્રતિકૂળતામાંથી રસ્તો કાઢો તેનું નામ જ સફળતા છે…

- રાજ ગોસ્વામી
મહેનત કદી પણ એળે નથી જતી. માત્ર દિલમાં હામ હોવી જોઈએ તો સફળતાનાં શિખરે પહોંચી શકાય છે.
થોડા સમય પહેલાં મુંબઈમાં ‘વર્લ્ડ ઓડિયો વિઝ્યુલ એન્ટરટેઇનમેન્ટ’ એટલે કે ‘વેવ્સ’ સમિટ યોજાઈ ગઈ. તેનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદીએ કર્યું હતું. સમિટમાં હિન્દી સિનેમા જગતની અનેક હસ્તીઓએ ભાગ લીધો હતો. તેમાં એક સેશન શાહરુખ ખાન પર હતું. એનું સંચાલન નિર્માતા-નિર્દેશક કરણ જોહરે કર્યું હતું. વિષય હતો, ‘ધ જર્ની: ફ્રોમ આઉટસાઈડર ટુ રૂલર.’ બીજા શબ્દોમાં કહીએ તો બહારથી આવીને બાદશાહ બની જવાની યાત્રા….
શાહરુખ ખાને અને દીપિકા પાદુકોણે તે સેશનમાં ભાગ લીધો હતો અને શાહરુખે એના વકતવ્યમાં મહત્ત્વની વાત કરી હતી. એના વિચાર સૌના માટે અને ખાસ કરીને યુવાન પેઢી માટે કામના છે. એણે કહ્યું કે મને આ ‘આઉટસાઈડર’ અને ‘ઇનસાઈડર’ વિભાજન સામે વાંધો છે. ઉલ્લેખનીય છે કે થોડા વખત પહેલાં હિન્દી સિનેમામાં નેપોટિઝમ (એટલે કે વહાલાં-દવલાં)ની ચર્ચા બહુ ચાલી હતી કે અહીં એ લોકોને જ વધુ અવસરો મળે છે જે ફિલ્મી પરિવારના હોય.
શાહરુખ ખાને આ વિષયને એક વ્યાપક દ્રષ્ટિકોણ આપતાં કહ્યું હતું, ‘મારે એક વાત કહેવી છે કે એ મહત્ત્વનું નથી કે તમે કઈ જગ્યાએથી આવ્યા છો અને આ દુનિયામાં વસવા માગો છો. મહત્ત્વનું એ છે કે તમે જે પણ દુનિયા (વ્યવસાય) પસંદ કરો, તેમાં તમારી જગ્યા કેવી રીતે બનાવો છો. મોટાભાગના લોકો એવું વિચારતા હોય છે કે હું તો બહારનો છું અને અહીં તો ખાલી વગદાર લોકોને જ તક મળશે, મારું કોઈ વિશેષ બેકગ્રાઉન્ડ નથી એટલે મારો મેળ નહીં પડે.’
શાહરુખની દ્રષ્ટિએ આવી માનસિકતા સાથે આવેલો માણસ પહેલેથી જ હાર માની લે છે અને બાહ્ય સંજોગો કે લોકોને એની નિષ્ફળતા માટે દોષિત માને છે. શાહરુખે આ માનસિકતાને સમજાવતાં આગળ કહ્યું હતું, ‘એટલે તમે જો જાત પર તરસ ખાવાનું શરૂ કરશો તો તમે જે દુનિયામાં તમારા માટે જગ્યા બનાવવા માગો છો તેમાં પૂરી તાકાત નહીં લગાવી શકો.’
આ ‘બાદશાહ’ ખાને ત્રીજી મહત્ત્વની વાત એ કરી :
‘તમે જે પણ દુનિયામાં હો, તેને તમારી કોઈ પરવા નથી, તેના માટે તમે તુચ્છ છો, તેને કોઈ ફરક નથી પડતો કે દીપિકા ક્યાંથી આવી છે, શાહરુખ ક્યાંથી આવ્યો છે, કરણ ક્યાંથી આવ્યો છે, એ ફિલ્મી છે કે બિન-ફિલ્મી છે, ગરીબ છે કે અમીર છે, પણ એ તમારા હાથમાં છે કે તમારે એ દુનિયામાં જગ્યા કરવાની છે. તમારે સખત મહેનત કરવાની છે અને એ શોધી કાઢવાનું છે કે આ દુનિયા કેવી રીતે કામ કરે છે, જેથી તમે તમારું શ્રેષ્ઠ આપી શકો. તમારે એટલું જ નક્કી કરવાનું છે કે આ જ મારી દુનિયા છે અને મારી અહીં રહીને જ કામ કરવું છે.’
શાહરુખ ખાને જે વાત કરી છે તે નવી નથી. દુનિયામાં કોઈ પણ ક્ષેત્રમાં જે પણ લોકોએ સફળતા મેળવી છે એમની વચ્ચે એક જ સામ્ય છે : એ સૌએ ખૂબ મહેનત કરી છે. મહેનત કરવાનો અર્થ ગધ્ધાવૈતરું નથી. તેનો અર્થ છે, શાહરુખે કહ્યું તેમ, દુનિયા કેવી રીતે કામ કરે છે તે શીખી લેવાનું અને પછી એ મુજબ કામ કરવાનું. એમાં બે જ ચીજની જરૂર પડે છે – ખૂબ બધી ધીરજ સાથે પ્રતિભાની સતત ધાર કાઢતા રહેવું.
એક ટુચકો છે. એક ગામમાં રામ અને શ્યામ નામના બે મિત્ર રહેતા હતા. બંનેને જંગલમાં વૃક્ષો કાપવાનું કામ મળ્યું. બંનેએ એક સાથે કામની શરૂઆત કરી. પહેલા દિવસે રામે 10 ઝાડ કાપ્યાં જ્યારે શ્યામે 15 કાપ્યાં. બીજા દિવસે પણ રામે એટલાં જ ઝાડ કાપ્યાં પણ શ્યામે 18નો આંકડો પાર કર્યો. થોડા દિવસ આવું જ ચાલ્યું. રામ વચ્ચે વચ્ચે કામ રોકતો હતો અને શ્યામ સતત કાપવામાં વ્યસ્ત રહેતો હતો. અમુક અઠવાડિયાં વીતી ગયાં અને સ્થિતિ ઊલટી થઇ ગઈ. રામ દિવસનાં 10 ઝાડ કાપવા લાગ્યો અને શ્યામ 6 પર આવી ગયો. શ્યામને આશ્ર્ચર્ય થયું કે હું તો આરામ પણ કરતો નથી અને તેમ છતાં રામ અચનાક કેમ એના કરતાં આગળ નીકળી ગયો. રામને તેનું કારણ પૂછ્યું.
રામે કહ્યું : ‘તને લાગતું હશે કે હું ઝાડની છાયામાં બેસીને આરામ કરું છું અને તું બહુ પરસેવો પાડે છે, પણ હકીકત એ છે કે હું નિયમિતપણે મારી કુહાડીને વધુને વધુ ધારદાર બનાવું છું. એટલે એટલી જ તાકાતથી મહત્તમ ઝાડને કાપવા માટે સક્ષમ બનું છું, જ્યારે તું બુઠ્ઠી થઇ ગયેલી કુહાડીના કારણે વહેલો થાકી જાય છે.’
અભિષેક બચ્ચનથી વધારે નસીબદાર બેકગ્રાઉન્ડ કોનું હોય? પિતા અમિતાભને એમના જમાનામાં દીવો લઈને તકો શોધવી પડતી હતી અને અભિષેકને તો તકો સામેથી શોધતી આવતી હતી અને તેમ છતાં એને એવી સફળતા ન મળી જે શાહરુખ જેવા ‘બહારના’ એક્ટરને મળી. ફરક એ હતો કે અમિતાભ અને શાહરુખ ખાનને સિનેમા જગતમાં પોતાનું સ્થાન બનાવવા માટે જેટલી મહેનત કરવી પડી હતી તેટલી મહેનત અભિષેકને કરવી પડી નહોતી.
એક સામાન્ય ખેડૂતથી લઈને એક અમીર ઉદ્યોગપતિ સુધી એવાં ઘણાં ઉદાહરણો છે, જે એક યા બીજી રીતે એ વાતને સાબિત કરે છે કે તમે કોણ છો અને ક્યાંથી આવો છો તેનાથી બહુ ફરક નથી પડતો, ફરક પડે છે તમે શું કરો છો તેનાથી. આધુનિક ઉદ્યોગ જગત પર જબરદસ્ત છાપ છોડનારા 19મી સદીના સૌથી મહેનતુ શોધક થોમસ અલ્વા એડિસન સ્કૂલ પણ પૂરી કરી શક્યા નહોતા. બાર વર્ષની વયે એમનું સાંભળવાનું બંધ થઇ ગયું હતું તેમ છતાં, મહેનત અને જિજ્ઞાસાના બળે એ જમાનામાં એમણે એક હજારથી વધુ શોધખોળોની પેટન્ટ કરાવી હતી જ્યારે નવું કરવા માટે સંસાધનો કે સુવિધાઓ ઉપલબ્ધ નહોતી.
આપણ વાંચો: કવર સ્ટોરી : પુત્રના ‘પરાક્રમ’થી લાલુ પ્રસાદના પરિવારમાં યાદવાસ્થળી…!
એડિસને એકવાર કહ્યું હતું કે, ‘પરિશ્રમનો કોઈ પર્યાય નથી. કશું પણ સાર્થક હાંસલ કરવા માટે ત્રણ બાબત અનિવાર્ય છે : પરિશ્રમ- સાતત્ય અને કોમન સેન્સ. હું નિષ્ફળ નથી ગયો, મેં કઈ રીતે કામ નહીં થાય તેના 10,000 અનુભવ કર્યાં છે.’
જે લોકો જીવનમાં સફળ થાય છે અને જે લોકો સફળ નથી થતા એમની વચ્ચે એક બુનિયાદી ફરક જવાબદારીની ભાવનાનો હોય છે. સફળ લોકો પોતાની નિષ્ફળતા કે અવરોધ માટે બીજા લોકો કે સંજોગોનો દોષ નથી કાઢતા. એ દરેક મુશ્કેલીમાં પોતાની અંદર જુવે છે અને ‘હું આમાં શું કરી શકું તેમ છું?’ તેનો ઉત્તર શોધતા હોય છે.
જે લોકો એમના મન- વચન -કર્મની જવાબદારી લેવામાંથી બચે છે, એ પીડિત માનસિકતાના શિકાર બની જાય છે. એમને એવું માનવાનું ગમે છે કે એમની સફળતાની જવાબદારી બીજા લોકોની છે અથવા અનુકૂળ સંજોગોની છે. આવી માનસિકતા એમને સફળ થવા માટે જરૂરી પ્રયાસો કરતાં રોકે છે.
પ્રતિકૂળતામાંથી રસ્તો કાઢો તેનું નામ જ તો સફળતા છે. બાકી, મોસાળમાં જમણ હોય અને મા પીરસનારી હોય તો એમાં શું મીર માર્યો!