બંધાણીઓનું આ બદનામ ડ્રગ કેવુંક કાતિલ છે ?
![](https://bombaysamachar.com/wp-content/uploads/2024/03/ut-11-2-VIKRAM.jpg)
હેરોઇનથી પણ વધુ ખતરનાક ડ્રગ ‘મેથ એમ્ફેટેમાઇન’નું ‘અત થી ઇતિ’
ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ
છેલ્લા કેટલાક મહિનાથી દેશ આખામાંથી,ખાસ કરીને ગુજરાતના કચ્છ જિલ્લામાંથી મોટી માત્રામાં હેરોઇન નામનું ડ્રગ પકડાઈ રહ્યું છે. થોડા સમય પહેલા કચ્છના મુન્દ્રા બંદરેથી આશરે રૂ.૨૧હજાર કરોડનું હેરોઇન પકડાયું હતું. ત્યાર પછી કચ્છના જ ગાંધીધામ હાઇ-વે પર આવેલા ખાનગી ‘ક્ધટેનર ફ્રેયટી સ્ટેશન’ (સીએફએસ)માંથી ૩૦૦કિલો જેટલા જથ્થાનું હેરોઇન પકડાયું હતું….
થોડા ફ્લેશ બેકમાં જાવ તો ડ્રગ્સના આવા જબ્બર જથ્થા અવારનવાર ગુજરાત અને પંજાબ સરહદેથી ઝડપાતા રહે છે. પાકિસ્તાન સરહદેથી પણ આપણે ત્યાં મોટી માત્રામાં ડ્રગની ઘૂસણખોરી થતી જ રહે છે.
ડ્રગ્સ વિશેના સમાચાર વાંચનારાઓ કદાચ એવું માનતા હશે કે આપણા દેશમાં હેરોઇન નામના ડ્રગની જ વધુ બોલબાલા છે. આ માન્યતા પૂરેપૂરી સાચી નથી. હેરોઇન ઉપરાંત કોકેઇનથી માંડીને મેથ એમ્ફેટેમાઇન સુધીના નાર્કોટીક ડ્રગ્સની ડિમાન્ડ વિશ્ર્વ આખાની જેમ ભારતમાં પણ છે.
હા, એ વાત અલગ છે કે અમેરિકા ઉપરાંત યુરોપના દેશોમાં કોકેઇનનો ઉપયોગ કરનારા બંધાણીઓ વધુ છે. દક્ષિણ અમેરિકાના કેટલાક દેશના ડ્રગ માફિયાઓ કોકો નામના છોડમાંથી પ્રોસેસ કરીને કોકેઇન નામનું ડ્રગ બનાવે છે. એ જ રીતે અફઘાનિસ્તાન અને ઇરાન જેવા દેશ અફીણનાં છોડના ફૂલોને પ્રોસેસ કરીને હેરોઇન બનાવે છે.
એક જમાનામાં આપણા દેશમાં અફીણના ઘણા બંધાણીઓ જોવા મળતા હતા. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં તો અફીણીઓ કંઈક મોટો ગુનો કરી રહ્યા છે એવું મનાતું નહોતું. મધ્ય પ્રદેશના કેટલાક વિસ્તારોમાં તો હજી પણ અફીણની ખેતી થાય છે. અફીણનું સૌથી મોટું ઉત્પાદન અફઘાનિસ્તાન ઉપરાંત મેક્સિકો અને દક્ષિણ અમેરિકામાં થાય છે. અફીણને હોર્સ,સ્મેક,જંક કે બ્રાઉનસ્યૂગર તરીકે પણ ઓળખવામાં આવે છે.
કેટલાક બંધાણી હેરોઇનનો ઉપયોગ સિગારેટની માફક ફેફસાંમાં એનો ધુમાડો ઉતારીને કરે છે તો કેટલીક વ્યક્તિઓ નસમાં હેરોઇનના ઇન્જેક્શન લઈને પોતાની તલપ તૃપ્ત કરે છે. ફક્ત વિદેશમાં જ નહીં, પંજાબમાં પણ હેરોઇનના વધુ પડતા ડોઝ લેવાથી મૃત્યુ થવાના કિસ્સાઓ બનતા રહે છે.
અનેક પ્રકારના ડ્ર્ગ્સ્માંથી હેરોઇન એક એવો નશીલો પદાર્થ છે કે એને આદત તરત જ પડી જાય છે. પછી હેરોઇનની આદત છોડવી ખૂબ જ અઘરી છે. કેટલાક બંધાણીના કહેવા પ્રમાણે ફક્ત એક કે બે વખત હેરોઇનનો ઉપયોગ કર્યા પછી એ તરત જ એના બંધાણી બની ગયા હતા.
હેરોઇન એ એક એવું બદનામ દ્રવ્ય છે કે એના વિશે બધા પાસે પુષ્ક્ળ માહિતી હશે, છે. મેથ એમ્ફેટેમાઇનને ‘મેથ’ કે ‘યાબા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણો પડોશી દેશ મ્યાનમાર,મેથ એમ્ફેટેમાઇનનો સપ્લાયર દેશ છે. જે રીતે કોકેઇનની દાણચોરી માટે લેટિન અમેરિકાના દેશો કુખ્યાત છે એ રીતે મેથ એમ્ફેટેમાઇનના સપ્લાયર તરીકે મ્યાનમાર છે.
વિવિધ રસાયણોને ભેગા કરીને મેથ એમ્ફેટેમાઇન બનાવવામાં આવે છે. સફેદ રંગના ક્રિસ્ટલ જેવા કેમિકલમાંથી બનતા મેથની ગુલાબી રંગની દવા જેવી ગોળીઓ બને છે.૨૦મી સદીની શરૂઆતમાં બંધ થઈ ગયેલા નાકને ખોલવા માટે ઇનહેલર બનાવવામાં આ રસાયણોનો ઉપયોગ થતો હતો. આ ડ્રગ લેવાથી એકાએક મૂડ સારો થઈ જાય છે. ભૂખ મરી જાય છે. મગજના જ્ઞાનતંતુ વધુ પડતા સક્રિય થઈ જાય છે. ડ્રગની અસર હેઠળ વ્યક્તિ વધુ પડતું બોલબોલ કરવા માંડે છે. આપણા મગજમાં આવેલી સેન્ટ્રલ નરવસ સિસ્ટમ પર આ ડ્રગની ખૂબ ખરાબ અસર થાય છે. અમેરિકાની ડ્રગ એન્ફોર્સમેન્ટ એજન્સીએ મેથ એમ્ફેટેમાઇનને સ્કીડ્યુલ-૨હેઠળ મુક્યું છે, જેને કારણે એ કાયદેસર રીતે વેચી શકાતું નથી. કેટલાક દેશમાં આ ડ્રગનો ઉપયોગ ચંચળતા ઓછી કરવા તેમજ વજન ઓછું કરવા માટે પણ કરવામાં આવે છે અને એટલે જ આ ડ્રગથી પણ ભારતે ચેતીને રહેવા જેવું છે.
અમુક રાસાયણિક પ્રક્રિયા પછી ‘મેથ એમ્ફેટેમાઇન’ની એક આડ-પેદાશ રૂપે જે સિન્થેટિક ડ્ર્ગ બને છે એ તો વધુ ખતરનાક છે. ‘મ્યાઉ ..મ્યાઉ’ તરીકે ઓળખાતું આ ડ્ર્ગ ભારતના યુવાવર્ગનું ‘માનીતુ’ છે. થોડા સમય પહેલાં જ દિલ્હી તેમજ પુણેમાંથી આ ‘મ્યાઉ..મ્યાઉ’ નો ૧૧૦૦ કિલોગ્રામનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો, જેની માર્કેટ કિંમત છે રૂપિયા ૨૦૦૦ કરોડ !
હવે વિજ્ઞાન પણ સ્વીકારે છે
મસાજને એક ચિકિત્સા તરીકે….
વિજ્ઞાન હવે મસાજને ચિકિત્સાના એક સાધન તરીકે ‘કાયદેસર’ સ્વીકારતું થયું છે. સામાન્ય માણસ તો પહેલેથી જ એવું માનતો હતો કે મસાજ વડે સારવાર થઈ શકે છે, પરંતુ મનોવિજ્ઞાની જેમ્સ ગોર્ડને મસાજને ‘દવા’નો ઇલકાબ આપ્યો છે. મસાજને લગતું સૌથી વધુ સંશોધન ટચ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ (ટીઆરઆઈ)માં થઈ રહ્યું છે. આ સંસ્થામાં મનોવિજ્ઞાની ટિફાની ફિલ્ડ્ઝની આગેવાની હેઠળ સમાજ-નિષ્ણાતો,સ્વયંસેવકો તથા વિદ્યાર્થીઓ સાથે મળીને મસાજના લાભો વિશે સંશોધન કરે છે. આ સંશોધનોમાં જોવા મળ્યું છે કે પેટમાં ચૂક, માનસિક તાણ, ડાયાબિટીસ, આધાશીશી વગેરે અનેક બીમારીઓમાં મસાજ બહુ સારાં પરિણામ આપી શકે છે. આ સંશોધનોમાં એવું પણ જોવા મળ્યું છે કે મસાજ બાદ દમનો રોગી વધુ સરળતાથી શ્ર્વાસ લઈ શકે છે. ચંચળ બાળક મસાજને કારણે અભ્યાસ પર વધુ સારું ધ્યાન આપી શકે છે. મસાજની સૌથી નોંધપાત્ર સિદ્ધિ તો એ છે કે તેનાથી એઇડ્સના દરદીના શરીરનું રોગપ્રતિકારતંત્ર થોડું મજબૂત બને છે.