ઉત્સવ

ભારતમાં અમીર લોકો ને ગરીબ લોકો માટે ન્યાય અલગ છે..!

મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી

રિતેશ (નામ બદલ્યું છે)ની ઉંમર હજુ ૧૭ વર્ષની હતી. એનું ધોરણ બારની બોર્ડ પરીક્ષાનું પરિણામ આવ્યું હતું. એ ખુશ હતો. દોસ્તો સાથે એણે બારમાં પાર્ટી યોજી હતી. ખૂબ મજા કરી. શરાબ અને કબાબ પાછળ ૪૮,૦૦૦ રૂપિયા ખર્ચાયા હતા. વહેલી સવારે ૨ વાગે પાર્ટી પૂરી કરીને રિતેશ એની લક્ઝરી પોર્શે કારના વ્હીલ પાછળ ગોઠવાયો અને કારને ઝાટકા સાથે સ્ટાર્ટ કરી.

એના શરીરમાં ઠાલવેલા અનગિનત પેગની અને કારમાં ૧૬૦ કિલોમીટર પ્રતિ કલાકની તાકાત હતી. કાર પુણેની શાંત રાતને ચીરતી નીકળી. રિતેશના નશામાં કારની સ્પીડનો ઉમેરો થયો. એ ઘાતક કોકટેલ હતી. થોડેક દૂર ગયા પછી રિતેશે ભાન ગુમાવ્યું અને કાર આગળ જઈ રહેલી એક મોટરબાઈક સાથે ધડામ કરતી અથડાઈ અને ફૂટપાટ પાસે પાર્ક કરેલાં બીજાં વાહનોમાં ઘૂસી ગઈ. બાઈક પર બે મિત્ર- અનીસ અવધિયા અને અશ્ર્વિની કોસ્તા, એક પાર્ટીમાંથી પાછા ફરી રહ્યાં હતાં. પોર્શે કાર તેમની સાથે એટલી જોરથી અથડાઈ હતી કે બંનેનાં ઘટનાસ્થળે જ મોત થઇ ગયાં. રિતેશના પિતા પુણેના એક અગ્રણી બિલ્ડર છે,જેમણે ડ્રાઈવિંગ લાઇસન્સ વગર એમના લાડલાને પોર્શે કાર આપી હતી.

ઘટનાસ્થળે આવેલી પોલીસે રિતેશની ધરપકડ કરી. રવિવારે બપોર પછી હોલી-ડે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો. પોલીસે એની કસ્ટડી માગી, પરંતુ કોર્ટે એવું કહીને એને જામીન આપી દીધા કે એણે યરવડાની ટ્રાફિક પોલીસ સાથે ૧૫ દિવસ કામ કરવું પડશે અને ‘રોડ અકસ્માતની અસરો અને તેના ઉપાય’ એ વિષય પર ૩૦૦ શબ્દોનો એક નિબંધ લખવો પડશે.!

કલ્પના કરો કે એક અમીર બાપનો સગીર છોકરો પબમાં દારૂ પીવે છે, નશામાં બેફામ કાર ચલાવીને બે માણસને કચડી મારે છે અને ૧૫ કલાકમાં કોર્ટ એને નિબંધ લખવાની સજા કરીને છોડી મુકે છે!

માત્ર પુણે જ નહીં, પૂરા દેશમાં હાહાકાર મચી ગયો. આમાં ઘણા બધા મુદ્દા ભેગા થઇ ગયા. એક તો વગર લાઈસન્સ કાર ચલાવી હતી, સગીર ઉંમરે દારૂ પીધો હતો, કોર્ટે ખાલી ઉંમર જોઇને ૧૫ કલાકમાં જ એને જમીન આપી દીધા, બે આશાસ્પદ યુવાન-યુવતીનાં ઘટના સ્થળે જ મોત થયું હતું તે કોર્ટએ ન દેખાયું, પિતા અમીર હતા એટલે મોંઘા વકીલને રોક્યા હતા.

મહારાષ્ટ્રમાં લોકસભાના ચૂંટણી પ્રચાર વચ્ચે જ આ કરુણ અને આઘાતજનક ઘટના બની હતી. લોકોનો રોષ આસમાને પહોંચી ગયો. રાજકારણીઓ પણ એમાં કુદ્યા. નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જાતે પુણે પોલીસ સાથે મિટિંગ કરી.

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક વીડિયો વહેતો કરીને એક અણિયાળો સવાલ પૂછ્યો: ‘અમીર લોકો માટે દેશમાં અલગ કાનૂન છે? જો કોઈ બસ ડ્રાઈવર, ટ્રક ડ્રાઈવર, ઓલા કે ઉબેર ડ્રાઈવરે કોઈને ભૂલથી કચડી નાખ્યા હોય તો, તેને ૧૦ વર્ષ માટે જેલમાં ધકેલી દેવામાં આવે છે, પણ એક અમીર પરિવારનો ૧૬-૧૭ વર્ષનો છોકરો દારૂના નશામાં પોતાની પોર્શે કાર નીચે બે લોકોને મારી નાખે તો તેને નિબંધ લખવાનું કહેવામાં આવે છે. કેમ ઉબેર કે ઓટો ડ્રાઈવરને એવું લખવાનું કહેવામાં આવતું નથી? ’

પુણેના આ નબીરાને છોડી મુકવા માટે સ્થાનિક કોર્ટ પાસે ગમે તે કાનૂની તર્ક હોય, દેશમાં આમ લોકોની અંદર એક માન્યતા લગાતાર બળવત્તર બની રહી છે કે અમીર લોકો માટે ન્યાય જેટલો સુલભ છે, ગરીબો માટે નથી. ૨૦૨૧ના આંકડા પ્રમાણે, ભારતમાં ૪,૩૪,૩૦૨કાચા કામના કેદીઓ છે, જે કાં તો જેલમાં છે અથવા રિમાન્ડ પર છે. એમની સામે કેસ જલ્દી નથી ચાલતા, કારણ કે એમની પાસે લડવા માટેનાં સંસાધનો નથી. નામદાર જજ સાહેબો આનાથી વાકેફ છે અને ઘણા વખતો વખત બોલતા પણ હોય છે.

૨૦૧૧માં, દિલ્હી હાઈ કોર્ટના જજ, જસ્ટિસ એસ. એન. ધિંગરાએ કહ્યું હતું કે અપરાધિક ન્યાય વ્યવસ્થામાં બદલાવની જરૂર છે અને મોટી અદાલતો પૈસાવાળા અને તાકાતવાળા લોકોમાં વ્યસ્ત છે. ૨૦૧૩માં, એક કેસની સુનાવણી વખતે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એચ. એલ. દત્તુ અને એસ. જે. મુખોપાધ્યાયની બેન્ચે કહ્યું હતું કે ગરીબ લોકોને એવું લાગે છે કે ન્યાય વ્યવસ્થા જાણીતા લોકોની જ દરકાર કરે છે અને ગુમનામ લોકોની ઉપેક્ષા કરે છે. ૨૦૨૦માં, સુપ્રીમ કોર્ટના જસ્ટિસ દીપક ગુપ્તાએ કહ્યું હતું કે કાનૂન અને ન્યાય વ્યવસ્થા અમીર અને તાકાતવર લોકોને ફેવર કરે છે.

તમને અભિનેતા સલમાન ખાનનો કિસ્સો યાદ હશે. ૨૦૧૫માં, અભિનેતાને દારૂ પીને કાર ચલાવાના અને જીવ લેવાના કેસમાં સેશન્સ કોર્ટે કસૂરવાર ઠેરવ્યો તેના ગણતરીના કલાકોમાં તેના મોંઘા વકીલો હાઈ કોર્ટમાંથી જામીન લઇ આવ્યા હતા. ત્યારે પણ આ ચર્ચા ઊઠી હતી કે અમીર અને સેલિબ્રિટી લોકો માટે ન્યાય કેટલો ઝડપી અને આસાન છે. તેની સામે ગરીબ લોકોને વર્ષો સુધી જેલોમાં સબડવું પડે છે.

૨૦૨૧માં, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડી. વાય. ચંદ્રચૂડે હત્યા કેસના આરોપી એક ધારાસભ્યની અરજી પર સુનાવણી કરતી વખતે કહ્યું હતું કે, ‘ભારતમાં બે સમાંતર કાનૂની વ્યવસ્થા ના હોઈ શકે, એક અમીર અને સાધન સંપન્ન તેમજ રાજનૈતિક તાકાત અને પ્રભાવ રાખનારાઓ માટે અને બીજી ન્યાય મેળવવા કે અન્યાય સામે લડતા ક્ષમતાઓ વગરના નાના લોકો માટે.’

ન્યાયનો સિદ્ધાંત કહે છે કે એ દરેક વ્યક્તિઓ સાથે, એમની સામાજિક-આર્થિક પરિસ્થિતિની પરવા કર્યા વિના, નિષ્પક્ષ અને સમાન રીતે વ્યવહાર કરે છે. વ્યવહારમાં, ન્યાય મેળવાનું અઘરું છે, કારણ કે વ્યવસ્થાગત પૂર્વગ્રહો અને અસમાનતાઓ કાનૂની પ્રક્રિયાને પ્રભાવિત કરે છે. તેમાં બદલાવ ત્યારે જ આવે જયારે કાનૂની કાર્યવાહીમાં પારદર્શિતા આવે અને સુધાર આવે. સુપ્રીમ કોર્ટે રેકોર્ડ પર પણ એવું કહ્યું છે કે એનો ૫ ટકા સમય જ સાધારણ નાગરિકો માટે વ્યય થાય છે.

જેને પણ ભારતની અદાલતોનો અનુભવ છે તે કહેશે કે કેસ દાખલ કરવાથી લઈએ ધરપકડથી બચવા માટે અરજી કરવા અથવા ઝડપથી સુનાવણી કરવાથી લઈને અનુકૂળ ફેંસલો મેળવવાની સંભાવના, વડી અદાલતો અપીલ સ્વીકાર કરે અને ત્યાં રાહત મેળવવાની સંભાવના સુધીની કાનૂની ઝંઝટ અરજીકર્તા કેટલો સક્ષમ છે તેનાથી પ્રભાવિત થાય છે.

ભારતમાં આપણે બ્રિટિશ ન્યાય પ્રણાલી અપનાવી છે, જેમાં પક્ષોનું પ્રતિનિધિત્વ એડવોકેટ દ્વારા થાય છે. આવા એડવોકેટો પાસે એમના અરજદારોના પક્ષમાં મામલાને પ્રભાવિત કરવાની અલગ અલગ ક્ષમતાઓ હોય છે. અદાલતો અરજદારો પ્રત્યે કેવું વલણ અખત્યાર કરે છે તેનું પ્રમુખ શ્રેય એડવોકેટની પ્રતિષ્ઠા પર નિર્ભર કરે છે. એડવોકેટ જેટલો રૂઆબદાર હોય, કોર્ટ એટલી અનુકૂળ હોય.
એટલા માટે અમીર અને તાકાતવર લોકો તેમના કેસ માટે શહેરના સૌથી વરિષ્ઠ એડવોકેટ (જેમની ફી લાખો રૂપિયામાં હોય છે)ને રોકે છે. એવા એડવોકેટ કાનૂનના અચ્છા જાણકાર જ નથી હોતા, કોર્ટમાં તેમની ઉપસ્થિતિ પણ વજનદાર હોય છે અને તેમને વિશેષ રીતે સાંભળવામાં આવે છે.

આ સ્થિતિનું એક સંભવિત સમાધાન મફત કાનૂની સહાય છે. ભારતીય ન્યાય વ્યવસ્થામાં મફત કાનૂની સહાયની જોગવાઈ છે. એ એક આશ્ર્ચર્ય છે કે નાગરિક સમાજમાં આ જોગવાઈને લઈને બહુ જાગૃતિ નથી. કાનૂન વ્યવસ્થામાં સુધાર કરવાની જરૂરિયાત પર વાત થાય છે ત્યારે, આ મફત કાનૂની સહાયતાની જોગવાઈ પર નવેસરથી વિચાર કરવાની અને તેને વધુને વધુ સુલભ અને લોકપ્રિય કરવાની જરૂર છે. ગરીબ અને વંચિત લોકો માટે એ જ એક આશાનું કિરણ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો